CM પટેલે કર્યું સાંસ્કૃતિક વન-વટેશ્વર વનનું લોકાર્પણ, PM મોદીના કર્યા વખાણ

PC: khabarchhe.com

ગુજરાત સરકારે જણાવ્યું હતું કે, CM ભૂપેન્દ્ર પટેલે 73મા વનમહોત્સવ નિમિત્તે સુરેન્દ્રનગર ખાતે રાજ્યકક્ષાના ‘સાંસ્કૃતિક વન - વટેશ્વર વન’નું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે CMએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દીર્ઘદ્રષ્ટિ અને આયોજન થકી ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે ત્યારે નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી વિકાસ યાત્રાને વધુ સારી રીતે અને તેજગતિથી આગળ ધપાવવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. CM ભૂપેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું હતું કે, વન મહોત્સવના માધ્યમથી છેલ્લા બે દાયકામાં વનક્ષેત્રના વિસ્તારમાં વધારો થયો છે. વન મહોત્સવ થકી છેલ્લા બે દાયકામાં વન્ય વિસ્તારની બહારના વિસ્તારમાં 25.10 કરોડ વૃક્ષો હતા તેની સામે આજે 54 ટકાના વધારા સાથે 39.57 કરોડ વૃક્ષો છે.

તેમણે કહ્યું કે, 003માં જ્યાં 14 વૃક્ષ પ્રતિ હેક્ટર હતા ત્યારે આજે પ્રતિ હેક્ટર 25 વૃક્ષ છે. જેથી સમગ્ર ગુજરાતમાં વન ક્ષેત્રનો વિસ્તાર તેમજ વૃક્ષોની સંખ્યામાં પણ અનેકગણો વધારો થયો છે. છોડમાં રણછોડની ભાવના લોકોમાં વનમહોત્સવથી વધુ પ્રબળ બની છે.

વધુમાં CMએ જણાવ્યું કે, કોરોનાકાળમાં લોકોને ઓક્સિજનની જરૂરીયાતનો અનુભવ થયો છે. કુદરત તરફથી મળેલી અમૂલ્ય ભેટ-વૃક્ષોનું રક્ષણ અને જતન થાય તે સૌની સહિયારી જવાબદારી છે. સરકારે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાજ્યમાં 75 સ્થળોએ નમો વડ વન સ્થાપવાનું આયોજન કર્યું છે. જેની આજે અહીંથી શરૂઆત પણ કરવામાં આવી હતી.

CMએ ઉપસ્થિત તમામ લોકોને પોતાના જીવનકાળ દરમિયાન ઓછામાં ઓછુ એક ઝાડનું વાવેતર તેમજ ઉછેર કરવા તેમજ સુરેન્દ્રનગર તેમજ રાજ્યની જનતાને વટેશ્વર વનની મુલાકાત લઇ સુવિધાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોકોમાં રાષ્ટ્રભાવના પ્રબળ થાય, હ્વદયમાં રાષ્ટ્ર ભાવના જાગૃત રહે તે માટે તમામ લોકોને પોતાના ઘર, ઓફિસ કે કામકાજના સ્થળે તિરંગો લહેરાવી હર ઘર તિરંગા અભિયાનમાં સહભાગી થવા અપીલ કરી હતી.

કેન્દ્રીય આયુષ, મહિલા અને બાળ વિભાગના રાજ્ય મંત્રી ડૉ. મહેન્દ્ર મુંજપરાએ જણાવ્યું હતું કે, 5 હેકટરમાં પથરાયેલા વટેશ્વર વનમાં 3.5 હેક્ટરમાં આયુષ મંત્રાયલ દ્વારા ઔષધિય રોપાનું વાવેતર કરવામાં આવ્યું છે. આયુર્વેદએ ભગવાને આપેલ વિજ્ઞાન છે. ઋષિ મુનિઓએ ઔષધિઓના જતનમાં મહત્વની ભૂમિકા નિભાવી છે.

તેમણે ઉમેર્યું કે, કેટલાક રોપાને ઋષિમુનિઓનાં નામ પણ આપવામાં આવ્યા છે. આયુષ મંત્રાલય દ્વારા નમામી ગંગે પ્રોજેક્ટ અંતર્ગત પણ જડીબુટ્ટીઓનું વાવેતર કરવામાં આવ્યું છે. વૃક્ષો તથા ઔષધિઓના જતન માટેનો આપણો વારસો અવિરત જળવાઈ રહે તેમજ નવી પેઢીના બાળકોમાં જિજ્ઞાસાવૃત્તિ જાગે તે માટે 'પ્રોફેસર આયુષ્માન'નું પણ નિર્માણ કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાએ જણાવ્યું હતું કે આજે સુરેન્દ્રનગર જિલ્લા માટે ગૌરવનો દિવસ છે કારણ કે જિલ્લાને ભક્તિ વન બાદ દ્વિતીય સાંસ્કૃતિક વનની ભેટ મળી છે. આ વનનો લાભ જિલ્લાના નાગરિકોને લેવા જણાવ્યું હતું. વધુમાં તેમણે આ વન મહોત્સવ થકી સમગ્ર રાજ્યમાં 10.35 કરોડ રોપાઓનું વિતરણ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

વન અને પર્યાવરણ વિભાગના રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 2004થી વન મહોત્સવ ઉજવવાની હાકલ કરી હતી ત્યારથી લઈને આજ દિન સુધી આ કાર્ય અવિરત ચાલી રહ્યું છે. આપણા કુદરતી અને સાંસ્કૃતિક વારસાને જાળવવા માટે અત્યાર સુધી 22 વનોનું નિર્માણ કરવામાં આવ્યું છે.

તેમણે વૃક્ષોના મહાત્મ્ય અંગે તેમની આગવી શૈલીમાં જણાવ્યું હતું કે, જીવનનો શ્રૃંગાર છે વૃક્ષો, જીવનનો આધાર છે વૃક્ષો, પ્રકૃતિનો નયનરમ્ય વારસો છે વૃક્ષો, આવા અમૂલ્ય વૃક્ષોને સાચવીએ તથા પર્યાવરણનું જતન કરીએ.     અત્રે ઉલ્લેખનીય છે કે, ‘વટેશ્વર વન’ રાજ્યનું 22મું અને સુરેન્દ્રનગરનું બીજુ સાંસ્કૃતિક વન છે. ભગવાન વડવાળાનાં નામ ઉપરથી જેનું નામકરણ થયું છે, તેવું આ વન દૂધરેજ કેનાલ સાઈટ પર 5 હેક્ટર જેટલા વિસ્તારમાં 73 હજારથી વધુ છોડવાઓથી આકાર પામ્યું છે. 10 કરોડથી વધુનાં ખર્ચે આયુર્વેદ અને યોગની થીમ પર આ સાંસ્કૃતિક વનનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ વનમાં વનસ્પતિઓ અને તેમનાં ઔષધીય ગુણો ઉપરાંત સ્થાનિક સંસ્કૃતિ અને પ્રકૃતિનો પરિચય કેળવાય તે હેતુથી 33 જેટલી એમ્નેટીઝ ઉભી કરવામાં આવી છે.

પ્રેસ રીલિઝમાં જણાવાયું હતું કે, સુરેન્દ્રનગર-ઝાલાવાડ પ્રદેશનાં ઈતિહાસ, સાહિત્ય, સંસ્કૃતિનાં વિવિધ પાસાઓ પ્રતિબિંબિત થાય તે રીતે રજવાડી સ્થાપત્યકલા, લાકડા અને કુદરતી પથ્થરોનાં ઉપયોગ સાથે વટેશ્વર વનની રચના કરવામાં આવી છે. સમગ્ર વન આયુષ કલર ગાર્ડન, યોગા ગાર્ડન, ઝેન ગાર્ડન, સ્કલ્પચર ગાર્ડન, સેન્સ એન્ડ ટચ ગાર્ડન, ફ્રુટ એન્ડ ફન પાર્ક જેવા થીમ આધારિત ગાર્ડન્સ-વિભાગોની રચના કરવામાં આવી છે.

કાર્યક્રમ દરમિયાન સુરેન્દ્રનગર-દુધરેજ-વઢવાણ નગરપાલિકા વિસ્તારમાં સ્વર્ણિમ જયંતી CM શહેરી વિકાસ યોજના યુડીપી-88 અને આગવી ઓળખ યોજના અન્વયે અંદાજિત રૂપિયા 999.77 લાખના આર્ટસ કોલેજ સામેથી બસ સ્ટેન્ડ તરફ રિવરફ્રન્ટના કામનું ઈ-ખાતમુહૂર્ત પણ CMના હસ્તે કરવામાં આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp