સુરતની નવી સિવિલ હૉસ્પિટલમાં સ્લેબ તૂટીને દર્દી પર પડ્યો
સુરતની નવી સિવિલ હૉસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીઓની સુરક્ષા જોખમમાં છે. નવી સિવિલ હૉસ્પિટલના ડાયાલિસિસ વિભાગમાં સારવાર માટે આવેલી મહિલા દર્દી ઉપર સ્લેબ પડતા અફરાતફરી મચી ગઈ હતી. આ મહિલાને સામાન્ય ઇજા થઇ હતી, પરંતુ સુરતના સિવિલ હૉસ્પિટલના પદાધિકારીઓએ તાત્કાલિક ધોરણે સમારકામ કરી સંતોષ માની લીધો. નવી સિવિલ હૉસ્પિટલના ડાયાલિસિસ વિભાગના પાછળના ભાગે આખે આખો સ્લેબ તૂટી પડેલો જોવા મળ્યો. જે બતાવે છે કે, સુરત નવી સિવિલ હૉસ્પિટલની જૂની ઈમારતમાં સારવાર લઇ રહેલા દર્દીઓની સુરક્ષા ભગવાન ભરોસે છે.
સુરત નવી સિવિલ હૉસ્પિટલ દક્ષિણ ગુજરાતના ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે આશીર્વાદ સમાન ગણાય છે. અહીં દર્દીઓ મોટી સંખ્યામાં સારવાર લેવા માટે આવે છે, પરંતુ હૉસ્પિટલમાં સારવાર લઇ રહેલા દાખલ દર્દીઓની સુરક્ષા ભગવાન ભરોસે છે. નવી સિવિલ હૉસ્પિટલની જૂની ઈમારતમાં આવેલ G-0 વોર્ડના ડાયાલિસિસ વિભાગમાં સ્લેબ તૂટી પડવાની ઘટના બની છે. 2 દિવસ અગાઉ બનેલી આ ઘટનામાં મહિલા દર્દીનો ચમત્કારિક બચાવ થયો છે.
મીડિયા રિપોર્ટ મુજબ, મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી ધર્મેન્દ્રભાઈ મૌર્યા પત્ની રાની દેવી (47 વર્ષ) 4 સંતાન સાથે પાંડેસરા હાઉસીંગમાં આવેલી શાંતિવન સોસાયટીમાં રહે છે. ધર્મેન્દ્રભાઈ સ્થાનિક વિસ્તારમાં ચોકલેટ-બિસ્કિટની દુકાન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. ધર્મેન્દ્રભાઈની પત્ની રાનીદેવીને કીડની બીમારી છે, જેથી છેલ્લા 2 વર્ષથી નવી સિવિલ હૉસ્પિટલમાં તેની ડાયાલિસિસની સારવાર ચાલી રહી છે. હંમેશાંની જેમ રાની દેવી અને તેનો પતિ ડાયાલિસિસ માટે હૉસ્પિટલમાં ગયા હતા.
જૂની બિલ્ડિંગમાં G-0 વોર્ડમાં તેની ડાયાલિસિસની સારવાર ચાલી રહી હતી. તે સમયે ધીરેધીરે ઉપરથી સ્લેબ તૂટીને તેના ઉપર પડવા લાગ્યો હતો. જેથી વોર્ડમાં ડરના માહોલ સાથે અફરાતફરીનો મચી ગઇ હતી. ઘટનાને લઇને નર્સિંગ સ્ટાફે રાનીદેવીને તાત્કાલિક દૂર ખસેડી દીધી હતી. જેથી કોઈ મોટી દુર્ઘટના બનતા ટળી હતી અને રાનીદેવીને સામાન્ય ઈજાઓ પહોંચી હતી.
હૉસ્પિટલ પ્રશાસનનું કહેવું છે કે, દર્દીઓની સુરક્ષા એ હૉસ્પિટલ પ્રશાસનની જવાબદારી છે. આગામી દિવસોમાં દર્દીઓને આ પ્રકારની કોઈ પરેશાની ન થાય તે માટે શિફ્ટિંગ માટેની તૈયારી હાથ ધરવામાં આવી છે. આ ઘટના બે દિવસ પહેલાની હોવાની સામે આવ્યું છે અને ઘટના બન્યા બાદ તાત્કાલિક પગલાં લઈને તેને રીપેર કરી નાખવામાં આવ્યું હતું. આ સાથે જ આ જૂની બિલ્ડિંગને શિફ્ટ કરવાની કામગિરી પૂરજોશમાં ચાલી રહી છે. જૂની બિલ્ડિંગ જર્જરિત થઈ ગઈ હોવાથી તેને પાડીને ત્યાં નવી બિલ્ડિંગ બનાવવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp