સી.આર.પાટીલના મતે આ શહેર સિંગાપોર બને તે દિશા તરફ આગળ વધી રહ્યું છે

PC: khabarchhe.com

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સુરત મહાનગરપાલિકા અને સુડાના રૂા.201.86 કરોડના શ્રેણીબદ્વ વિકાસકામોનું વર્ચ્યુઅલ માધ્યમથી લોકાર્પણ કરી, કોરોના સંક્રમણમાં પણ ગુજરાતની વિકાસયાત્રા અવિરત રહી છે તેવી વિભાવના વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીએ વિકાસની પ્રતિબદ્વતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, છેલ્લા મહિનાઓ દરમિયાન ગુજરાતમાં 12 હજાર કરોડના વિકાસકામોના લોકાર્પણ-ખાતમુહૂર્તો સાથે કોરોના સંક્રમણનો વ્યાપ રોકવા સાથે વિકાસની રાહ પર અગ્રેસર રહ્યું છે. ગુજરાતનો રિકવરી રેટ 90 ટકા તથા મૃત્યૃદર ઘટીને 2.25 ટકા જેટલો થયો છે. 'કોરોના હારશે અને ગુજરાત જીતશે'ના સંકલ્પ સાથે આગળ વધી રહ્યા છીએ.

નર્મદ નગરી સુરત સોનાની મૂરત બને તેવી સંકલ્પને સાકાર કરવા સુરત મહાનગરપાલિકાને અભિનંદન આપતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે, સ્વચ્છતા સર્વેક્ષણમાં દેશભરમાં સુરતે બીજા ક્રમે આવી ગુજરાતનું ગૌરવ વધાર્યું હતું. વડાપ્રધાનની દુનિયાના આધુનિક શહેરોની સાથે સ્પર્ધા કરે તેવી કલ્પનાને સાકાર કરવા મુખ્યમંત્રીએ સુરતમાં જનસહયોગની અપેક્ષા વ્યક્ત કરી હતી.

મુખ્યમંત્રીએ શહેરો માળખાકીય સુવિધા સાથે પર્યાવરણની સુરક્ષા, શાંતિ અને સલામતી માટે કડક કાયદાઓમાં સુધારાઓ કર્યા છે. 'ગુંડાઓ ગુજરાત છોડે અથવા ગુંડાગીરી છોડે' તેવા સુત્ર સાથે સરકારે પોલીસને કડક હાથે કામ લેવાના આદેશો આપ્યા છે. આગામી સમયમાં મેટ્રો ટ્રેન, રિવરફ્રન્ટ, તાપી શુદ્ધિકરણ, ડ્રીમસિટી જેવા સુરતના મહત્ત્વના પ્રોજેકટોને આગળ વધારવા માટે સરકાર યુદ્ધના ધોરણે કાર્ય કરી રહી છે. સુરત શહેર 'લેન્ડ ઓફ ઓપોર્ચ્યુનિટી' બની રહે તે દિશામાં આગળ વધવાની નેમ મુખ્યમંત્રીએ વ્યક્ત કરી હતી.

ગાંધીનગર ખાતેથી ઓનલાઈન જોડાયેલા સાંસદ સી.આર.પાટીલે જણાવ્યું કે, સુરત શહેર સિંગાપોર બને તે દિશા તરફ આગળ વધી રહ્યું છે. સમગ્ર દેશની મહાનગરપાલિકાઓની સરખામણીએ સુરત સ્માર્ટ સિટીની કામગીરી ઝડપથી આગળ વધી રહી છે. તેમણે રાજ્ય સરકારને સુરતના વિકાસમાં સહયોગ બદલ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.

સુરત ખાતે જોડાયેલા સાંસદ મતિ દર્શનાબેન જરદોશે જણાવ્યું હતું કે, સુરત કોરોનાની સામેની લડાઈની સાથે વિકાસની રાજનીતિમાં પણ આગળ વધી રહ્યું છે. મેટ્રોસિટી, ગાર્ડન સિટી, ટેરેસ અને મોઝેક ગાર્ડન જેવા નવા પ્રકલ્પો સાથે સુરતે વિકાસની ગતિ તેજ રાખી હોવાનું જણાવ્યું હતું.

આ અવસરે મેયર જગદીશ પટેલે કોરોના કાળની વચ્ચે પણ સતર્કતા-સાવધાનીપૂર્વક લોકહિતના કાર્યોની ગતિ અટકે નહી તે રીતે સુરતની વિકાસયાત્રા આગળને આગળ ધપતી રહેશે તેવી ખાત્રી આપી હતી.

વર્ચ્યુઅલ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન કરતા મ્યુ.કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, કુંભારીયાથી કડોદરા સુધીના સાત કિ.મી.ના BRTSના લોકાર્પણની સાથે સમગ્ર શહેરમાં 108 કિ.મી.જેટલા BRTSનું નિર્માણ થયું છે જે સમગ્ર દેશમાં સૌથી વધુ લંબાઈ ધરાવતો બી.આર.ટી.એસ બન્યો છે. જેના કારણે સુરતથી કડોદરા વિસ્તારના શ્રમિકો, મુસાફરોને સલામત અને ઝડપી પરિવહનની બહેતર સુવિધાઓ પ્રાપ્ત થશે. અણુવ્રત દ્વાર જંકશનથી જમનાબા પાર્ક સુધીના ત્રણ કિ.મી. સુધીના કેનાલ કોરિડોર જેવા આંતરરાષ્ટ્રીય કક્ષાના માર્ગનું નિર્માણ થયું છે.

આ ઈ-લોકાર્પણના અવસરે સુરત શહેરના 11 જેટલા સ્થળોએ તથા પાલિકાના સ્મેક સેન્ટર ખાતે ધારાસભ્ય વિવેક પટેલ, સંગીતાબેન પાટીલ, ડે.મેયર નિરવ શાહ, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન, શાસકપક્ષના નેતા ગિરજાશંકર મિશ્રા, મ્યુ.કમિશનર બંછાનિધિ પાની, અગ્રણી નિતિન ભજીયાવાલા, વિવિધ સમિતિઓના ચેરમેનઓ, કોર્પોરેટરો, નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp