ગુજરાતમાં અહીં શરૂ થઇ રહ્યો છે રૂ. 300 કરોડનો આઇટી પાર્ક, ટૂંક સમયમાં ભૂમિપૂજન

PC: khabarchhe.com

ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સપનું ગાંધીનગરમાં સાકાર થઇ રહ્યું છે. તેમની ઇચ્છા હતી કે ઇન્ફોસિટીનું સંચાલન સરકાર કરે પરંતુ તેમ થઇ શક્યું નહીં તેથી મોદીએ ઇન્ફોસિટીની સામે જ આઇટી પાર્કનો પ્રોજેક્ટ શરૂ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી જે હવે શરૂ થઇ રહ્યો છે.

ગુજરાતમાં કેશુભાઇ પટેલના શાસનમાં ઇન્ફોસિટી માટે સરકારે 250 એકર જમીન આપી હતી પરંતુ તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આ જમીનમાં શરતભંગ થતાં પાછી લેવાની સૂચના આપી હતી, જો કે ઇન્ફોસિટીના સંચાલકો કોર્ટમાંથી સ્ટે લઇ આવતાં મોદીની ઇચ્છા ફળીભૂત થઇ ન હતી. હવે મોદીની સૂચનાથી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગરમાં આઇટી પાર્ક શરૂ કરવાની તૈયારી કરી છે.

ગુજરાત સરકાર દ્વારા ડીએલએફ લિમિટેડને તેના આઇટી પાર્ક માટેના પ્રોજેક્ટને આખરે મંજૂરી આપવામાં આવી છે. દિલ્હી સ્થિત આ રિયલ્ટી કંપનીએ 2007માં 50 કરોડના ખર્ચે 25 એકર જમીન ખરીદવાનો સરકાર સાથે કરાર કર્યો હતો. હવે આ કંપની ગાંધીનગરમાં તેનો પ્રોજેક્ટ શરૂ કરી રહી છે.

સ્પેશ્યલ ઇકનોમિક ઝોનનો પ્રોજેક્ટ ગાંધીનગરના ઇન્ફોસિટીની સામે શરૂ થવાનો હતો પરંતુ કંપનીએ 2008ના વર્ષમાં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખીને પ્રોજેક્ટમાંથી ખસી જવાની વિનંતી કરી હતી. આ સમયે મંદીનું વાતાવરણ હોવાથી કંપની પ્રોજેક્ટ કરવા માગતી ન હતી. કંપનીએ 30,000 યુવાનોને નોકરી આપવાનું વચન આપ્યું હતું. આ સાથે કંપનીએ આઇટી પાર્ક બનાવીને બાકીની જમીનમાં કોમર્શિયલ તેમજ રેસિડેન્સિયલ યુનિટ્સ બનાવવાની વિનંતી પણ કરી હતી.

સરકારે 2013માં આ પ્રોજેક્ટને કંપનીની વિનંતીને માન્ય રાખી રદ કર્યો હતો પરંતુ કંપનીએ ફરીથી આ પ્રોજેક્ટ શરૂ કરવા માટે સરકારને વિનંતી કરી હતી. ઉદ્યોગ વિભાગના એક અધિકારીએ કહ્યું હતું કે ડીએલએફ એ તેના પ્રોજેક્ટને રદ કરવાના સરકારના પગલાને મહેસૂલ વિભાગના વિશેષ સચિવ (વિવાદો) સમક્ષ પડકાર્યો હતો. કંપનીએ રિયલ એસ્ટેટ ડેવલપર ઓથોરિટીને કહ્યું હતું કે પ્રોજેક્ટમાં વિલંબનું કારણ હાઇટેન્શન વાયરની હાજરી અને સ્પેશ્યલ ઇકોનોમિક ઝોનના અધિકારીઓની મંજૂરીની આવશ્યકતા હતી.

હકીકત એ છે કે ડીએલએફને આ જમીન સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન વિકસિત કરવા માટે મળી હતી પરંતુ કંપનીએ આઇટી પાર્ક બનાવવા માટે સરકારનો સંપર્ક કર્યો હતો. આ યોજના ત્યારે વિવાદમાં આવી હતી જ્યારે કોંગ્રેસના નેતાઓએ ઓછા દરે સરકારે કંપનીને જમીન આપી હોવાનો આક્ષેપ કર્યો હતો. આ જમીન કંપનીને પ્રતિ ચોરસ મીટરના 5000 રૂપિયે આપવામાં આવી હતી. કોંગ્રેસના નેતાઓએ એ સમયે આરોપ લગાવ્યો હતો કે મુખ્યમંત્રીએ ડીએલએફ કંપનીને સસ્તી જમીન આપી છે કે જ્યારે આ જમીનનો ભાવ પ્રતિ ચોરસમીટર 30,000 રૂપિયા હતો.

સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જસ્ટીસ એમબી શાહની અધ્યક્ષતામાં બનેલા આયોગે જે તે સમયે ગુજરાત સરકારને ક્લિનચીટ આપી હતી અને સરકારના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો જેની સામે કંપની અપીલમાં ગઇ હતી.

દેશના સૌથી મોટા રિયલ્ટી ડેવલપરે ગુજરાતમાં તેના પ્રોજેક્ટમાં 2.5 કરોડ સ્ક્વેરફીટ જગ્યા વિકસિત કરવા માટે 850 કરોડ રૂપિયાનું મૂડીરોકાણ કરવાની યોજના બનાવી હતી. ઉલ્લેખનીય છે કે  ડીએલએફ કંપનીએ શરૂઆતમાં 100 કરોડનો ખર્ચ કર્યો છે અને હવે 300 કરોડ રૂપિયાનું મૂડીરોકાણ કરવા જઇ રહી છે. આ આઇટી પાર્કનું ટૂંક સમયમાં ભૂમિપૂજન થવાનું છે.

 
 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp