હું ફરી ભાગી જઈશ...પત્નીની હત્યા કરનાર જીણારાજની અમદાવાદ પોલીસને ધમકી

PC: navbharattimes.indiatimes.com

વેલેન્ટાઈન ડે પર પત્નીની હત્યા કર્યા પછી આ અગાઉ પોલીસને ચકમો આપી ગયેલા તરુણ જીણારાજે ફરી એકવાર અમદાવાદ પોલીસને ભાગી જવાની ધમકી આપી છે. અમદાવાદ પોલીસની ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા અનુસાર પત્ની સજની નાયરની હત્યા કરનાર તરુણ જીણારાજ સવાલોથી બચવા અંગ્રેજી, મરાઠી, હિન્દી, ગુજરાતી, મલયાલમ, હરિયાણવી, તમિલ, તેલુગુ, કન્નડ અને પંજાબી ભાષાનો ઉપયોગ કરી રહ્યો છે. 2003માં વેલેન્ટાઈન ડે પર સજનીની હત્યા કર્યા બાદ જીણારાજે ઓક્ટોબર 2018માં પકડાયો ત્યાં સુધી 15 વર્ષ સુધી ફરાર રહ્યો હતો. અમદાવાદ પોલીસના જણાવ્યા અનુસાર, જ્યારે તેની દિલ્હીના નજફગઢમાં બીજી વખત ધરપકડ કરવામાં આવી, ત્યારે તેણે ધમકી આપી હતી કે, તે ફરીથી ભાગી જશે. પોલીસે તેને પહેલીવાર 2018માં બેંગલુરુમાંથી પકડ્યો હતો.

પત્ની સજનીની હત્યાના ગુનામાં અમદાવાદની સાબરમતી જેલમાં બંધ તરુણ જીણારાજને આ વર્ષે 4 ઓગસ્ટે વચગાળાના જામીન મળ્યા હતા. તે 19 ઓગસ્ટ, 2023ની બપોર સુધીમાં જેલમાં પાછો ફરવાનો હતો, પરંતુ જીણારાજ જેલમાં પાછો ફર્યો ન હતો. આમ કરીને તેણે ગુજરાત હાઈકોર્ટના આદેશનો પણ ભંગ કર્યો હતો. જ્યારે તે જેલમાં પાછો ન આવ્યો ત્યારે વહીવટીતંત્રે કોર્ટ અને પોલીસને જાણ કરી, ત્યારબાદ જીણારાજની ધરપકડ માટે ફરીથી પ્રયાસો શરૂ કરવામાં આવ્યા.

આ પછી, અમદાવાદ પોલીસે 5 ઓક્ટોબર, 2023ના રોજ દિલ્હીના નજફગઢથી તેની ધરપકડ કરી હતી. ક્રાઈમ બ્રાન્ચનું કહેવું છે કે, પૂછપરછ દરમિયાન તે ફરીથી ભાગી જવાની ધમકી આપી રહ્યો છે. પોલીસનું કહેવું છે કે, તે એક પ્રોફેશનલ ગુનેગારની જેમ વર્તે છે. આ વખતે પણ જીણારાજે પોલીસથી બચવાનું કાવતરું ઘડ્યું હતું, પરંતુ તેનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો. તે તરુણ જીણારાજમાંથી જસ્ટિન જોસેફ બની ગયો હતો. તેણે તેના જમણા હાથ પર ડ્રેગનનું ટેટૂ બનાવ્યું હતું અને હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હતું. પોલીસનો દાવો છે કે જીણારાજ નજફગઢની બે મહિલાઓના સંપર્કમાં હતો.

અમદાવાદના બોપલમાં રહેતો તરુણ જીણારાજ (47) વ્યવસાયે બાસ્કેટબોલ કોચ હતો. ત્યાર પછી તે એક ટેક કંપનીમાં રિકવરી મેનેજર બન્યો. જીણારાજે નવેમ્બર 2002માં અમદાવાદની બેંકમાં નોકરી કરતી સજની નાયર સાથે લગ્ન કર્યા હતા, પરંતુ લગ્ન પછી પણ તે અન્ય એક યુવતી સાથે સંબંધમાં હતો. વેલેન્ટાઈન ડે નિમિત્તે પત્નીની હત્યા કરતા પહેલા તેને સજની સાથે સંબંધો બાંધ્યા હતા અને પછી તેની હત્યા કરી નાખી હતી. તેણે આવું એટલા માટે કર્યું જેથી કોઈને તેના સંબંધો પર શંકા ન થાય. પત્નીની હત્યા સમયે જીણારાજે દાવો કર્યો હતો કે બદમાશોએ તેની પત્નીની હત્યા કરી છે. તે સમયે પોલીસને શંકા ગઈ હતી કે, સજનીની હત્યામાં કોઈ અંદરનો જ વ્યક્તિ સામેલ છે. પત્નીની હત્યા કર્યા પછી જીણારાજ ગુમ થઈ ગયો હતો. આ પછી તે હત્યાનો સૌથી મોટો શકમંદ બન્યો હતો. ફરાર થયા પછી તેણે પોતાની ઓળખ બદલી નાખી હતી.15 વર્ષથી પોલીસને ચકમો આપી રહેલા જીણારાજે તેની માતાને ફોન કરતાં તેને ટ્રેક કરવામાં આવ્યો હતો. આ પછી પોલીસે તેની 2018માં બેંગલુરુથી ધરપકડ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp