વારસાઇની નોંધ અંગે મહેસૂલ મંત્રી કૌશિક પટેલની મહત્ત્વની જાહેરાત

PC: facebook.com/kaushikpatelbjp

ગુજરાત સરકારની પ્રેસ રીલિઝ મુજબ ગુજરાત વિધાનસભા ખાતે ચાલી રહેલા અંદાજપત્ર સત્ર દરમિયાન હક્ક પત્રક સંબંધિત કાર્યપદ્ધતિમાં ઝડપ લાવવા અંગે પુછાયેલા પ્રશ્નનો ઉત્તર આપતા મહેસૂલ મંત્રી કૌશિક પટેલે કહ્યું હતું કે, ડિજિટલ ગુજરાતની દિશામાં મહેસૂલ વિભાગે અનેક નક્કર કદમ ઉઠાવ્યા છે. i-ORA પ્લેટફોર્મ પર વિવિધ જનહિત લક્ષી મહેસૂલી સેવાઓ ઓનલાઇન ઉપલબ્ધ કરાવવામાં આવી છે. વારસાઇની નોંધ ખાતેદાર પોતે ઓનલાઇન દાખલ કરી શકે તે સુવિધા i-ORA પર ઉપલબ્ધ છે.

ડેટા એન્ટ્રી સ્ક્રિપ્ટ એન્ટ્રી વખતે કે સ્ટ્રકચર એન્ટ્રીની ભૂલ રહી હોય તેવા કિસ્સામાં ભૂલ સુધારણાની અરજી કરવાની કાર્યપદ્ધતિ i-ORA પર ઓનલાઇન કરવામાં આવી છે.

ખાતેદારને ખેડૂત પ્રમાણપત્રની સેવા પણ i-ORA પર ઓનલાઇન ઉપલબ્ધ છે. તા.23.12.2020 થી કરેલી જોગવાઈ મુજબ તકરારી નોંધના નિર્ણયની સત્તા મામલતદારને બદલે પ્રાંત અધિકારીને સોંપતા અપીલમાં એક તબક્કાના ઘટાડાથી સમયનો બચાવ પણ થયો છે.

તેમણે કહ્યું હતું કે, ફેરફાર નોંધનાં દસ્તાવેજોની જાળવણી માટે અગત્યના પાંચ કાગળ જેવા કે અરજી સાથેના દસ્તાવેજનાં કાગળો, અધિકારીએ નિર્ણય કરેલા નોંધની પ્રિન્ટ, બજવણી અંગેની સહીઓ થયેલી હોય તેવી 135-ડી ની નોટીસની ઓફીસ કોપી, કરેલા નિર્ણય મુજબની અસર ચકાસવાના એસ-ફોર્મની પ્રિન્ટ અને હુકમી ફેરફારના કિસ્સામાં હુકમની નકલ સ્કેન કરી સોફ્ટવેરમાં ફરજિયાત અપલોડ કરવામાં આવે છે.

ગામ નમૂના નંબર-6ની હસ્તલિખિત નોંધો તથા ગામ નમૂના નંબર-7/12ના હસ્તલિખિત પાનીયા સ્કેન કરી વેબસાઇટ પર મુકવામાં આવ્યાં છે. જેને દુનિયાના કોઈપણ દેશમાંથી જોઈ શકાય છે. તેમજ હવે, અરજદારોની વિવિધ પ્રકારની મહેસૂલી સેવાઓ માટેની અરજીઓ અંગે અરજદારો પાસેથી ગામ નમૂના નં. – 6 તથા 7/12 માંગવામાં આવતા નથી અને વહીવટીતંત્ર પોતે જ ઓનલાઈન મહેસૂલી રેકર્ડ મેળવી લે છે. તમામ મહેસૂલી કેસોની વિગતો આર.સી.એમ.એસ સોફ્ટવેર પર ઓનલાઇન કરવામાં આવી છે.

તેમણે વારસાઈના અનુસંધાને પેઢીનામું બનાવવાની જોગવાઈઓ વિશે જણાવતાં કહ્યું હતું કે, હક્કપત્રકે ખાતેદારની વારસાઈના કિસ્સામાં, સીધીલીટીના વારસોની હયાતની હક્ક દાખલના કિસ્સામાં તથા કૌટુંબિક વહેંચણીના કિસ્સામાં પેઢીનામાની જરૂરીયાત રહે છે. ગ્રામ્ય વિસ્તારમાં પંચાયત વિભાગ હેઠળના તલાટી કમ મંત્રી તેમજ શહેરી વિસ્તારમાં સિટી / કસ્બા તલાટી દ્વારા પેઢીનામું બનાવી આપવાની કાર્યવાહી કરવામાં આવે છે. અરજદાર દ્વારા ગામના પ્રતિષ્ઠિત વ્યક્તિઓની રૂબરૂમાં લખાવ્યાં અનુસાર પેઢીનામું તૈયાર કરવાનું હોય છે. તેમજ સમાવવા પાત્ર નામો પૈકી કાયદેસરના વારસદારનું નામ રહી ન જાય અને કાયદાકીય પ્રશ્નો ઉપસ્થિત ન થાય તે ધ્યાને રાખીને અરજદાર દ્વારા નિયત નમુનામાં સક્ષમ અધિકારી સમક્ષ કરેલા સોગંદનામુ રજૂ કરવાનું રહે છે.

તેમણે ઉમેર્યું હતું કે, આજની તારીખે મુખ્યત્વે 17 પ્રકારના ફેરફારોનો અમલ હક્કપત્રકે થતો જોવા મળે છે. અરજદાર દ્વારા ઓનલાઈન વારસાઇ નોંધ, સબ રજીસ્ટ્રાર કચેરી ખાતે સીધી ઓનલાઈન વેચાણ નોંધ, બેંકો દ્વારા સીધી ઓનલાઈન બોજો દાખલ તથા બોજો કમી નોંધ, હુકમી નોંધ – હુકમ કરનાર અધિકારી દ્વારા તેમજ ઈ-ધરા કેન્દ્ર ખાતે વસીયત, ભેટ, વહેંચણી, સહભાગીદારી હક દાખલ, હક કમી, ગીરો દાખલ, ગીરો મુક્તિ, સગીર પુખ્ત, હયાતીમાં હક દાખલ, હયાતીમાં વહેંચણી, બીજા હક દાખલ અને બીજા હક કમી જેવી 12 પ્રકારની નોંધો દાખલ કરવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp