સરકારે શ્રમિકોની અવરજવરની સુવિધા આપવા તમામ જરૂરી પગલા લીધા હતાઃ ભારત સરકાર

PC: thelogicalindian.com

કેન્દ્ર સરકાર સંપૂર્ણપણે સભાન હતી કે, અનિવાર્ય લોકડાઉનના ગાળા દરમિયાન લોકો આવશ્યક ચીજવસ્તુઓના પુરવઠાથી વંચિત ન રહેવા જોઈએ. આ સ્થિતિ પર રાષ્ટ્રીય સ્તરે નિયંત્રણ કક્ષો દ્વારા 24*7 નજર રાખવામાં આવતી હતી. પરપ્રાંતીય શ્રમિકો સહિત બેઘર લોકોને ભોજન, આરોગ્યલક્ષી સેવાઓ અને આશ્રય પ્રદાન કરવા કેન્દ્ર સરકારે 28.03.2020ના રોજ રાજ્ય સરકારોને આ ઉદ્દેશ માટે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ (એસડીઆરએફ – રાજ્ય આપત્તિ નિવારણ ભંડોળ)નો ઉપયોગ કરવાની સંમતિ આપી હતી.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પણ રાજ્ય સરકારો/કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારોને ભોજન, પાણી, આરોગ્યલક્ષી સુવિધાઓ, આશરો પ્રદાન કરવા તમામ જરૂરી પગલાં લેવા તથા પરપ્રાંતીય કામદારોને ઉચિત સલાહ આપવા માટે નિયમિતપણે એડવાઇઝરી (સલાહસૂચનો) પણ બહાર પાડી હતી.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે 19 એપ્રિલ, 2020ના રોજ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોની અંદર પરપ્રાંતીય કામદારોની અવરજવરની સંમતિ આપી હતી, જેથી આ કામદારો ઔદ્યોગિક, ખેતીવાડી, નિર્માણ, ઉત્પાદન અને મનરેગા કાર્યોમાં જોડાઈ શકે. આ વધારાની નવી પ્રવૃત્તિઓની મંજૂરી 20.04.2020થી નિયંત્રણ ઝોનોની બહાર હાથ ધરવાની મંજૂરી આપવામાં આવી હતી. મંત્રાલયે 29 એપ્રિલ અને 1 મે, 2020ના રોજ આદેશો બહાર પાડીને પરપ્રાંતીય શ્રમિકોને બસો અને શ્રમિક સ્પેશ્યલ ટ્રેનોમાં તેમના વતનમાં જવા અવરજવર કરવાની સંમતિ પણ આપી હતી.

કોવિડ-19 લોકડાઉન દરમિયાન પોતાના ગૃહ રાજ્ય પહોંચવાનો પ્રયાસ કરવામાં માર્ગ પર મૃત્યુ પામેલી વ્યક્તિઓની સંખ્યાઓ પરના આંકડા કેન્દ્ર સરકારે જાળવ્યાં નથી. જોકે કેન્દ્ર સરકારે પરપ્રાંતીય કામદારોને અવરજવરની સુવિધા આપવા તમામ જરૂરી પગલાં લીધા હતા.

કેન્દ્ર સરકારે 26 માર્ચ, 2020ના રોજ 'પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના' અંતર્ગત એક રાહત પેકેજની જાહેરાત કરી હતી, જે કુલ રૂ. 1.70 લાખ કરોડનું હતું. આ પેકેજનો આશય ગરીબોને કોરોનાવાયરસ સામેની લડાઈમાં મદદ કરવાનો હતો. આ યોજના અંતર્ગત આશરે 42 કરોડ ગરીબ લોકોને રૂ. 68,820 કરોડની નાણાકીય સહાય મળી છે. ઉપરાંત કેન્દ્ર સરકારે 20 જૂન, 2020ના રોજ કોવિડ-19 રોગચાળાને પગલે ગામડાઓને પરત ફરેલા પરપ્રાંતીય કામદારો માટે રોજગારી અને આજીવિકાના તકો વધારવા ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન શરૂ કર્યું છે.

આ જાણકારી લોકસભામાં આજે પૂછાયેલા પ્રશ્રના લેખિત જવાબમાં રાજ્ય કક્ષાના કેન્દ્રીય ગૃહ મંત્રી નિત્યાનંદ રાયે આપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp