સહકારી બેંકો વ્યાપારિક નહીં બને તો બંધ થવાનો ખતરો
રાજ્યની સહકારી બેંકો જો વ્યાપારિક નહીં બને તો સ્પર્ધાત્મક યુગમાં તેને બંધ કરવી પડે તેવી નોબત આવી શકે છે. સહકારી બેંકોમાં જૂનવાણી પ્રથા નહીં ચાલે, કારણ કે હાલ ઓનલાઇન બેન્કિંગનો જમાનો છે.
ભારતીય રિઝર્વ બેંકના ડેપ્યૂટી ગવર્નર એન. વિશ્વનાથને સહકારી બેંકોને આધુનિક બનાવવી જોઈએ તેવું સૂચન કર્યું છે. ઉલ્લેખનીય છે કે મધ્યસ્થ બેંકે સહકારી બેંકોને નાની કમર્શિયલ બેંકોમાં તબદિલ કરવાનું સૂચન કર્યું હતું પરંતુ રાજ્યની બેંકોના ડિરેક્ટરોએ તેનો વિરોધ કર્યો છે, કારણ કે તેમનો ગરાસ લૂંટાઈ જાય છે.
અમદાવાદમાં યોજાયેલી એક કોન્ફરન્સમાં તેઓ આવ્યા હતા અને તેમના પ્રવચનમાં કહ્યું હતું કે સહકારી બેંકોના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની નિયુક્તિ પણ વ્યાવસાયિક ધોરણે થવી જોઈએ કારણ કે સહકારી બેંકોની સીધી સ્પર્ધા કમર્શિયલ બેંકો સાથે છે.
ગુજરાતની સહકારી બેંકોનું માળખું મજબૂત છે પરંતુ નિષ્ણાતો કહે છે કે જો કમર્શિયલ બેંકો સામે ટકવું હોય તો સહકારી બેંકોએ આધુનિકતાનો રસ્તો અપનાવવો પડશે. સરકારે પણ સહકારી બેંકોના કાયદામાં સુધારા કરવા જોઇએ કે જેથી આ બેંકોની ડિપોઝિટ ટકી શકે.
અત્યારે સહકારી બેંકોમાં જે બેંક સ્ટાફની નિયુક્તિ થાય છે તેમાં સીધી બોર્ડ ઓફ ડિરેક્ટર પાસે સત્તા છે, આવું હોવાથી વહાલા દવલાની નીતિ ચાલે છે અને ક્વોલિફાઇડ સ્ટાફ બેંકોને મળતો નથી તેથી સહકારી બેંકોના કૌભાંડો થાય છે. લોકોની ડિપોઝિટ સાથે રમત રમાતી હોય છે. રિઝર્વ બેંકના સૂચનનું પાલન કરી સહકારી બેંકોએ ધીમે ધીમે નાની બેંકોમાં તબદીલ થવાની જરૂર છે તેવું બેન્કિંગ ક્ષેત્રના નિષ્ણાતો માની રહ્યાં છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp