ભુજમાં થયેલા અકસ્માતમાં પોલીસે મૃત વ્યક્તિને આરોપી બનાવી દીધો
બે દિવસ પહેલા એટલે કે રવિવારના રાત્રે 12 વાગ્યાના રોજ ભુજ-માંડવી રોડ પર ખાતરી તળાવ નજીક કાર અને જીપ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ચાર લોકોને સામાન્ય ઈજાઓ થવા પામી હતી અને એક યુવકનું મોત નીપજ્યું હતું. આ અકસ્માતને પગલે ભુજના કૈલાશ નગરમાં રહેતા અને ડ્રાઈવરનું કામ કરતા જીતેન્દ્રસિંહ ગોહિલ દ્વારા માનકુવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવી હતી. મહત્ત્વની વાત એ છે કે, આ અકસ્માતની ફરિયાદ મૃત વ્યક્તિ સામે નોંધાવવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, જ્યારે ભુજના રહેવાસી યોગેશની કાર સામેથી આવી રહેલી જીપ સાથ અથડાઈ હતી ત્યારે યોગેશની કારનો કચ્ચરઘાણ બોલી ગયો હતો. જેના કારણે યોગેશને ગંભીર ઈજાઓ થવા પામી હતી. જેથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને જીપમાં રહેલા ચાર લોકોને સામાન્ય ઈજાઓ થવાના કારણે તેમને સારવાર માટે ભુજની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતની ઘટના ગણતરીના કલાકોમાં જ ફરિયાદી જીતેન્દ્રસિંહ ગોહિલ દ્વારા મૃતક યોગેશ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
મહત્ત્વની વાત એ છે કે, જ્યારે અકસ્માતના ગુનામાં જે ફરિયાદી બનીને વીમાનો ક્લેઈમ કરે છે, તેને વધારે મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી, પરંતુ જેને પોલીસ ફરિયાદના તહોમતદાર બનાવવામાં આવે છે, તેને વીમાનો ક્લેઈમ કરવામાં ઘણી મુશ્કેલીઓ પડે છે. ત્યારે આ કેસમાં જીતેન્દ્રસિંહ ગોહિલ દ્વારા અકસ્માતના ગણતરીના કલાકોમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી દેવામાં આવી અને આ ફરિયાદમાં મૃતક યોગેશને તહોમદાર બનાવવામાં આવ્યો છે, જેનાં કારણે યોગેશના પરિવારને એક તરફ પુત્ર ગુમાવ્યાના દુઃખનો સામનો કરવો પડશે અને બીજી બાજુ વીમો ક્લેઈમ કરવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp