બિહારના મધુબનીમાં રોડ પર 100 ફૂટનો સૌથી મોટો ખાડો, કોન્ટ્રાક્ટર ફરાર

PC: moneycontrol.com

બિહારના મધુબનીમાંથી પસાર થનારો નેશનલ હાઈવે-227 હાલના દિવસોમાં ચર્ચામાં છે. તેનું કારણ એ છે કે હાઈવે પર રોડ ઓછાં અને ખાડા વધારે છે. સૌથી મોટો ખાડો તો 100 ફૂટનો છે. આ રોડ પરથી નાની ગાડીઓ સહિત ટ્રક અને ડમ્પર જેવા મોટા વાહનો પણ પસાર થાય છે, જેના કારણે અકસ્માતનો ભય રહે છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે, છેલ્લાં 7 વર્ષથી રોડની આવી જ હાલત છે, પરંતુ કોઈને કઈં ફરક નથી પડતો. સાથે જ રોડ બનાવનાર કોન્ટ્રાક્ટર પણ ફરાર છે.

આ હાલત કલુઆહી-બાસોપટ્ટી-હરલાખીમાંથી પસાર થતા મુખ્ય માર્ગની છે. આનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યો છે. ડ્રોનથી બનેલા આ વીડિયોને જોઈને લોકો અલગ-અલગ પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે પૂછ્યું કે, રસ્તો ક્યાં છે? તમામ સ્થળ પર માત્ર ખાડાઓ જ દેખાય રહ્યા છે.

સ્થાનિક લોકોએ જણાવ્યું કે, 2015 પછીથી જ આ રોડ પૂરેપૂરો જર્જરિત હાલતમાં છે. આ માર્ગને બનાવવા માટે અત્યાર સુધીમાં ત્રણ વખત ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે, પરંતુ તમામ કોન્ટ્રાક્ટરોએ થોડે દૂર સુધી રોડ બનાવ્યા બાદ કામ છોડી દીધું અને ભાગી ગયા. આ હાઈવે પરથી અનેક મોટા રાજકારણીઓ આવતા-જતા રહે છે, પરંતુ કોઈએ પણ તેની હાલત પર ધ્યાન નહીં આપ્યું. સરકાર અને વિભાગીય અધિકારીઓએ પણ તેની અવગણના કરી.

સ્થાનિક BJP ધારાસભ્ય અરુણ શંકર પ્રસાદે સદનમાં ત્રણ વખત અલગ-અલગ સત્રોમાં પ્રશ્ન ઉઠાવ્યો, પરંતુ NH અધિકારીઓને કોઈ ખાસ ફરક નહીં પડ્યો. ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પરશુરામ પૂર્વેએ જણાવ્યું કે વરસાદમાં 500 દુકાનોના માલિકો અને 15,000 પરિવારોને વરસાદમાં ખૂબ જ તકલીફ પડે છે.

ગૃહિણી ભગવતી દેવીએ જણાવ્યું કે, વરસાદ પછી રસ્તા પર પડેલા ખાડાઓમાં પાણી ભરાઈ જાય છે. ઘણીવાર પાણી ઘરોમાં પણ ઘૂસી જાય છે. જ્યારે પાણી ઓછું થઈ જાય છે ત્યારે કાદવની સમસ્યાનો સામનો કરવો પડે છે. દર 20 ફૂટ પર એક ખાડો છે. સમસ્યા એ છે કે, અડધા કલાકની મુસાફરી પૂર્ણ કરવામાં બે કલાકનો સમય લાગે છે. હાર્ડવેરના વેપારી હિંમતલાલ રાઉતે જણાવ્યું કે, રસ્તાની દુર્દશાના કારણે ધંધા પર ઘણી અસર થઈ રહી છે. બહારથી સામાન લઈને આવનાર વાહનચાલકો ના કહી દે છે, કારણ કે અંહીં રસ્તામાં ખાડા નથી, ખાડાઓમાં રસ્તો છે. તે જ સમયે, ત્યારે અંહીંના એક સ્થાનિક હોટેલ સંચાલક જીવછ મહતોએ જણાવ્યું કે, જર્જરિત રોડને કારણે દુકાનમાં ગ્રાહકો પણ ઓછાં આવે છે.

સ્થાનિક લોકોએ જણાવ્યું કે, સૌથી પહેલા રોડ બનાવવા માટે RCDએ ટેન્ડર બહાર પાડ્યું હતું. કન્સ્ટ્રક્શન વર્ક એજન્સીએ થોડા કિલોમીટર સુધી રોડ બનાવ્યો અને પછી કામ બંધ કરી દીધું. ત્યાર પછી વિભાગે 6 વખત રોડનું સમારકામ કરાવ્યું. વર્ષ 2020માં આ રોડ NH જયનગરની અંદર આવી ગયો. તેનું ટેન્ડર તે જ વર્ષે લગભગ 28 કરોડ રૂપિયામાં થયું. કોન્ટ્રાક્ટરે નિયત સમયમાં કામગીરી નહીં કરી. જેના કારણે NHAIએ તેને હટાવી દીધો. આ સમગ્ર મામલો હવે કોર્ટમાં ચાલી રહ્યો છે.

રોડ બનાવવાનું કામ કરનાર કોન્ટ્રાક્ટર રવિન્દ્ર કુમારે જણાવ્યું કે, મટિરિયલના ભાવ વધી ગયા છે. તેમજ વિભાગ દ્વારા પેમેન્ટ પણ આપવામાં આવ્યું નથી. જેના કારણે રોડ અધૂરો રહી ગયો છે. જ્યારે, માર્ગ નિર્માણ મંત્રી નીતિન નવીને જણાવ્યું કે મામલો ધ્યાનમાં આવતા જ એક તપાસ ટીમની રચના કરવામાં આવી છે. અધિકારીઓને તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp