શું હવે સંજય દત્ત પણ લોકસભા ચૂંટણીથી રાજકારણમાં પાછો ફરશે? બાબાએ આપ્યો જવાબ
આ ચૂંટણીમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીના બે મોટા નામ કંગના રનૌત અને ગોવિંદા રાજકીય મેદાનમાં ઉતર્યા છે. રાજકારણમાં કંગનાની આ પહેલી ઇનિંગ છે, તો ગોવિંદા બીજી વખત રાજકારણમાં હાથ અજમાવી રહ્યો છે. બંનેના રાજકારણમાં પ્રવેશના સમાચાર આવ્યા પછી ચર્ચાઓ થવા લાગી હતી કે, લાંબા સમયથી રાજકારણમાં પોતાના મૂળિયા ધરાવનાર ઈન્ડસ્ટ્રીનો વધુ એક મોટો અભિનેતા પણ રાજકારણમાં કમબેક કરવા જઈ રહ્યો છે. અને આ અભિનેતા છે સંજય દત્ત.
છેલ્લા કેટલાક દિવસોથી સંજય દત્ત વિશે સમાચારો અને સોશિયલ મીડિયાની ચર્ચાઓમાં એવી અટકળો ચાલી રહી હતી કે, તે પણ આ ચૂંટણીની રેસમાં હાથ અજમાવી શકે છે. હવે આ સવાલનો જવાબ ખુદ સંજયે આપ્યો છે. તેણે તેના X (અગાઉ ટ્વિટર) એકાઉન્ટ પર પોસ્ટ કરીને રાજકારણમાં પ્રવેશના સમાચાર પર પ્રતિક્રિયા આપી.
સંજય દત્તે સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું કે, 'હું રાજકારણમાં મારા પ્રવેશ અંગેની તમામ અફવાઓનો અંત લાવવા માંગુ છું. હું કોઈ પાર્ટીમાં જોડાઈ રહ્યો નથી, કે ચૂંટણી લડી રહ્યો નથી.' સંજયે વધુમાં કહ્યું હતું કે, જો તે ક્યારેય આવું કંઈક કરવા માંગશે તો તે છુપાવશે નહીં. તેણે લખ્યું, 'જો હું રાજકીય મેદાનમાં આવવાનું નક્કી કરીશ તો પણ હું પોતે આની જાહેરાત કરનાર પ્રથમ વ્યક્તિ બનીશ. મહેરબાની કરીને આ દિવસોમાં મારા વિશેના સમાચારોમાં જે કંઈ ચાલી રહ્યું છે તેના પર વિશ્વાસ કરવાનું ટાળો.'
I would like to put all rumours about me joining politics to rest. I am not joining any party or contesting elections. If I do decide to step into the political arena then I will be the first one to announce it. Please refrain from believing what is being circulated in the news…
— Sanjay Dutt (@duttsanjay) April 8, 2024
આ પહેલીવાર નથી જ્યારે સંજયે રાજનીતિમાં પ્રવેશની અફવાઓ પર પ્રતિક્રિયા આપવી પડી હોય. મીડિયા સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર, 2019માં, તેણે મહારાષ્ટ્રના એક મંત્રીના દાવાને રદિયો આપ્યો હતો કે, તે રાષ્ટ્રીય સમાજ પક્ષ પાર્ટીમાં જોડાવા જઈ રહ્યો છે.
અગાઉ, એક નજીકના મિત્રની સલાહ પર, સંજય દત્તે 2009ની લોકસભાની ચૂંટણી સમાજવાદી પાર્ટીના ઉમેદવાર તરીકે લડવાનું નક્કી કર્યું હતું. જોકે, પાછળથી તેણે પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. આ પછી તેમને સમાજવાદી પાર્ટીના મહાસચિવ બનાવવામાં આવ્યા. તેમણે 2010માં આ પદ છોડી દીધું હતું. સંજયના પિતા સુનીલ દત્ત કોંગ્રેસ પાર્ટીના સાંસદ હતા અને તેમની રાજકીય કારકિર્દી ખુબ લાંબી હતી.
સંજયના પ્રોજેક્ટની વાત કરીએ તો, તે સાયન્સ-ફિક્શન કોમેડી 'ધ વર્જિન ટ્રી'માં જોવા મળશે. આમાં તેની સાથે સની સિંહ, મૌની રોય અને પલક તિવારી પણ હશે. આ પછી તે અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી, પરેશ રાવલ અને દિશા પટણી સાથે 'વેલકમ ટુ ધ જંગલ'માં જોવા મળશે. આ ફિલ્મ ડિસેમ્બર 2024 સુધીમાં સિનેમાઘરોમાં રજૂ થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp