ભાજપના કનુ દેસાઇના નિવેદન સામે હવે 2 સપ્તાહ પછી કોળી સમાજ મેદાનમાં આવ્યો
![](https://khabarchhe.com/uploads/mc_path/17149073603.jpg)
લોકસભા 2024ની ચૂંટણી ભાજપ માટે હવે સરળ રહી નથી. 2014 અને 2019માં બધી 26 બેઠકો જીતનાર ભાજપ સામે આ વખતે વિવાદોના પડકારો સામે આવી રહ્યા છે. રાજકોટમાં પરષોત્તમ રૂપાલાનો વિવાદ હજુ શાંત પડ્યો નથી ત્યાં ગુજરાતના મંત્રી કનુ દેસાઇએ વલસાડમાં આપેલા એક નિવેદન સામે હવે કોળી સમાજં જંગે ચઢ્યો છે.
ગુજરાતના ઉર્જા મંત્રી કનુ દેસાઇ તાજેતરમાં વલસાડ પારડીના ઓરવાડામાં કોળી પટેલ સમાજના એક કાર્યક્રમમાં હાજરી આપવા ગયા હતા. જેમાં તેમણે કોંગ્રેસના દિવંગત નેતા ઉત્તમભાઇ પટેલની જૂના વાત યાદ કરીને કહ્યુ હતું કે, જ્યારે ઉત્તમભાઇ જીતીને આવતા ત્યારે એવું કહેતા કે કોળિયા કૂટાઇ અને ધોળિયા ચૂંટાઇ. આ નિવેદનને આમ તો તેમણે 15 દિવસ પહેલા આપ્યું હતું, પરંતુ હવે કોળી સમાજે વિરોધ શરૂ કર્યો છે અને કલેકટરને આવેદન પત્ર આપ્યું છે.
કનુ દેસાઇએ જે નિવેદન આપ્યું હતું તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. નવસારી કોંગ્રેસના પ્રમુખ શૈલેષ પટેલે વલસાડ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપીને કનુ દેસાઇના રાજીનામાની માંગ કરી છે.
કોળી પટેલ સમાજમાં વિવાદનો મધપુડો છંછેડાયો ત્યારે મીડિયાએ કનુ દેસાઇને પુછ્યું હતું, પરંતુ તેમણે કોઇ પણ ટીપ્પણી કરવાનો ઇન્કાર કરી દીધો હતો.
જો કે બીજી તરફ વલસાડના ધારાસભ્ય અને કોળી પટેલ પ્રગતિ સમાજના પ્રમુખ ભરત પટેલે કઇંક અલગ જ વાત કરી છે. તેમણે કનુ દેસાઇના સમર્થનમાં કહ્યું હતું કે, વર્ષોથી સાસંદ ઉત્તમભાઇ આ કહેવત બોલતા આવ્યા છે એટલે કનુભાઇએ તેમની કહેવતની જ વાત કરી છે. કોળી સમાજને બદનામ કરવાનો કનુ દેસાઇનો કોઇ ઇરાદો નહોતો. કોળી સમાજ હમેંશા રાષ્ટ્ર હીતની સાથે છે.
વલસાડ બેઠક પર ભાજપે આ વખતે એ. કે. પટેલની ટિકિટ કાપીને ધવલ પટેલને ટિકિટ આપી છે અને કોંગ્રેસે આદિવાસી નેતા અને વાસંદના ધારાસભ્ય આનંદ ચૌધરીને ટિકિટ આપેલી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp