જાણો મુખ્યમંત્રી રૂપાણીએ નવરાત્રિમાં સુરતને શું ભેટ આપી?

PC: Khabarchhe.com

મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીએ સુરત મહાનગરપાલિકા અને સુડાના રૂા 201.86 કરોડના શ્રેણીબદ્વ વિકાસકામોનું  ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા લોકાર્પણ કર્યું હતું. . અણુવ્રત દ્વાર જંકશનથી જમનાબા પાર્ક સુધીના ત્રણ કિ.મી. સુધીના કેનાલ કોરીડોરએ આંતરરાષ્ટ્રીય કક્ષાના માર્ગનું નિર્માણ થયું છે. અને કદોડરાથી કુંભારિયા સુધીનો 7 કિ.મીના બીઆરટીએસ રૂટનું લોકાપર્ણ થયું હતું.

મુખ્યમંત્રીએ વિકાસની પ્રતિબદ્વતા વ્યકત કરતાં જણાવ્યું હતું કે, છેલ્લા 4 મહિનાઓ દરમિયાન ગુજરાતમાં 12 હજાર કરોડના વિકાસકામોના ઈ લોકાર્પણ-ખાતમુહૂર્તો કર્યો છે.  કોરોના સંક્રમણનો વ્યાપ રોકવા સાથે વિકાસની રાહ પર ગુજરાત અગ્રેસર રહયું છે. ગુજરાતનો રીકવરી રેટ 90 ટકા તથા મૃત્યૃદર ધટીને 2.25 ટકા જેટલો થયો છે. કોરોના હારશે અને ગુજરાત જીતશેના સંકલ્પ સાથે સૌના સહયોગથી આગળ વધી રહ્યા છીએ એમ તેમણે ઉમેર્યુ હતું.         

નર્મદ નગરી સુરત સોનાની મૂરત બને તેવી સંકલ્પના સાકાર કરવા સૂરત મહાનગરપાલિકા અભિનંદન આપતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે, સ્વચ્છતા સર્વેક્ષણમાં દેશભરમાં સુરતે બીજા ક્રમે ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. દુનિયાના આધુનિક શહેરોની સાથે આપણા શહેરો પણ વિકાસની સ્પર્ધા કરે તેવી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇની કલ્પના સાકાર કરવા ગુજરાતે સોળે કળાએ વિકાસ ખિલવી મહાનગરો-નગરોને અદ્યતન-આધુનિક બનાવ્યા છે. 

 મુખ્યમંત્રીએ જણાવ્યું કે, શહેરો માળખાકીય સુવિધા સાથે પર્યાવરણની સુરક્ષા, શાંતિ અને સલામતી માટે કાયદાઓમાં કડક સુધારાઓ કર્યા છે. ગુંડાઓ ગુજરાત છોડે અથવા ગુંડાગીરી છોડે તેવા સુત્ર સાથે સરકારે પોલીસને કડક હાથે કામ લેવાના આદેશો આપ્યા છે.

આગામી સમયમાં મેટ્રો રેલ, રીવરફ્રન્ટ, તાપી શુધ્ધિકરણ, ડ્રીમસિટી, ડાયમંડસિટી જેવા સુરતના મહત્વના પ્રોજેકટોને આગળ વધારવા માટે સરકાર યુધ્ધના ધોરણે કાર્ય કરી રહી છે. સુરત શહેર લેન્ડ ઓફ ઓપોર્ચ્યુનિટી બની રહે તે દિશામાં આગળ વધવાની નેમ મુખ્યમંત્રીએ વ્યકત કરી હતી. 

 ગાંધીનગર ખાતેથી ઓનલાઈન જોડાયેલા ભાજપા પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ સી.આર.પાટીલે જણાવ્યું કે, સુરત શહેર સિંગાપોર બને તે દિશા તરફ આગળ વધી રહયું છે. સમગ્ર દેશની મહાનગરપાલિકાઓની સરખામણીએ સુરત સ્માર્ટસીટીની કામગીરી ઝડપથી આગળ વધી રહી છે. તેમણે રાજય સરકારને સુરતના વિકાસમાં સહયોગ બદલ મુખ્યમંત્રીનો આભાર વ્યકત કર્યો હતો. 

 સુરત ખાતેથી જોડાયેલા સાંસદ દર્શનાબેન જરદોશે જણાવ્યું હતું કે, સુરત શહેરએ કોરોનાની સામેની લડાઈની સાથે વિકાસની રાજનીતિમાં પણ આગળ વધી રહ્યું છે. મેટ્રોસીટી, ગાર્ડનસીટી, ટેરેસ ગાર્ડન જેવા નવા પ્રકલ્પો સાથે સુરતે વિકાસની ગતિ તેજ રાખી હોવાનું જણાવ્યું હતું.

આ અવસરે મેયર જગદીશભાઈ પટેલે કોરોના કાળની વચ્ચે પણ સતર્કતા-સાવધાનીપૂર્વક લોકહિતના કાર્યોની ગતિ અટકે નહી તે રીતે સૂરતની વિકાસયાત્રા આગળને આગળ ધપતી રહેશે તેવી ખાત્રી આપી હતી.

આ વર્ચ્યુઅલ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન કરતા મ્યુ.કમિશનર બંછાનિધિપાનીએ જણાવ્યું હતું કે, કુંભારીયાથી કડોદરા સુધીના સાત કિ.મી.ના બી.આર.ટી.એસ.ના લોકાર્પણની સાથે સમગ્ર શહેરમાં 108 કિ.મી.જેટલા બી.આર.ટી.એસ.નું નિર્માણ થયું છે જે સમગ્ર દેશમાં સૌથી વધુ લંબાઈ ધરાવતો બી.આર.ટી.એસ બન્યો છે. જેના કારણે સુરતથી કડોદરા વિસ્તારના શ્રમિકો, મુસાફરોને સલામત અને ઝડપી પરિવહનની બહેતર સુવિધાઓ પ્રાપ્ત થશે. અણુવ્રત દ્વાર જંકશનથી જમનાબા પાર્ક સુધીના ત્રણ કિ.મી. સુધીના કેનાલ કોરીડોરએ આંતરરાષ્ટ્રીય કક્ષાના માર્ગનું નિર્માણ થયું છે.

આ ઈ-લોકાર્પણના અવસરે સુરત શહેરના 11 જેટલા સ્થળોએ તથા પાલિકાના સ્મેક સેન્ટર ખાતે ધારાસભ્ય વિવેકભાઈ પટેલ, સંગીતાબેન પાટીલ, ડે.મેયર નિરવ શાહ, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન અનિલ ગોપલાની,શાસકપક્ષના નેતા ગીરીજાશંકર મિશ્રા, મ્યુ.કમિશનર બંછાનિધિપાની, નિતિનભાઈ ભજીયાવાલા, વિવિધ સમિતિઓના ચેરમેન, કોર્પોરેટર,નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp