આર્યનની ધરપકડ કરનારા સમીર વાનખેડે પર બનશે ફિલ્મ, જાણો પૂરી યોજના

PC: esakal.com

વર્લ્ડ સિનેમામાં ભલે ચર્ચિત વ્યક્તિઓના જીવન પર બનનારી સ્ટોરી એટલે કે બાયોપિક ફિલ્મોનો કારોબાર દિવસે ને દિવસે નીચે જઈ રહ્યો હોય, હિંદી સિનેમામાં સક્રિય નિર્માતાઓનો આ શ્રેણીને લઈને મોહ હજુ પણ બની રહ્યો છે. ખબર છે કે, હવે શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનની ડ્રગ્સ કેસમાં ધરપકડ કરી ચર્ચામાં આવેલા પૂર્વ NCB અધિકારી સમીર વાનખેડેની બાયોપિક બનવા જઈ રહી છે. ફિલ્મનું શૂટિંગ વર્ષના અંત સુધી શરૂ કરી દેવાની તૈયારી ચાલી રહી છે.

જાણકારી અનુસાર, મુંબઈમાં NCB ઓફિસર તરીકે તહેનાત રહેલા સમીર વાનખેડેની બાયોપિકનું નિર્માણ પંકજ ત્રિપાઠીને લઈને બની રહેલી પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપેયીની બાયોપિક ‘મૈં અટલ હૂં’ના નિર્માતાઓમાંથી એક જીશાન અહમદ કરવા જઈ રહ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે, ટીવી જર્નાલિસ્ટ નિધિ રાજદાન પણ આ ફિલ્મની રાઇટિંગ ટીમમાં સામેલ છે અને આ ફિલ્મનો મુખ્ય આધાર સમીર વાનખેડે સાથે થયેલી તેમની વાતચીતને જ બનાવવામાં આવી રહ્યો છે.

સમીર વાનખેડેની બાયોપિક લખી રહેલા પ્રીતમ ઝા અનુસાર, આ ફિલ્મમાં વાનખેડેના જીવન સાથે સંકળાયેલા એ પહેલુંઓ અંગે જણાવવામાં આવશે, જેનાથી લોકો હજુ સુધી અજાણ્યા છે. ફિલ્મની સ્ક્રિપ્ટ પૂર્ણ થયા બાદ ફિલ્મ માટે કલાકારોની પસંદગી પર કામ શરૂ થશે અને આ વર્ષના અંત સુધી ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ જશે. સમીરનું કેરેક્ટર નિભાવવા માટે હિંદી સિનેમાના કેટલાક દિગ્ગજ કલાકારો સાથે વાતચીત ચાલી રહી છે અને તેમાથી જે પણ નામ ફાઇનલ થશે, તે અંગે ફિલ્મની પટકથા પૂર્ણ થયા બાદ ખુલાસો કરવામાં આવશે.

વર્ષ 2008માં UPSCની પરીક્ષા પાસ કર્યા બાદ સમીર વાનખેડેને સૌથી પહેલા મુંબઈમાં ભારતીય રાજસ્વ સેવા (IRS) ના અધિકારી તરીકે તહેનાતી મળી અને ત્રણ વર્ષ બાદ ક્રિકેટ વર્લ્ડ કપની ટ્રોફીને એરપોર્ટ પર જપ્ત કરવાના મામલાથી તેઓ પહેલીવાર ચર્ચામાં આવ્યા. કસ્ટમ ડ્યૂટી જમા કર્યા બાદ જ વર્લ્ડ કપ ટ્રોફીને પાછી આપવામાં આવી હતી. ત્યારબાદ 2013માં સમીર વાનખેડેએ સિંગર મીકા સિંહને એરપોર્ટ પર રોકી લેવામાં આવ્યો હતો કારણ કે, તે નક્કી કરેલી મર્યાદા કરતા વધુ વિદેશી મુદ્રા સાથે પ્રવાસ કરી રહ્યો હતો. મીકા સિંહે આ મામલામાં જામીન લેવા પડ્યા હતા.

વર્ષ 2019માં સમીર વાનખેડેને મુંબઈમાં નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોના જોનલ નિદેશકનો કાર્યભાર મળ્યો અને રિપોર્ટ્સ અનુસાર, ત્યારે સમીર વાનખેડેએ એકસાથે ઘણી જગ્યાઓ પર છાપા મારીને કથિતરીતે 1700 કરોડ રૂપિયાના નશીલા પદાર્થ જપ્ત કર્યા હતા. આ છાપેમારીમાં હિંદી સિનેમાના ઘણા દિગ્ગજ કલાકારો અને ફિલ્મકારોના નામ સામે આવ્યા હતા. નવેમ્બર 2020માં NCBએ કોમેડિયન ભારતી સિંહ અને તેના પતિ હર્ષની ભાંગ રાખવા અને ખાવાના આરોપમાં ધરપકડ કરી હતી.

સમીર વાનખેડે આંતરરાષ્ટ્રીય ચર્ચાઓમાં ત્યારે આવ્યા જ્યારે તેમણે 2 ઓક્ટોબર, 2021ને હિંદી સિનેમાના સુપરસ્ટાર શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનને કથિતરીતે ડ્રગ્સ સેવન અને તસ્કરીના આરોપમાં ધરપકડ કરી. જોકે, આ મામલાને લઈને તેમના વિભાગ પર ઘણા માછલા ધોવાયા હતા અને બાદમાં તપાસ દરમિયાન આર્યન નિર્દોષ મળી આવ્યો. આ પહેલા સુશાંત સિંહ રાજપૂતની સંદિગ્ધ મોતના મામલામાં પણ સમીર વાનખેડેએ સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શૌવિક ચક્રવર્તીને કસ્ટડીમાં લીધા હતા. જાણકારી અનુસાર, વર્તમાનમાં સમીર વાનખેડે ચેન્નઈમાં તહેનાત છે.

મરાઠી સિનેમાની ચર્ચિત અભિનેત્રી ક્રાંતિ રેડેકર સાથે બીજા લગ્ન કરનારા સમીર વાનખેડેના જાતિ પ્રમાણ પત્રને લઈને પણ મહારાષ્ટ્રમાં ખૂબ જ વિવાદ થઈ ચુક્યો છે. તેમણે પહેલીવાર ડૉ. શબીના કુરૈશી સાથે લગ્ન કર્યા હતા. આ લગ્ન દ્વારા બંનેનો એક દીકરો છે. બીજા લગ્ન બાદ તેઓ જુડવા દીકરાઓના પિતા બની ચુક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp