દેશના 12 શહેરોની ‘હૃદય’ યોજનામાં ગુજરાતનું છે આ એકમાત્ર તીર્થધામ

PC: daiwikhotels.com/

મુખ્યમંત્રી વિજય રૂપાણી ગુરૂવાર તા.24 મે એ સુપ્રસિદ્ધ તીર્થધામ દ્વારકામાં બેટ દ્વારકામાં રૂ. 14.43 કરોડના યાત્રાળુ સુવિધા કામોનો પ્રારંભ કરાવશે. ભારત સરકારના શહેરી વિકાસ મંત્રાલયે દેશના અગ્રીમ સાંસ્કૃતિક ચેતના કેન્દ્ર સમા 12 શહેરો-તીર્થધામોની હેરિટેજ સિટી ડેવલપમેન્ટ એન્ડ એગમેન્ટેશન યોજના -‘હૃદય’ તહેત માળખાગત સુવિધા અને પ્રવાસીઓની સુવિધા-સુખાકારી વૃદ્ધિ માટે પસંદગી કરી છે.

ગુજરાતના એકમાત્ર તીર્થસ્થાન દ્વારિકાનો આ યોજનામાં સમાવેશ થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિશેષ નિર્દેશનથી દ્વારકા સાથે જ બેટ દ્વારકા તીર્થને પણ આ ‘હૃદય’ યોજનાનો લાભ આપવામાં આવી રહ્યો છે. તદ્દઅનુસાર મુખ્યમંત્રી આવતીકાલે બપોરે 3 કલાકે આ યોજના અંતર્ગત બેટ દ્વારકામાં મહત્ત્વના પવિત્ર અને સાંસ્કૃતિક સ્થળોના વિકાસ માટે સમગ્રતયા રૂ. 14.43 કરોડના કામોનો પ્રારંભ કરાવવાના છે. આ પૂર્વે વિજય રૂપાણી દેવભૂમિ દ્વારકાના બરડીયામાં સુજલામ્ સુફલામ્ જળ અભિયાન અંતર્ગત શ્રમદાનમાં જોડાશે.

અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે દ્વારકા શહેરમાં ‘હૃદય’ યોજના અંતર્ગત રૂા. 15 કરોડના વિકાસકામો હાલ કાર્યન્વિત છે.

સમગ્ર દ્વારકા શહેરને પાંચ ઝોનમાં વહેચીને જાહેરમાર્ગનું વિસ્તૃતિકરણ અને નવિનકરણ, સુવિધાસભર ફુટપાથ, પબ્લીક એડ્રેસ સીસ્ટમ અને CCTVની સુવિધા સાથેની એલઇડી રોડ લાઇટીંગ, ટુરીસ્ટ ફેસિલિટી સેન્ટર, સુવિધાસભર ટોયલેટ બ્લોક, શહેરમાં વિવિધ સ્થળોએ પ્રવાસી બેઠક વ્યવસ્થા જેવા માળખાગત સુવિધાઓના કામ આ યાત્રાધામમાં પ્રગતિમાં છે.

‘હૃદય’ યોજનાનો ઉદેશ માત્ર ભૌતિક સુવિધાઓ વધારવા પુરતો સીમિત નથી, પરંતુ તેનાથી પણ આગળ વધીને સંસ્કૃતિક વારસો, પરંપરાગત કલાઓની જાળવણી અને સંવર્ધનનો પણ છે. આ દિશામાં દ્વારકા નગરપાલિકાએ છેલ્લા 1 વર્ષમાં 2 વખત ગોમતી ઘાટ ક્રાફ્ટમેળાનું સફળતાપૂર્વક આયોજન કર્યુ હતું.

ગયા વર્ષે જન્માષ્ટમીના પર્વે ભગવાન કૃષ્ણની જીવનલીલાઓ અને સાંસ્કૃતિક વારસાને કેન્દ્રમાં રાખતી રાજ્યકક્ષાની ચિત્ર સ્પર્ધાનું પણ સફળતાપૂર્વક આયોજન કર્યુ હતુ. ઓરિસ્સાની માફક ગુજરાતના વિશાળ દરીયા કિનારે પણ રેતશિલ્પની કલા વિકસે તેવી પ્રધાનમંત્રીની સંકલ્પના સાકાર કરવા જન્માષ્ટમી પર્વે ગોમતીઘાટે માત્ર દરીયાની રેતીથી જગતમંદીરની આબેહુબ પ્રતિકૃતી તૈયાર કરવામાં આવી હતી. મુખ્યમંત્રી આ વિકાસકાર્યો સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કૂપોષણમુક્તિના સંદેશ સાથે જિલ્લા વહિવટીતંત્ર પ્રેરિત ‘કાન્હાનું કામ, દૂધનું દાન’ અભિયાનનો પણ પ્રારંભ કરાવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp