નસીરુદ્દીન શાહે કહ્યું- હિન્દી સિનેમામાં કંઈક સારું ત્યારે જ બનશે જ્યારે...
![](https://khabarchhe.com/uploads/mc_path/170833020823.jpg)
નસીરુદ્દીન શાહનું નામ બોલિવૂડના એવા સ્ટાર્સમાં સામેલ છે જેમની એક્ટિંગની આખો દેશ પ્રશંસા કરે છે. હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા નસીરુદ્દીન શાહ અવારનવાર એક યા બીજા નિવેદનને કારણે ચર્ચામાં રહે છે. ઘણીવાર તે ફિલ્મો વિશે પોતાના મંતવ્યો શેર કરે છે.
તે લગભગ દરેક મુદ્દા પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતા જોવા મળે છે. તે બોલિવૂડ સેલેબ્સ અને હિન્દી સિનેમાને પણ નિશાન બનાવતા રહે છે. હવે તાજેતરમાં જ આ દિગ્ગજ અભિનેતાએ ફરી એકવાર બોલિવૂડ ફિલ્મો પર નિશાન સાધ્યું છે. અભિનેતાએ કહ્યું કે, હિન્દી સિનેમામાં કંઈક સારું ત્યારે જ બનશે જ્યારે પૈસા કમાવવા માટે ફિલ્મો બનાવવાનું બંધ કરવામાં આવશે.
હકીકતમાં, નસીરુદ્દીન શાહે નવી દિલ્હીમાં ‘મીર કી દિલ્લી, શાહજહાનાબાદઃ ધ ઈવોલ્વિંગ સિટી’માં કહ્યું હતું કે, 'હિન્દી ફિલ્મ નિર્માતાઓ છેલ્લા 100 વર્ષથી એક જ પ્રકારની ફિલ્મો બનાવી રહ્યા છે. તેમણે કહ્યું કે, તે મને ખરેખર નિરાશ કરે છે કે, હિન્દી સિનેમા 100 વર્ષ જૂનું છે તેમ કહીને આપણે ગર્વ અનુભવીએ છીએ પરંતુ અમે એક જ પ્રકારની ફિલ્મો બનાવી રહ્યા છીએ.'
અભિનેતાએ આગળ કહ્યું કે 'મેં હિન્દી ફિલ્મો જોવાનું બંધ કરી દીધું છે, મને તે બિલકુલ પસંદ નથી. હિન્દુસ્તાની ફૂડ દરેક જગ્યાએ પસંદ કરવામાં આવે છે, કારણ કે તેમાં સ્વાદ હોય છે. હિન્દી ફિલ્મોની શક્તિ શું છે? ભારતીય હિન્દી ફિલ્મો આખી દુનિયામાં જોવામાં આવે છે, કારણ કે તે તેમને તેમના ઘર સાથે જોડે છે, પરંતુ ટૂંક સમયમાં જ બધા તેનાથી કંટાળી જશે.'
શાહે વધુમાં કહ્યું હતું કે 'હિન્દી સિનેમા માટે ત્યારે જ આશા છે, જ્યારે આપણે તેને પૈસા કમાવવાના સાધન તરીકે જોવાનું બંધ કરીએ. પણ મને લાગે છે કે, હવે ઘણું મોડું થઈ ગયું છે. હવે કોઈ ઉકેલ નથી કારણ કે જે ફિલ્મો હજારો લોકો જોશે તે બનતી રહેશે અને લોકો બનાવતા રહેશે. તેથી જે લોકો ગંભીર મુદ્દાઓ પર ફિલ્મો બનાવવા માંગે છે, તેમની જવાબદારી છે કે, તેઓ આજની વાસ્તવિકતા બતાવે અને એવી રીતે બતાવે કે તેમને કરોડો ન મળે અથવા ED તેમનો દરવાજો ખટખટાવે નહીં.' તેમણે કહ્યું કે, ઘણા ઈરાની ફિલ્મ નિર્માતાઓએ અધિકારીઓ દ્વારા સતામણી થવા છતાં ફિલ્મો બનાવી છે. તેમજ ભારતીય કાર્ટૂનિસ્ટ R.K.લક્ષ્મણનું ઉદાહરણ આપતા કહ્યું કે, તેઓ ઈમરજન્સીના દિવસોમાં પણ કાર્ટૂન બનાવી રહ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp