પોલ્યુશન ફ્રી ગાંધીનગરમાં મંત્રીઓ અને ધારાસભ્યો વધુ ફીટ કે અધિકારીઓ?
ગુજરાતના તમામ શહેરો પૈકી ગાંધીનગર એક એવું શહેર છે કે જ્યાં એવું કહેવાય છે કે શહેરના રહીશના આયુષ્યમાં પાંચ વર્ષનો વધારો થાય છે. આવું થવા પાછળનું કારણ પોલ્યુશન ફ્રી સિટી છે. શહેરની ત્રિજ્યામાં કોઇપણ કારખાનું કે પોલ્યુશન થાય તેવી ઇન્ડસ્ટ્રીઝ નથી. શહેરમાં એકમાત્ર પોલ્યુશન થર્મલ પાવર પ્લાન્ટ હતા પરંતુ હવે તેમાં હવાનું પોલ્યુશન કન્ટ્રોલ કરી દેવામાં આવ્યું છે.
રાજ્યના વન અને પર્યાવરણ વિભાગના એક અધિકારીએ કહ્યું હતું કે ડાંગના આહવા અને ગાંધીનગરની હવા સાફ છે. લીલોતરીના કારણે હવાની ગુણવત્તા પણ સુધરે છે જો કે એરકન્ડીશન્ડ અને ખુલ્લા ડામરના માર્ગોની સંખ્યા વધુ હોવાથી ગાંધીનગરની ગરમીમાં વધારો થયો છે. આવા સ્વચ્છ સિટીમાં રહેતા અધિકારીઓ તેમજ મંત્રીઓના સ્વાસ્થ્યમાં સુધારો થાય તે સ્વાભાવિક છે.
આ ઓફિસરે કરેલા એક રસપ્રદ તારણમાં એવું સામે આવ્યું છે કે પોલ્યુશન ફ્રી સિટી હોવા છતાં કસરત અને વોકીંગની આદતના અભાવે અધિકારીઓ કરતાં મંત્રીઓનું સ્વાસ્થ્ય વધારે બગડ્યું છે. ગુજરાતની કેબિનેટના સાત સભ્યો અત્યારે કામ કરવા માટે ફીટ નથી અને બીજા પાંચ સભ્યો ડાયાબિટીસ તેમજ હાઇપર ટેન્શનથી પિડાઇ રહ્યાં છે. ગાંધીનગરમાં રાજકીય નેતાઓ કરતાં સરકારના ઓફિસરોની તંદુરસ્તી વધારે ફીટ જોવા મળે છે. શહેરના પુનિત વનમાં સવારે અને સાંજે આઇએએસ અને આઇપીએસ અધિકારીઓ મોનિંગ કે ઇવનિંગ વોક કરતાં દેખાય છે પરંતુ તેમાં કોઇ મંત્રી કે ધારાસભ્ય દેખાતા નથી.
એનો મતલબ એ થયો કે નેતાઓ કરતાં ઓફિસરો તેમની હેલ્થ બાબતે સૌથી વધુ સતર્ક બનેલા છે. રોજ સવારે અને સાંજે આઇએએસ અને આઇપીએસ ઓફિસરોથી શહેરના બગીચા અને વોકિંગ ટ્રેક ઉભરાય છે. મંત્રીમંડળના નિવાસસ્થાન વિસ્તારમાં પણ વોકીંગ ટ્રેક બનાવવામાં આવેલો છે પરંતુ તેનો ઉપયોગ માત્ર બે થી ત્રણ મંત્રીઓ કરી રહ્યાં છે. વિધાનસભા ચાલુ હોય ત્યારે ધારાસભ્યો તેમના નિવાસસ્થાનમાં હોય છે પરંતુ તેઓ મોનિંગ કે ઇવનિંગ વોક કરતા જોવા મળતા નથી. તંદુરસ્તીની બાબતમાં મંત્રીઓ અને ધારાસભ્યો પછાત છે.
સરકારમાંથી વય નિવૃત્ત થયેલા અને હાલ ત્રણ વિભાગોમાં કન્સલ્ટન્સીનું કામ કરતાં એક સનદી અધિકારી અવિનાશકુમારની વય 75 વર્ષની થઇ છે પરંતુ તેમની સ્ફૂર્તિ 40 કે 45 વર્ષના ઓફિસરને શરમાવે તેવી છે. આ ઉંમરે તેઓ વય નિવૃત્ત થયા હોય તેમ લાગતું નથી. બીજા ઓફિસરોને તેમની ઇર્ષા થાય છે, કારણ કે આ ઓફિસર નિયમિત જીમ કરે છે. કસરત કરે છે. અને ફીટ રહે છે. સચિવાલયમાં નેતાઓ અને મંત્રીઓ કરતાં આઇએએસ ઓફિસરો વધુ ફીટ છે, ઓફિસરો તેમની હેલ્થ માટે કમિટેડ છે. ઓછો અને પોષણક્ષમ ખોરાક લઇને તેઓ તંદુરસ્તીમાં ફિટ રહે છે. મોટાભાગના સનદી અધિકારીઓ ગ્રીન ટી ના ચાહક છે અને આ ચાય આરોગ્ય માટે ઉત્તમ માનવામાં આવે છે.
એક સર્વે પ્રમાણે સચિવાલયમાં કમ ખાવ, ગમ ખાવ.. એ કહેવત સનદી અધિકારીઓને લાગુ પડે છે પરંતુ સચિવાલયના વિભાગોમાં કામ કરતાં સરકારી કર્મચારીઓ ભોજન લેવામાં બહુ બેદરકાર છે. બજારમાં મળતા તીખા, તમતમતાં અને ચટાકેદાર નાસ્તાના તેઓ આગ્રહી હોય છે પરિણામે તેની અસર તેમની હેલ્થ પર થાય છે. નાસ્તાની લારી પર તળેલા ખાદ્યપદાર્થો ખાવાના શોખિન કેટલાક કર્મચારીઓ કર્મયોગી બની શકતા નથી, કામ કરવાની આળસ આવી જાય છે અને ભરપૂર નાસ્તાના કારણે તેઓ સમયસર કામ પૂર્ણ કરી શકતા નથી પરંતુ ઉચ્ચ અધિકારીઓ જેવાં કે આઇએએસ, આઇપીએસ અને આઇએફએસ અધિકારીઓ તેમની હેલ્થ પ્રત્યે વધુ જાગૃત જોવા મળે છે.
ગાંધીનગરના સરિતા ઉદ્યાન, પ્રકૃતિ ઉદ્યાન, સચિવાલય અને મહાત્મા મંદિરની વચ્ચેનો કોરિડોર તેમજ પુનિત વન વિસ્તારમાં આ ઓફિસરોએ વોકિંગ ટ્રેક બનાવી દીધો છે. વહેલી સવારે અને સાંજે આ ઓફિસરો પરિવાર સાથે વોકિંગ કરતા જોવા મળે છે. જો કે આ કુદરતી વાતાવરણનો લાભ રાજકીય નેતાઓ કે મંત્રીઓ લઇ શકતા નથી જે તેમના માટે મોટી કમનસીબી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp