ગુજરાત સરકાર ટાપુઓ પર ફરવા મોકલવા માગે છે, ટૂરિઝમના વિકાસ માટે લેવાયો આ નિર્ણય
ગુજરાત સરકારે રાજ્યના દરિયામાં આવેલા 55 આઇલેન્ડનો વિકાસ કરવાની યોજના અને પોલિસી બનાવી હતી પરંતુ તેમાં ખાનગીકરણ કરવાની દરખાસ્ત સ્વિકારવામાં બ્રેક લાગી ચૂકી છે. આઇલેન્ડના ડેવલપમેન્ટ માટે ડેવલપર્સની પસંદગી થઇ શકી નથી. જો કે સીએમઓ એ આ દિશામાં કામ કરવા ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બોર્ડ અને પ્રવાસન વિભાગને ફરી એકવાર સૂચના આપી છે.
ગુજરાતને 1600 કિલોમીટરનો લાંબો દરિયાકિનારો મળ્યો છે. આ દરિયામાં આઇલેન્ડને આંદામાન અને નિકોબારની જેમ વિકસાવવાનો સરકારનો પ્લાન છે. જો આ પ્લાન સક્સેસ થાય તો ઉનાળાની સિઝનમાં લોકોને બહુ દૂર જવું પડશે નહીં, કારણ કે આ આઇલેન્ડ પર જવા માટે બોટ મોજૂદ હશે. આઇલેન્ડ પર પર્યાવરણિય જતન સાથેની હોટલ્સ અને મોટલ્સ મળશે.
રાજ્યના આટલા વિશાળ દરિયા કિનારાનો કોઇ ઉપયોગ થતો નથી. વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી માટે પણ સરકાર મંજૂરી આપતી નથી. બીચ ટુરિઝમ પ્રોજેક્ટ ફ્લોપ સાબિત થયો છે, કારણ કે સરકારને ડેવલપર્સ મળતા નથી. હવે આઇલેન્ડ પોલિસી અંગે કોઇ કાર્યવાહી આગળ ધપતી નથી. સરકારની સૂચના પછી ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડ તરફથી એક એજન્ડા બનાવવામાં આવ્યો છે જેમાં પ્રવાસન, ઉદ્યોગ અને ફાયનાન્સના ઓફિસરોને ઓસ્ટ્રેલિયા, સિંગાપોર, લક્ષ્યદ્વિપ અને આંદામાન-નિકોબારમાં અભ્યાસ માટે મોકલવાની ભલામણ કરવામાં આવી છે.
ઉદ્યોગ વિભાગના એક ઉચ્ચ અધિકારીએ કહ્યું હતું કે એજન્ડામાં નક્કી કરવામાં આવેલા આ ઓફિસરો ઉપરોક્ત વિસ્તારોના આઇલેન્ડ ડેવલપમેન્ટનો અભ્યાસ કરીને એક સર્વગ્રાહી પોલિસી બનાવશે જેનો ખૂબ જ ઝડપથી અમલ બનાવવામાં આવશે. આ પોલિસીમાં ખાનગી ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા સહિતના મુદ્દાનો સમાવેશ કરવામાં આવ્યો છે. જોકે આ પછી આ યોજનામાં કોઇ પ્રગતિ થઇ શકી નથી.
મૂળ યોજના પ્રમાણે ગુજરાત સરકાર આઇલેન્ડ ડેવપમેન્ટ ઓથોરિટી પણ બનાવવા માગે છે. આઇલેન્ડ ડેવલપમેન્ટમાં પ્રથમ તબક્કે સૌરાષ્ટ્રના આઠ જેટલા ટાપુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે તેમાં પ્રવાસીઓને આકર્ષવા માટે હોટલ્સ, દરિયાની રમતો, મનોરંજનના સાધનો, એડવેન્ચર સહિતની સુવિધાઓ પ્રાપ્ય બનાવવામાં આવશે. સરકારે રાજ્યમાં દરિયામાં આવેલા 55 આઇલેન્ડનો વિકાસ કરવાનું નક્કી કર્યું છે.
ગુજરાતમાં માત્ર દરિયામાં જ ટાપુઓ છે તેવું નથી. કેટલીક નદીઓની વચ્ચે પણ આઇલેન્ડ જેવી ખૂબસુરત જગ્યાઓ છે. નવી નિતીમાં નદીઓના આ આઇલેન્ડનો પણ સમાવેશ કરવામાં આવે તેવી સંભાવના છે. વિશ્વમાં મોરેશિયસ, ઓસ્ટ્રેલિયા, થાઇલેન્ડ જેવા દેશોમાં પ્રાઇવેટ આઇલેન્ડ પ્રખ્યાત છે તેનો પણ અભ્યાસ કરવાનું આયોજન છે.
જામનગરના પિરોટન, દ્વારકા, પોરબંદર, આલિયાબેટ, મિયાણી, ઓખા, માધવપુર અને નર્મદા નદીની નજીકના પ્રખ્યાત કબીરવડનો પ્રથમ તબક્કે વિકાસ કરવામાં આવશે તેવું આ ઓફિસરે કહ્યું હતું. ડેવલપમેન્ટ બોર્ડ તરફથી પર્યાવરણિય સ્થિતિ, નકશા, ટેપોગ્રાફી, વિજીટેટીવ નેચર, જંગલ, વાઇલ્ડલાઇફ, પ્રોટેક્શન, જમીનના હક્કો, રહેણાંકના હક્કો એવી તમામ બાબતોના આધારે વિકાસ પ્લાન બનાવવાનું નક્કી કર્યું છે. સરકાર દ્વારા આ આઇલેન્ડના વિકાસ માટે ભારત સરકારના કોલ્ટલ ઝોન રેગ્લુલેટરી ઓથોરિટીની મંજૂરીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
સરકારની પોલિસી ઉત્તમ છે પરંતુ તે પોલિસી પ્રમાણે ઝડપથી કામ શરૂ કરવામાં આવે તો ગુજરાત દેશ જ નહીં વિદેશના પ્રવાસીઓ પણ આકર્ષી શકે છે. કહેવાય છે કે આઇલેન્ડના ડેવલમેન્ટ માટે સરકાર પ્રાઇવેટ પાર્ટનરશીપ કરવા માગે છે અને આઇલેન્ડના વિકાસના કામો માટે સરકાર ગ્લોબલ ટેન્ડર ઉભા કરશે, જો કે આ પ્રોજેક્ટસ ત્યારે જ સફળ થઇ શકશે જ્યારે સરકારની ઇચ્છાશક્તિ તેને ડેવલપ કરવાની હશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp