વજુભાઈ વાળાને શું કરવા માટે ગુજરાત પાછા બોલાવવામાં આવ્યા, કયો દાવ રમશે?

PC: Khabarchhe.com

(દિલીપ પટેલ) વજુભાઈ વાળા રાજ્યપાલ પદેથી નિવૃત્ત થયા પછી ગુજરાતમાં સક્રિય થયા છે. તેની સાથે એવી ચર્ચા હતી કે તેમને રૂપાણીના સ્થાને મુખ્ય પ્રધાન બનાવવામાં આવશે. અથવા વહેલી ચૂંટણી આપવામાં આવશે. પણ વિજય રૂપાણીએ જે રીતે ગુજરાતના 7 માતા અને દેવોના દર્શન કરવા જઈ આવ્યા તેથી હવે તેમના પદનો ભય ઓછો થયો હોવાનું માનવામાં આવે છે. તેથી વહેલી ચૂંટણી નહીં આવે. પણ વાળા તો રાજકારણમાં સક્રિય થયા છે.

ગુજરાતના મુખ્ય પ્રધાનના તેઓ સાચા વારસદાર અને હક્કદાર રહ્યાં છે. પણ વિજય રૂપાણી મોદી અને અમિત શાહના કહ્યાગરા મુખ્ય પ્રધાન બની રહે તેમ હતા તેથી વાળાને મુખ્ય પ્રધાન ન બનાવીને અન્યાય કરવામાં આવ્યો હતો. કારણ કે રૂપાણી કરતાં વાળા વધુ લાયકાત ધરાવે છે. પણ મોદી, અમિત શાહે આનંદીબેનનું સુશાસન ઉથલાવીને રૂપાણીને મુખ્ય પ્રધાન બનાવી દેવામાં આવ્યા હતા.

વાળા કારડીયા રાજપુત સમાજના આગેવાન છે. કારડીયા રાજપુતોની કુળદેવી માટે 10 વર્ષથી મંદિર બનાવવાની વાતો થતી હતી. હવે સુરેન્દ્રનગરમાં મંદિર બનાવવા માટે વાળા સક્રિય થતાં જોવા મળ્યા છે. મંદિરની સાથે રાજકરાણ પણ તેઓ રમી રહ્યાં છે.  તેઓ જાણે છે કે આ વખતે વજુભાઈની ઊંમરના કારણે ટિકિટ નહીં મળે.

કારડીયા રાજપૂત સમાજના કાનભા ગોહિલે- રજોડા અને જસા બારડ આ સમાજના મજબૂત નેતા છે. તેઓ વાળાને આગળ કરીને ચૂંટણી સમયે મંદિરનો મુદ્દો લઈને બહાર આવ્યા છે. કાનભા 2022માં ધોળકા કે સાણંદથી ચૂંટણી લડવા માંગે છે. જો પક્ષ ટિકિટ ન આપે તો બળવંતસિંહની જેમ કોઈ બોર્ડ કે કોર્પોરેશનમાં અધ્યક્ષપદ જોઈએ છે. તેઓ અગાઉ ભાજપને હરાવવા માટે બેઠક પણ કરી ચૂક્યા હતા. 2017માં જસાભાઈ બારડ ચૂંટણી હારી ગયા હતા.

ગુજરાતમાં 14 બેઠકો પર કારડીયા રાજપુતનો પ્રભાવ છે. તેથી આ ત્રણેય નેતાઓ રાજકારણમાં પ્રભાવ ઊભો કરી રહ્યાં છે. કારડીયા રાજપુત સમાજની 14 બેઠકો પર 15થી 25 હજાર મતદારો છે. જુનાગઢ, ગીર સોમનથ બેઠક જીત માટેની છે. બાકીની બેઠકો પર બીજાને જીતાડી શકે છે. જેમાં અમદાવાદ જિલ્લાની ધંધુકા, ધોળકા, વિરગામ, સાણંદ બેઠક. ભાવનગરમાં સિહોર-ગારીયાધર, પાલિતાણા, ભાવનગર શહેરની બે બેઠક. બોટાદ જિલ્લાની ગઢડા, ઉમરાળા, ધંધુકા વિધાનસભા બેઠક છે. સુરેન્દ્રનગરની લીમડી, વઢવાણ, હળવદ બેઠક પર પ્રભુત્વ છે. જુનાગઢ જિલ્લામાં સારી વસતી છે.

કારડીયા રાજપુત સમાજ જો નારાજ થાય તો ભાજપે કેટલીક બેઠકો ગુમાવવી પડે તેમ છે. કારડીયા રાજપુત એવું માને છે કે, પક્ષમાં સારી નિમણુંક નથી થઈ. તેથી પક્ષ અને સરકારમાં કોઈ સ્થાન નથી. તેથી સમાજના લોકોએ વાળા સમક્ષ આ મુદ્દે રજૂઆત કરી હતી. તેથી વજુભાઈ વાળા ફરી સક્રિય થયા છે. તેઓ સમાજને પાનો ચઢાવવા માટે કહે કે આવું ન ચલાવી લેવાય. અન્યાય સામે લડો. પણ, વાળા રાજકીય ખેલાડી માણસ છે. ભાજપ અને સરકારનો વિરોધ કરીને સરવાળે તો ભાજપમાં જ મત નંખાવતા આવ્યા છે. સમાજને પાણી ચઢાવે અને પછી છેલ્લે ભાજપને મત અપાવે. કોળી, ક્ષત્રિય અને કારડીયા રાજપુત પણ સારું સ્થાન માંગે છે.

કારડીયા રાજપુત સમાજે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સામે આંદોલન કર્યું હતું. ત્યારથી ભાજપમાં આંખે ચઢી ગયા છે. પણ કારડીયા રાજપુત સમાજ મરી જાય પણ મૂકે નહીં. જસા બારડ સ્વાર્થી માણસ છે. પોતાની ટિકિટ લઈ લે છે. આ વખતે પોતાને ટીકીટ નહીં મળે તો તેમના પૂત્રને ગીર સોમનાથથી લડાવવાની તેમની રાજકીય ગણતરી હોવાનું તેમના નજીકના સૂત્રો કહે છે.

કોળીનાર-તાલાળામાં જસા બારડ તેના પુત્રને ટિકિટ અપાવી શકે છે. પ્રદેશ યુવા મોરચામાં તેમના પુત્રને વારસાગત સ્થાન આપેલું છે. ભવાની માતાનું મંદિર સાયલામાં બને છે. તેને પાયો બનાવીને જશા બારડ અને કાનભા લાભ લેવા માંગે છે. તેની સામે સમાજને વિરોધ છે.

સુરેન્દ્રનગર નજીક રાજપૂત સમાજના કુળદેવી ભવાની માતાનું મંદિર 35 એકર જમીનમાં નિર્માણ અંગે સમાજના અગ્રણીઓની એક બેઠક મળી હતી. બેઠકમાં કારડીયા રાજપૂત સમાજના આગેવાન, કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ અને ગુજરાત ભાજપના પીઢ નેતા વજુ વાળાએ જણાવ્યું હતું કે,

2022માં કેટલી સીટ મળશે તે અમારા પાર્ટીના પ્રમુખ એનાઉન્સ કરશે. પ્રમુખે 182 કહ્યું હશે તો અમે આ તમામ સીટ લેવા માટે ભાજપના કાર્યકર્તા તનતોડ મહેનત કરીશું. અમારા પાર્ટીના પ્રમુખે જનતાને આપેલું વચન પરીપૂર્ણ થાય તે માટે ભાજપના તમામ કાર્યકર્તા કામ કરશે. તમે અપેક્ષા રાખો અને તમને ન મળે તો તમને અસંતોષ હોય. પાર્ટીના કાર્યકર્તા છીએ. પાર્ટી કહે તેમ આપણે કામ કરવાનું છે, આપણે કહીએ તેમ પાર્ટીએ નથી કરવાનું. પછી અસંતોષ શેનો થાય. અમારે શું કરવાનું તે પાર્ટીના પ્રમુખ જાહેર કરશે. પાર્ટીના કાર્યકર્તાને કોઈ સમય મર્યાદા હોતી નથી. પાર્ટી જેમ કહે તે પ્રમાણે તેઓ કામ કરે.

CM વિજય રૂપાણી બાબતે જણાવ્યું હતું કે, તેમના માટે કોઈ વિરોધ નથી. તેમણે કોઈ કાર્યકર્તાને તરછોડ્યો નથી. તેઓ વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તા હતા. એટલે તેમને વિદ્યાર્થીઓનું સંગઠન કેમ કરવું અને સમાજનું સંગઠન કેમ કરવું તેનો વધારે અનુભવ છે. લોકોને જે પ્રમાણપત્ર આપવા હોય તે આપે. અમારા મુખ્યમંત્રી ચાલુ છે અને રહેશે.

પેટ્રોલના ભાવ બાબતે તેમણે જણાવ્યું હતું કે, પેટ્રોલનો વિષય કેન્દ્રનો છે. હું નાણા મંત્રી હતો. પેટ્રોલ ખાતુ નહોતું. ગમે તે સત્તા પર હોય તેમનો વિરોધ થવાનો છે. ભગવાન રામનો પણ વિરોધ થયો હતો. વિપક્ષનું કામ છે વિરોધ કરવાનું.

હું ભાજપનો કાર્યકર્તા છું. ભાજપ માટે કામ કરવાનું છે. હું સંગઠનમાં છું શાસનમાં નથી. સંગઠનને લગતું મને પાર્ટી જે કહેશે તે મારે કરવાનું છે. 2022માં પણ પાર્ટી જે કહે તે કરવાનું એ મારો રોલ હશે. મારે માર્ગદર્શન આપવાનું નથી. હું જેને જરૂર પડે તેને મારો માર્ગ ખાલી કરીને આપું છું. પાર્ટીના કાર્યકર્તાનું કામ માર્ગદર્શન આપવાનું નથી. હું હવે સંગઠનનો માણસ છું. એટલે મારે સંગઠનને રજૂઆત કરવાની અને પછી સંગઠન શાસકને રજૂઆત કરે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp