લ્યો હવે આપણી ગૌમાતાઓના દર્શને વિદેશી લોકો આવશે, જાણો કથિરીયાનો પ્લાન...
ગુજરાતમાં ગાય આધારિત પ્રવાસન વિકસાવવા માટે રાજ્ય સરકારે પ્રયાસ શરૂ કર્યા છે. દેશના જે રાજ્યોમાં ગાયોનું મહત્વ વધારે છે તેવા રાજ્યોમાં પ્રવાસન સરકીટ બનશે. રાષ્ટ્રીય કામધેનુ આયોગની રચના આ હેતુથી કરવામાં આવી છે. દેશી ગાયની નસલ પેદા કરે છે તેવા રાજ્યોમાં આ સરકીટ બનાવવામાં આવે તેવી સંભાવના છે.
ભારત સરકાર દેશમાં ગાય સરકીટ બનાવવા માગે છે જેમાં ગુજરાતને પણ જોડવામાં આવ્યું છે. ગાય આધારિત પ્રવાસન અર્થવ્યવસ્થાને ઉત્તેજન આપશે. નવરચિત રાષ્ટ્રીય કામધેનું આયોગે એક એવો માર્ગ બનાવવાનો પ્રયાસ કર્યો છે કે જેના દ્વારા ગાયની સમજ અને તેના ઉત્પાદનોનો વિદેશોમાં પણ પ્રચાર પ્રસાર થઇ શકશે. આયોગે આ સરકીટ માટે હરિયાણા, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરલ અને ગોવા જેવા રાજ્યોને પસંદ કર્યા છે.
રાષ્ટ્રીય કામધેનુ આયોગના અધ્યક્ષ વલ્લભ કથીરિયાએ કહ્યું હતું કે વિદેશી પ્રવાસીઓને આકર્ષવા માટે દેશમાં વિવિધ પ્રવાસન સ્થળોને વિકસાવવામાં આવ્યા છે. એવી જ રીતે અમે ગાય આધારિત પ્રવાસને ઉત્તેજન આપવા માગીએ છીએ. વિદેશી પ્રવાસીઓ, વિદેશી વિદ્યાર્થીઓ અને વિદેશી સંશોધનકર્તાઓ માટે આ સરકીટ મહત્વની બની રહેશે.
કથીરિયાએ કહ્યું કે કેટલાક દેશો એવા છે કે જેમને ગાયના ગુણો ખબર નથી. તેમને આપણે આમંત્રણ આપીને આ સરકીટ જોવા બોલાવીશું. આ સરકીટમાં ગુજરાત મોડલ સ્ટેટ બનશે. ગુજરાત સહિત જે રાજ્યોમાં વિવિધ પ્રકારની ગાયો છે તેનું મહત્વ વધારવાનો મુખ્ય ઉદ્દેશ છે. એ સાથે ગાયના દૂધ, છાણ અને મૂત્રના ઉત્પાદનોનો બહોળી માત્રામાં પ્રચાર કરવામાં આવશે. ગૌ આધારિત અર્થવ્યવસ્થાને તેનાથી બળ મળશે. રાજ્યના પ્રવાસન સ્થળો અને ધાર્મિક સ્થળો પર આ બધી પ્રોડક્ટ્સ વેચવામાં આવશે.
કથિરીયાએ કહ્યું કે ગુજરાતના યાત્રાધામ સ્થળો, દેશની મોટી જેલો અને કેરલ તેમજ ગોવા જેવા રાજ્યોના આયુર્વેદિક ઉપચાર કેન્દ્રોમાં ગાય આધારિત ઉત્પાદનોને વેચવામાં આવશે. આયોગ દ્વારા દેશભરમાં 400થી પણ વધારે ગૌ પ્રવાસન કેન્દ્રો બનાવવામાં આવશે જેમાં પ્રાઇવેટ કંપનીઓની ભાગીદારી હશે. કેન્દ્ર સરકાર પ્રતિ કેન્દ્ર બે કરોડ રૂપિયાનું રોકાણ કરશે.
કથીરિયાએ કહ્યું કે ધાર્મિક સંગઠનો, ખાનગી ફાર્મ, બિન સરકારી સંગઠનો અને પશુપાલકોને આ યોજનામાં સામેલ કરવામાં આવશે. વિવિધ સંપ્રદાયની ગૌશાળાઓને પણ આ પ્રોજેક્ટમાં સામેલ કરાશે. ઉલ્લેખનીય છે કે વલ્લભ કથિરીયા પૂર્વ સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી છે. તેમણે ગુજરાત ગૌસેવા આયોગમાં 10 વર્ષ સુધી અધ્યક્ષપદ સંભાળ્યું છે અને હવે તેઓની નિયુક્તિ રાષ્ટ્રીય કામધેનુ આયોગમાં અધ્યક્ષ તરીકે થયેલી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp