અમદાવાદ પર ISROનો ડરાવનારો રિપોર્ટ, શહેર ધસી રહ્યું છે

PC: ahmedabadmirror.com

માત્ર જોશીમઠ જ જોખમમાં નથી. અમદાવાદની હાલત પણ બહુ સારી નથી. જો પહાડી વિસ્તારો ડૂબી જશે, તો દરિયા કિનારે આવેલા વિસ્તારો ડૂબી જશે અથવા ધસી જશે.   Indian Space Research Organization (ISRO)સ્પેસ એપ્લિકેશન સેન્ટરના સંશોધન અભ્યાસમાં આ વાત સામે આવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે અમદાવાદ સહિત ગુજરાતના અનેક વિસ્તારો દર વર્ષે કેટલાય સેન્ટીમીટર ધસી રહ્યા છે.

જ્યારે પણ માણસ પ્રકૃતિના કામમાં અવરોધ ઊભો કરશે ત્યારે પર્યાવરણ ખરાબ થશે. પહાડો પર સ્થિત જોશીમઠ, નૈનીતાલ, શિમલા, ચંપાવત કે ઉત્તરકાશી જ નહીં, પણ દરિયા કિનારે વસેલા શહેરો પણ ડૂબી જવાના જોખમમાં છે. ISROના સ્પેસ એપ્લીકેશન સેન્ટરે એક રિસર્ચ રિપોર્ટ જાહેર કર્યો હતો, જે હવે સામે આવ્યો છે. જેમાં અમદાવાદ સહિત ગુજરાતના અનેક દરિયાકાંઠાના વિસ્તારો દરિયાઈ ધોવાણને કારણે ધસી જશે કે ડુબી જશે તેવું જણાવવામાં આવ્યું છે.

ISRO સ્પેસ એપ્લીકેશન સેન્ટરના વૈજ્ઞાનિક રથીશ રામક્રૃષ્ણન અને તેમના સાથીઓએ મળીને આ સંશોધન પેપર બહાર પાડ્યું હતું. જેનું નામ છે Shoreline Change Atlas of the Indian CoastGujarat- Diu & Daman. રિપોર્ટમાં ગુજરાતનો 1052 કિલોમીટર લાંબો દરિયાકિનારો સ્થિર હોવાનું જણાવવામાં આવ્યું છે. 110 કિલોમીટરનો દરિયાકિનારો કપાઇ રહ્યો છે તેમાં પણ 49 કિલોમીટરના તટ પર ઝડપથી થઇ રહ્યું છે.

રિપોર્ટમાં એ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તેની પાછળ સમુદ્રનું વધતું સ્તર અને ક્લાઇમેટ ચેન્જ મુખ્ય કારણો છે. ગુજરાતમાં કાંપના કારણે 208 હેક્ટર જમીનમાં વધારો થયો છે. પરંતુ દરિયાઈ ધોવાણને કારણે ગુજરાતે  પોતાની 313 હેક્ટર જમીન ગુમાવી છે.

વધુ એક અભ્યાસ સામે આવ્યો છે, જે કૃણાલ પટેલ અને તેમના સાથીઓએ કર્યો છે. જેમાં ગુજરાતના 42 વર્ષના ભૌગોલિક ઈતિહાસનો અભ્યાસ કરવામાં આવ્યો છે. એવું કહેવામાં આવ્યું છે કે કચ્છ જિલ્લામાં સૌથી વધુ દરિયાઈ ધોવાણ થયું છે. સૌથી વધુ એટલે કે 45.9 ટકા જમીનનું ધોવાણ થયું છે. પટેલ અને તેમના સાથીઓએ ગુજરાતને ચાર રિસ્ક ઝોનમાં વિભાજિત કર્યું હતું. દરિયાકાંઠાનો 785 કિમી વિસ્તાર ઉચ્ચ જોખમવાળા ક્ષેત્રમાં અને 934 કિમી વિસ્તાર મધ્યમથી ઓછા જોખમની શ્રેણીમાં છે. આ વિસ્તારો જોખમના ક્ષેત્રમાં છે કારણ કે અહીં સમુદ્રનું સ્તર ઝડપથી વધી રહ્યું છે.

રિસર્ચમાં જણાવ્યા મુજબ 16 દરિયા કાંઠાના જિલ્લામાંથી 10 જિલ્લામાં ધોવાણ થઇ રહ્યું છે. સૌથી વધારે કચ્છમાં. એ પછી જામનગ, ભરુચ અને વલસાડમાં. એનું કારણ એ છે કે ખંભાતની ખાડીનું સી સરફેસ ટેમ્પરેચર 1.50 ડીગ્રી સેલ્સિયસ વધ્યું છે. સૌરાષ્ટ્રના દરિયા કાંઠા પાસે 1 ડીગ્રી સેલ્સિયસ અને કચ્છમાં 0.75 ડીગ્રી સેલ્સિયસ વધ્યું છે. તાપમાનમાં આટલો વધારો છેલ્લાં 160 વર્ષોમાં થયો છે.

1969માં અમદાવાદ જિલ્લાના માંડવીપુરા ગામના 8000 ગ્રામજનો અને ભાવનગર જિલ્લાના ગુંદાળા ગામના 800 લોકોને વિસ્થાપિત થવું પડ્યું હતું. કારણ કે તેમની ખેતીની જમીન અને ગામનો ભાગ દરિયામાં ડૂબી ગયો હતો. સામાજિક કાર્યકર પ્રદ્યુમનસિંહ ચુડાસમા કહે છે કે અમદાવાદ અને ભાવનગરની જેમ ખંભાતના અખાતના પશ્ચિમ કિનારે આવેલા ગામો પણ જોખમમાં છે.જેમાં બવાલયારી, રાજપુર, મિંગલપુર, ઝાંખી, રહતાલાવ, કામા તળાવ અને નવાગામ. ચોમાસામા પૂર આવવા પર અથવા દરિયાની ભરતી સમયે આ બધા ગામો ખાલી થઇ જાય છે.

દક્ષિણ ગુજરાતમાં વલસાડ અને નવસારી જિલ્લાના અનેક ગામ જોખમમાં છે. ઉમરગામ તાલુકાના લગભગ 15,000 લોકોનું જીવન અને વ્યવસાય જોખમમાં છે. કારણ કે દરિયાના પાણી તેમના ઘરોમાં ઘુસી જાય છે. ઉમરગામ તાલુકા પંચાયતના પૂર્વ પ્રધાન સચિન મચ્છીનું માનવું છે કે જે રીતે દમણનો તંત્રએ 7થી 10 કિલોમીટર લાંબી પ્રોટેકશન વોલ બનાવી છે એ રીતે ગુજરાત સરકારે 22 કિલોમીટર લાંબી પ્રોટેકશન વોલ બનાવવી જોઇએ.

આ બધા ગામોમાં સમુદ્રી સ્તર વધવાને કારણે ડુબી જવાનો ખતરો છે. જ્યારે અમદાવાદમાં ધસી જવાનું જોખમ છે. ઇન્સ્ટિટયૂટ ઓફ સીસ્મોલીજી રિસર્ચ સેન્ટરના વૈજ્ઞાનિક રાકેશ ધુમકાના એક સ્ટડી મુજબ અમદાવાદ દર વર્ષે 12થી 25 મિલિમીટર એટલે કે સવાથી અઢી સેન્ટીમીટર ધસી રહ્યું છે. એનું કારણ એ છે કે ગ્રાઉન્ડ વોટરને ઝડપથી કાઢવામાં આવી રહ્યું છે. અંડરગ્રાઉન્ડ વોટરને કાઢવા પર પ્રતિબંધ મુકાવવો જોઇએ. લોકોના પીવાના પાણીની અલગથી વ્યવસ્થા કરવી જોઇએ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp