દશેરાએ RSSના વડા મોહન ભાગવતે લોકસભા-2024ની ચૂંટણી મામલે આપ્યું મોટું નિવેદન

PC: news9live.com

દેશની સૌથી મોટી સંસ્થામાની એક રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ (RSS) માટે વિજ્યાદશમીની ઉજવણીનું ખાસ મહત્ત્વ છે. RSS દશેરાના દિવસે શસ્ત્રોની પુજા કરે છે અને RSSના વડા મોહન ભાગવત કાર્યકરોને સંબોધન કરે છે. આ વખતે પણ મોહન ભાગવતે સંબોધન કર્યું અને લોકસભાની ચૂંટણી વિશે પણ વાત કરી છે.

આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીને હવે લગભગ 6 મહિના બાકી છે. તમામ રાજકીય પક્ષો મતદારોને રીઝવવામાં વ્યસ્ત છે. દરમિયાન, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (rss)ના વડા મોહન ભાગવતે લોકોને ચેતવણી આપી છે અને કહ્યું છે કે તેઓ 2024ની લોકસભા ચૂંટણીમાં કોઈ પણ પ્રકારની તોફાન અને ઉશ્કેરણીનો શિકાર ન બને.

નાગપુરમાં RSSના વાર્ષિક વિજ્યાદશમી કાર્યક્રમને સંબોધિત કરતી વખતે મોહન ભાગવતે લોકોને દેશની એકતા, અખંડતા, ઓળખ અને વિકાસને ધ્યાનમાં રાખીને મતદાન કરવાનું આહવાન કર્યું હતું.

તેમણે પોતાના સંબોધનમાં મણિપુર હિંસાનો પણ ઉલ્લેખ કર્યો હતો. કાર્યક્રમને સંબોધતા મોહન ભાગવતે મંગળવારે સવાલ કર્યો હતો કે શું મણિપુરમાં જાતિ હિંસામાં સરહદ પારના ઉગ્રવાદી સામેલ હતા? મોહન ભાગવતે કહ્યું, 'મૈતેઇ અને કુકી સમુદાયના લોકો ઘણા વર્ષોથી સાથે રહે છે. તેમની વચ્ચે અચાનક હિંસા કેવી રીતે ફાટી નીકળી? બાહ્ય શક્તિઓ સંઘર્ષથી લાભ મેળવે છે. શું બાહ્ય પરિબળો સામેલ છે?'

તેમણે આગળ કહ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ 3 દિવસ મણિપુરમાં હતા. વાસ્તવમાં સંઘર્ષને કોણે વધાર્યો? આ હિંસા થઇ નથી રહી તેને કરાવવામાં આવી રહી છે.

RSSના પ્રમુખ કહ્યુ કે તેમને સંઘના એ કાર્યકરો પર ગર્વ છે. જેમણે મણિપુરમાં શાંતિ સ્થાપિત કરવાની દિશામાં કામ કર્યું હતું. ભાગવતે કહ્યુ કે, કેટલાંક અસામાજિક તત્ત્વો પોતાને સાંસ્કૃતિક માર્કસવાગી કહે છે, પરંતુ તેઓ માર્ક્સને ભુલી ગયા છે.

મોહન ભાગવતે કહ્યું, જીવનમાં સમસ્યાઓ રહે છે અને તે કોઈ મોટી વાત નથી, પરંતુ આપણે બતાવી રહ્યા છીએ કે અમે તેને કેવી રીતે સુધારી શકીએ છીએ.આજે દુનિયા સમસ્યાઓના ઉકેલ માટે ભારત તરફ જોઈ રહી છે. તેમણે વધુમાં કહ્યું કે, આપણા નેતૃત્વના કારણે આજે વિશ્વમાં ભારતની છબી ઉંચી બની છે. આ વખતે આપણા ખેલાડીઓએ એશિયન ગેમ્સમાં 100થી વધારે મેડલ જીત્યા છે. આપણો દેશ આજે દરેક ક્ષેત્રમાં આગળ વધી રહ્યો છે. ડિજિટલનો ઉપયોગ ગરીબ કલ્યાણ માટે થઇ રહ્યો છે. સ્ટાર્ટઅપમાં પણ ક્રાંતિ થઇ, આપણે ખેતીથી માંડીને અવકાશ સુધી પ્રગતિ કરી છે. આપણે આગળ વધી રહ્યા છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp