ગુજરાતમાં મજૂરો ન હોવાને કારણે રૂ. 758 કરોડના આ સરકારી કામ અટકી ગયા
ગુજરાતમાં માર્ગ અને મકાનના કામો અટકી ગયા છે તેમ રેલવેના અધુરાં કામો પણ અટકી ગયેલા છે. ગુજરાત છોડીને વતનમાં ગયેલા મજૂરો પાછા નહીં આવે ત્યાં સુધી સરકારના આ કામો શરૂ થઇ શકે તેમ નથી. સરકારી કામ કરતાં કોન્ટ્રાક્ટરોએ કામ શરૂ કર્યા છે પરંતુ મજૂરો મળતાં નથી તેથી સ્થાનિક મજૂરોની શોધખોળ સાથે વતન ગયેલા મજૂરોને પાછા બોલાવવાની પ્રક્રિયા પણ શરૂ કરી છે.
ગુજરાતમાં રેલવે ફાટક પાસે થતાં અકસ્માતો નિવારવા માટે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ફાટક મુક્ત ગુજરાત બનાવવા શરૂ કરેલી અંડર અને ઓવરબ્રીજની યોજના માટે હજી રાહ જોવી પડશે, કારણ કે કોરોના સંક્રમણના સમયે રેલવે બ્રીજને લગતા કામો બંધ પડ્યાં છે. રેલવે ફાટકની આ યોજનામાં છ મહિના જેટલો વિલંબ થવાની સંભાવના છે.
મુખ્યમંત્રીએ ગયા જાન્યુઆરી મહિનામાં ગુજરાતની 20 નગરપાલિકા વિસ્તારમાં આવેલા રેલવે ક્રોસિંગ પર 16 રેલ્વે ઓવરબ્રીજ અને 10 રેલવે અંડરબ્રીજ માટે 758 કરોડ રૂપિયા ફાળવવાની જાહેરાત કરી હતી. આ મંજૂરી અનુસાર જે 16 નગરપાલિકા વિસ્તારમાં રેલ્વે ઓવરબ્રીજ બનવાના છે તેમાં ઓખા, પાલીતાણા, પાટણ, તલોદ, વિસનગર, કરમસદ, ઉમરેઠ અને બારડોલીમાં એક-એક રેલ્વે ઓવરબ્રિજ તેમજ વેરાવળ, હિંમતનગર, આણંદ અને પેટલાદમાં બે-બે ઓવરબ્રીજ બનવાના હતા. ગુજરાત સરકારે મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે આ રેલ્વે ઓવરબ્રિજ તેમજ રેલ્વે અંડરબ્રિજના કામો માટે મંજૂરી આપી હતી.
રાજ્યના જે 10 શહેરોમાં રેલ્વે અંડરબ્રીજ બનવાના છે તેમાં સિક્કા, નડિયાદ, બોપલ, ઘુમા ઉના, કેશોદ, ડીસા, પેટલાદ, વ્યારા નગરોમાં એક-એક અને ગાંધીધામમાં બે રેલ્વે અંડરબ્રીજ બનવાના હતા. આ ઉપરાંત સુરેન્દ્રનગર અને ભચાઉ માટે તેમજ જુનાગઢ મહાનગરપાલિકા માટે પણ સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી યોજના અંતર્ગત 54.51 કરોડના કામોને મંજૂરી આપી હતી.
સુરેન્દ્રનગરમાં મેકશન સર્કલ ડેમ રોડથી હેલીપેડ સુધી નવા ફલાય ઓવર બનાવવા માટે 42.50 કરોડના કામો મંજૂર કર્યા હતા તેમજ સુરેન્દ્રનગર ગેઇટ અને જોરાવરનગર રેલ્વે સ્ટેશન વચ્ચે સબ-વે બનાવવા માટે 6.53 કરોડના કામો મંજૂર થયાં હતા. આ તમામ કામો શરૂ થવાના હતા પરંતુ માર્ચ મહિનામાં કોરોના સંક્રમણના કેસો સામે આવતાં હાલ આ કામો સ્થગિત થયાં છે. હવે લોકડાઉનમાં રાહતો આપવામાં આવતા રેલવેના આ કામો જુલાઇ મહિનાથી શરૂ કરવામાં આવે તેવી સંભાવના છે.
જો કે રેલવે વિભાગને સાથે રાખીને આ કામો કરવાના થતાં હોઇ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે સંકલન કરવું પડશે. સચિવાલયના સૂત્રો કહે છે કે 758 કરોડનો ખર્ચ થવાનો હતો પરંતુ તેમાં ચાર થી પાંચ મહિનાનો વિલંબ થતાં હવે આ કોસ્ટમાં 10 થી 12 ટકાનો વધારો થાય તેવી સંભાવના છે. મુખ્યમંત્રીની જાહેરાત પછી કેટલીક જગ્યાએ શરૂ થયેલા કામો મહામારીના સમયમાં બંધ કરવામાં આવ્યા છે, જ્યારે મોટાભાગના કામો હજી શરૂ થઇ શક્યાં નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp