કેજરીવાલને આશંકા, 10 ટકા મત સાથે છેડછાડ થઇ શકે છે! 5 વર્ષ જૂની ઘટના યાદ આવે છે

PC: livehindustan.com

દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીનો પ્રચાર સમાપ્ત થઈ ગયો છે. આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં સતત ચોથી વખત સરકાર બનાવવા માટે તમામ પ્રયાસો કર્યા છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસે પણ તેમની પાસેથી સત્તા છીનવી લેવામાં કોઈ કસર છોડી નથી. રાજકીય વિશ્લેષકો આ ચૂંટણીને અરવિંદ કેજરીવાલ અને તેમની પાર્ટી માટે સૌથી મુશ્કેલ ગણાવી રહ્યા છે. કેજરીવાલ પોતે વારંવાર જનતાને ચેતવણી આપી રહ્યા છે કે, જો BJP સત્તામાં આવશે તો તે મફત સુવિધાઓ બંધ કરી દેશે, તેથી ખોટું બટન દબાવશો નહીં. એક દિવસ પહેલા, તેમણે EVM સાથે છેડછાડનો ભય વ્યક્ત કર્યો હતો અને તેમના સમર્થકોને બધી બેઠકો પર 10 ટકાથી વધુ માર્જિન મેળવવા અપીલ કરી હતી.

અરવિંદ કેજરીવાલે સૂત્રોનો હવાલો આપતા દાવો કર્યો હતો કે, મશીનોમાં 10 ટકા મતો સાથે છેડછાડ થઈ શકે છે. આ આશંકા વ્યક્ત કરતા, તેમણે તેમના સમર્થકોને 15 ટકાના માર્જિન સુધી પહોંચવા કહ્યું જેથી 10 ટકાની ભૂલ હોય તો પણ તેઓ 5 ટકાના માર્જિનથી જીતી શકે. તેમના દાવામાં કેટલી સત્યતા છે તે તો ફક્ત કેજરીવાલ જ કહી શકે છે, પરંતુ ચૂંટણી પંચે વારંવાર EVMમાં કોઈપણ પ્રકારની છેડછાડ કે અનિયમિતતાની શક્યતાને નકારી કાઢી છે. રાજકીય વિશ્લેષકો પણ કેજરીવાલના આ દાવા પાછળ એક અલગ રણનીતિ જોઈ રહ્યા છે.

હકીકતમાં, 2015 અને 2020માં, આમ આદમી પાર્ટીએ જંગી બહુમતી મેળવી હતી. 70 બેઠકોમાંથી પહેલા 67 અને પછી 62 બેઠકો કબજે કરી. આ બંને ચૂંટણીઓમાં, BJP અનુક્રમે ફક્ત 3 અને 8 બેઠકો પર જ કમળ ખીલાવવામાં સફળ રહ્યું. મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, ગત ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના મત હિસ્સામાં 32 બેઠકો પર ઘટાડો થયો હતો, જ્યારે 42 બેઠકો પર વિજયનું અંતર ઘટ્યું હતું. આ બધી જ બેઠકોમાં BJPનો મત હિસ્સો વધી ગયો હતો. આમ આદમી પાર્ટીના મતદારોની સંખ્યામાં 14 બેઠકો પર 5 ટકાથી વધુનો ઘટાડો થયો હતો. 2015ની સરખામણીમાં, 2020માં 62 બેઠકો પર BJPના વોટ શેરમાં વધારો જોવા મળ્યો. તેમાંથી 18 બેઠકોમાં 10 ટકાથી વધુનો વધારો થયો હતો.

આમ આદમી પાર્ટી સતત 10 વર્ષથી સત્તામાં છે અને આવી સ્થિતિમાં સત્તા વિરોધી લહેરને નકારી શકાય નહીં. આ વાતનો અહેસાસ થતાં પાર્ટીએ પોતે દોઢ ડઝનથી વધુ બેઠકો પર ઉમેદવારો બદલી નાખ્યા. અરવિંદ કેજરીવાલે સ્વીકાર્યું છે કે, તેઓ પાણી, રસ્તા અને યમુનાની સફાઈના મોરચે કામ કરી શક્યા નથી. તેમણે હવે આ ત્રણેય કાર્યો કરવા માટે બીજી તક માંગી છે. આવા વાતાવરણમાં અરવિંદ કેજરીવાલ માટે ગત ચૂંટણીમાં ઝાડુનું બટન દબાવનારા મતદારોને જાળવી રાખવા એ ખરો પડકાર છે. આ માટે, તેઓ વારંવાર તેમની સરકારે આપેલા લાભોની ગણતરી કરાવી રહ્યા છે. તેઓ મતદારોને કહે છે કે, તેમની સરકાર દરેક પરિવાર માટે સરેરાશ 25,000 રૂપિયા બચાવી રહી છે અને જો BJP સત્તામાં આવશે, તો તેઓ એટલી રકમ ગુમાવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp