કોણ હોય છે નિહંગ જેમના પર પોલીસવાળાનો હાથ કાપવા અને યુવકની હત્યાનો છે આરોપ

PC: sikhnet.com

સિંધુ બોર્ડર પર ગુરુવારે રાત્રે એક યુવકની નિર્દયતાપૂર્વક હત્યા કરી દેવામાં આવી. યુવકને 100 મીટર સુધી ઘસડીને લઈ જવામાં આવ્યો, એક હાથ કાપી નાંખવામાં આવ્યો અને શવને કિસાન આંદોલન મંચની સામે લટકાવી દેવામાં આવ્યો. આરોપ છે કે, યુવકે ગુરુ ગ્રંથ સાહેબનું અપમાન કર્યું હતું. મૃતકની ઓળખ પંજાબના તરનતારન જિલ્લાના ચીમાના લખવિંદર સિંહ તરીકે થઈ છે.

શું છે નિહંગ શબ્દનો મતલબ?

નિહંગ શબ્દના ઘણા મતલબ થાય છે, જેમ કે તલવાર, કલમ અને મગર. માનવામાં આવે છે કે, નિહંગ શબ્દ સંસ્કૃતના નિઃશંક પરથી આવ્યો છે, જેનો મતલબ જેને કોઈ વાતની શંકા કે ભય ના હોય. નિહંગ શબ્દનો પૂર્ણ યોદ્ધા માટે પણ ઉપયોગ કરવામાં આવે છે. આ શબ્દનો ઉપયોગ શ્રી ગુરુ ગ્રંથ સાહેબમાં પણ કરવામાં આવ્યો છે, પરંતુ અહીં તેનો મતલબ અને સંદર્ભ અલગ છે.

નિહંગ કોણ હોય છે?

શિખ સમુદાયની વચ્ચે ભૂરા રંગના કપડાં પહેરેલા અને હથિયાર રાખનારા શિખોને નિહંગ શિખ કહેવામાં આવે છે. નિહંગ શિખોને યોદ્ધાઓના રૂપમાં ઓળખવામાં આવે છે. પોતાના આક્રામક વલણના કારણે તેઓ દુનિયાભરમાં જાણીતા છે. નિહંગ સામાન્યરીતે આધુનિક અને પારંપરિક બંને પ્રકારના હથિયારોથી લેસ હોય છે. તેમા કાંડાની ચારેબાજુએ પહેરવામાં આવતા લોખંડના કંગન અથવા કડા અને પાઘડીની ચારેબાજુએ ચક્ર સામેલ છે. નિહંગ શિખોની પાસે તલવારો અથવા કૃપાણ, ભાલા અને હાથમાં નાનકડું ખંજર પણ હોય છે. તેઓ પાછળની બાજુએ ઢાલ તરીકે ચામડું અને ગળામાં ચક્રમ અને લોખંડની સાંકળ પણ પહેરે છે.

નિહંગ શિખોની શરૂઆત કઈ રીતે થઈ?

શિખોના 10માં ગુરુ ગોવિંદ સિંહે જ્યારે ખાલસા પંથની સ્થાપના કરી, તે સાથે જ નિહંગોની પણ શરૂઆત થઈ. ખાલસાની સાથે જ યોદ્ધાઓની એક આર્મી તરીકે નિહંગોને બનાવવામાં આવ્યા. તે સમયે તેમનું કામ શસ્ત્ર વિદ્ધામાં પારંગત હોવુ અને જ્યારે પણ જરૂર પડે તો યુદ્ધ માટે તૈયાર રહેવાનું હતું.

શિખો કરતા કઈ રીતે અલગ હોય છે નિહંગ?

  • નિહંગ શિખ રોજ ગુરબાનીનો પાઠ કરે છે અને બાણેમાં રહે છે. બાણેમાં રહેવાનો મતલબ પોતાનો ડ્રેસ અને તેની સાથે ધારણ કરવાના તમામ અસ્ત્ર-શસ્ત્ર ધારણ કરવા.
  • તમામ નિહંગ શસ્ત્ર વિદ્યામાં પારંગત હોય છે. આ વિદ્યામાં હુમલો કરવા અને રોકવા માટે જરૂરી ટેકનિક સામેલ છે.
  • નિહંગ શિખ ગુરુ ગ્રંથ સાહેબને માનવા ઉપરાંત શ્રી દશમ ગ્રંથ સાહેબ અને સરબલોહ ગ્રંથને પણ માને છે.
  • નિહંગોમાં પણ અલગ-અલગ સમૂહ હોય છે, જેમા બ્રહ્યચર્ય જીવનનું પાલન કરવા અને ગૃહસ્થ જીવનનું પાલન કરનારાઓનો પણ પોતાનો અલગ સમૂહ છે.
  • નિહંગ શિખ સામાન્યરીતે અમૃત ધારણ કરેલા હોય છે.

સામાન્ય શિખો કરતા પહેરવેશ પણ છે અલગ

સામાન્ય શિખો કરતા વિપરીત નિહંગોની ઓળખ એ હોય છે કે, તેઓ ભૂરા રંગના કપડાં પહેરે છે. ભૂરો રંગ ત્યાગનો પ્રતીક છે. માથા પર આશરે એક ફૂટ ઊંચી પાઘડી પહેરે છે, જેના પર દુમાલા હોય છે. સામાન્યરીતે પાઘડી માથા કરતા પણ ઘણી મોટી હોય છે.

નિહંગોના પહેરવેશ પાછળ પણ એક કિસ્સો છે. ગુરુ ગોવિંદ સિંહના 4 પુત્રો હતા, જેમા સૌથી નાના હતા- ફતેહ સિંહ. એક દિવસ ત્રણેય મોટા ભાઈ સાથે યુદ્ધ કળાનો અભ્યાસ કરી રહ્યા હતા. ત્યારે ત્યાં ફતેહ સિંહ પણ પહોંચ્યા અને કહેવા માંડ્યા કે મારે પણ યુદ્ધ કળા શીખવી છે. મોટા ભાઈઓએ કહ્યું કે, હજુ તું નાનો છે. આ વાત સાંભળીને ફતેહ સિંહ ઘરમાં ગયા અને આજના નિહંગોની જેમ મોટી પાઘડી અને ભૂરા રંગના કપડાં પહેરીને બહાર આવ્યા અને કહ્યું કે, હવે તો હું નાનો નથી લાગી રહ્યો. કહેવામાં આવે છે કે, અહીંથી જ નિહંગ પંથની ભૂરી વેશભૂષાની શરૂઆત થઈ.

માનવામાં આવે છે કે, ફતેહ સિંહ ગુરુ ગોવિંદ સિંહના સૌથી લાડકા પુત્ર હતા, આ જ કારણે નિહંગોને ગુરુની લાડલી ફોજ પણ કહેવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp