સિંચાઈ કૌભાંડના કેદી MLA પરસોત્તમ સાબરિયાને વિધાનસભાના કારણે જામીન મળ્યા

PC: facebook.com/parshotam.sabariya

મોરબીના સિંચાઈ કૌભાંડમાં જેલમાં બંધ કોંગ્રેસના ધારાસભ્યના કોર્ટે વચગાળાના જામીન મંજૂર કર્યા છે. મોરબી જિલ્લામાં નાની સિંચાઈ યોજનામાં નિવૃત મદદનીશ ઈજનેર તેમજ મંડળી આગેવાનો ઉપરાંત હળવદના કોંગ્રેસના ધારાસભ્ય પરસોત્તમ સાબરિયા અને તેના મળતિયા વકીલ સહીત છ આરોપીની પોલીસે ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા. અગાઉ ધારાસભ્ય પરસોત્તમ સાબરિયાએ કરેલી જામીન અરજી કોર્ટે ફગાવી હતી પણ ત્યાર બાદ મીટિંગો માટે વચગાળાના જામીન મળ્યા હતા, જે પૂર્ણ થયા બાદ ફરીથી જેલ હવાલે કર્યા હતા.

ગુજરાત વિધાનસભામાં બજેટ સત્ર શરૂ થવાનું હોય જેમાં ધારાસભ્ય તરીકે તેમને હાજરી આપવી જરૂરી હોય તેવી અરજી કોર્ટમાં કરવામાં આવી હતી. મોરબી જિલ્લા અદાલતે ધારાસભ્ય પરસોત્તમ સાબરિયાની વચગાળાની અરજી માન્ય રાખી 23 ફેબ્રુઆરી 2019 સુધીના વચગાળાના જામીન મંજૂર કર્યા છે.

ધારાસભ્યની જામીન અરજી અગાઉ કોર્ટે ફગાવી

મોરબી જિલ્લામાં ચકચારી સિંચાઈ કૌભાંડમાં ઝડપાયેલા હળવદના ધારાસભ્ય સહિતના આરોપીઓ જેલમાં બંધ છે, જેમાં તાજેતરમાં મંડળી આગેવાન દ્વારા હાઇકોર્ટમાં કરવામાં આવેલી જામીન અરજી હાઇકોર્ટે સ્વીકારી આરોપીના જામીન મંજૂર કર્યા હતા તો જેલમાં બંધ હળવદના ધારાસભ્યએ કોર્ટમાં જામીન અરજી કરી હતી. જોકે મોરબી કોર્ટે જામીન અરજી 5 ફેબ્રુઆરી 2019મા ફગાવી દીધી છે.

હળવદ સિંચાઈ કૌભાંડમાં આરોપી નિવૃત કાર્યપાલક ઇજનેર સી.ડી.કાનાણી, રાજકોટના રહેવાસી ચૈતન્ય જયંતિલાલ પંડ્યા, વેગડવાવ મજૂર સહકારી મંડળીના ભરતભાઈ રાઠોડ અને ગણપતભાઈ રાઠોડ, હળવદના ધારાસભ્ય પરસોત્તમ સાબરિયા અને મળતિયા વકીલ ભરત ગણેશીયા સહિતના આરોપીની અટકાયત કરવામાં આવી હતી અને આરોપીઓ જેલમાં બંધ હોય જેમાં સહકારી મંડળીના આગેવાન ગણપતભાઈ રાઠોડે હાઇકોર્ટમાં કરેલી અરજીને પગલે તેના જામીન મંજૂર થતા તેનો થોડા દિવસ પહેલા જામીન પર છૂટકારો થયો હતો. તો આજે હળવદના ધારાસભ્ય પરસોત્તમ સાબરિયાએ જામીન અરજી કરી હતી. જોકે મોરબી કોર્ટે આરોપી ધારાસભ્યની જામીન અરજી ફગાવી દીધી હતી.

કોંગ્રેસના ભ્રષ્ટ MLA રાજીનામું આપે તો જેલમાંથી છોડાવવા ભાજપનું વચન

હળવદના કોંગ્રેસના ધારાસભ્ય પરસોત્તમ સાબરિયાની તળાવ અને ચેકડેમ કૌભાંડમાં પોલીસે ધરપકડ કરી જેલમાં મોકલી દીધા બાદ તેમને જેલમાંથી છોડાવવા માટે ભાજપે સોદાબાજી શરૂ કરી છે. તે જો કોંગ્રેસ અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપે તો તેમને જેલમાંથી છોડાવવા માટે પૂર્વ પંચાયત પ્રધાન અને ભાજપના હળવદના નેતા જયંતિ કવાડીયાએ જેલમાં દબાણ કર્યું હોવાનું બહાર આવ્યું છે.

ધ્રાંગધ્રાના કોંગ્રેસના જિલ્લા પંચાયતના સભ્ય દિનેશ પટેલ જેલમાં ગયા હતા, ત્યારે સાબરીયા કહ્યું હતું કે, મને જેલમાં મોકલતા પહેલાં ભાજપના જયંતિ કાવડીયા અને બીજા એક નેતાઓ મને મળવા માટે આવ્યા હતા. તેમણે દબાણ કર્યું હતું કે જો તે કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દે તો કેસની પતાવટ કરી આપશે પણ હવે જામીન મળી જશે. ધારાસભ્ય પદેથી રાજીનામું આપવાની કોઈ વાત ન હોવાનું સાબરીયાએ કહ્યું હતું. તેમને ભાજપમાં લેવા માટે કવાયત ચાલી રહી હોવાનું માનવામાં આવી રહ્યું છે. ભાજપના નેતા કાવડીયાએ તેમને લોકસભાની ટિકિટ આપવાની અને ચૂંટણી ખર્ચ ભાજપ આપશે એવી વાત કરી હતી. જોકે કાવડીયાએ આવી કોઈ વાત ન થઈ હોવાનું જાહેર કર્યું છે.

મોરબી જિલ્લાની સાથે હળવદ, વાંકાનેર, ટંકારા, માળિયા સહિતના ગામોમાં નાની સિંચાઈ યોજના હેઠળ રૂ. 20.31 કરોડના ચેકડેમ અને રિસ્ટોરેશન સહિતના 334 કામ મંજૂર થયા હતા. તેમાં હળવદ તાલુકામાં થયેલા ભ્રષ્ટાચારના પ્રશ્નો વિધાનસભામાં ન પૂછવા તથા તેની રજૂઆત ન કરવા હળવદ ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરસોત્તમ સાબરિયાએ મળતિયા વકીલ ભરત દેવજી ગણેશીયા મારફત અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો પાસેથી રૂ. 40 લાખ માગ્યા હતા. અંતે રૂ. 35 લાખમાં ડીલ નક્કી કરી રૂ. 10 લાખ લીધા હતા. બાકીના રૂ. 25 લાખ માટે સિક્યોરિટી પેટે ચેક મેળવી લીધો હતો.

મોરબી જિલ્લામાં નાની સિંચાઈ યોજના હેઠળ તળાવો ઉંડા કરવા મોરબી જિલ્લાના વિવિધ તાલુકામાં રૂ. 20 કરોડથી વધુ રકમના કામો મંજૂર કર્યા હતા. સિંચાઈ યોજના કામમાં વ્યાપક ભ્રષ્ટાચારની ફરિયાદ બાદ પોલીસ મથકમાં 46 કામોની તપાસ કરવામાં આવી હતી, જેમાં રૂ. 66.91 લાખની ફરિયાદ A ડિવિઝન પોલીસ મથકમાં થઈ હતી.

ભાજપના નેતા જ ભ્રષ્ટાચારી નીકળ્યા

હળવદમાં રૂ. 20 કરોડના સિંચાઈ વિભાગના ભ્રષ્ટાચારના મામલે કોંગ્રેસના ધારાસભ્ય પરષોત્તમ સાબરીયા જેલમાં ગયા બાદ ભાજપના બે નેતાઓના નામ રૂ. 20 કરોડના સરકારી કામમાં નામ 3 જાન્યુઆરી 2019મા બહાર આવ્યા હતા, જેમાં મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી ઘનશ્યામ ગોહિલ કે જે હળવદમાં રહે છે, મોરબી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ વલ્લભ પટેલ કે તેઓ હળવદમાં રહે છે, તેમના નામ FIRમા દાખલ કરવામાં આવ્યા છે. ભાજપના આ બંને નેતાઓને ભાગેડુ જાહેર કરી દેવામાં આવ્યા છે. આ કેસમાં કુલ 14 આરોપીઓ છે.

ગેંગ ભ્રષ્ટાચાર

ભાજપ સરકારના પૂર્વ પંચાયત પ્રધાન અને તલાટી કૌભાંડમાં તેમની કચેરીનું નામ બહાર આવ્યું હતું. જયંતિ કાવડીયાની ખાસ વ્યક્તિ છે. ઉપરાંત મોરબી જિલ્લા પંચાયતના કોંગ્રેસના સભ્ય ધર્મેન્દ્ર પટેલ, હળવદ તાલુકા પંચાયતના સભ્ય અરવિંદ કોળી તથા બીજા રાજકીય અને બિનરાજકીય લોકોના નામ FIRમા રજૂ કરવામાં આવ્યા છે. ભાજપ અને કોંગ્રેસના નેતાઓ ગેંગ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું છે.

ભ્રષ્ટાચારના આરોપો મૂક્યા પછી પાછા ખેંચ્યા

મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી ઘનશ્યામ એમ ગોહિલે રૂપાણી સરકારના સિંચાઈ રાજ્ય પ્રધાન પરબત પટેલને પત્ર લખ્યો હતો કે, હળવદ તાલુકાની નાની સિંચાઈ યોજનામાં 309 કામમાં ભ્રષ્ટાચાર થયેલો છે. કામ કર્યા વગર નાણાં ચૂકવી દેવામાં આવ્યા હતા. 5 દિવસમાં તપાસ કરો, જો નહીં કરો તો જિલ્લા ભાજપના મહામંત્રી તરીકે મારે મામલતદાર કચેરી સામે ઉપવાસ પર બેસવું પડશે. અધિકારી સામે પગલા ભરો નહીંતર આપણી સરકારને એક નવી ભ્રષ્ટાચારની નોબતનો સામનો ન કરવો પડે, તે માટે આપને જાણ કરું છું. તેમણે 12 જૂલાઈ 2018મા આ પત્ર લખ્યો અને દોઢ મહિના પછી તેમણે બીજો પત્ર લખ્યો હતો. 30 સપ્ટેમ્બર 2018ના દિવસે મોરબીના કાર્યપાલક ઈજનેરને ભાજપના લેટર હેડ પર પત્ર લખીને કહ્યું કે ના આવો કોઈ ભ્રષ્ટાચાર થયો નથી. તેથી મેં જે પ્રધાનને પત્ર લખેલો તે દફતરે કરી દેવામાં આવે.

20 કરોડનો ભ્રષ્ટાચાર

આ કામમાં 20 કરોડનો ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ મૂક્યા બાદ અધિકારી કાનાણી હાલ જેલમાં છે, જેને છોડાવવા માટે ભાજપના મંત્રીએ કાળું કર્યું હોવાનો આરોપ તેમના પર મૂકવામાં આવે છે. એક ભ્રષ્ટાચાર થયો હોવાનું કહીને પછી ભ્રષ્ટાચાર થયો ન હોવાનું તેઓ કહે છે. જે ભાજપના નેતાઓની ભ્રષ્ટાચારમાં કેવી સંડોવણી છે તે બતાવે છે. જિલ્લા પંચાયતમાં ભાજપના પૂર્વ પ્રધાનના ખાસ કહેવાતા અધિકારી દ્વારા આ ભ્રષ્ટાચાર થયો હતો. 51 કામોમાં કુલ રૂ. 1.12 કરોડનો ભ્રષ્ટાચાર તેમાં થયો હતો.

કોંગ્રેસનો વિરોધ હળવદના કોંગ્રેસના ધારાસભ્ય પરસોત્તમ સાબરિયાની નાની સિંચાઈના કામો માટે કૌભાંડમાં લાંચ માંગવા મામલે પોલીસે કરેલી ધરપકડના વિરોધમાં કોંગ્રેસના ધારાસભ્યો અને આગેવાનોએ પ્રતિક ઉપવાસ કર્યા હતા. ધારાસભ્યની ઓડિયો ક્લિપના પુરાવા સાથે જ્યારે ભ્રષ્ટાચાર કરતા પકડાયા તેનો બચાવ કરવા માટે કોંગ્રેસના બીજા ધારાસભ્ય બ્રિજેશ મેરજા પોલીસ સ્ટેશન સામે ધરણા પર બેઠા હતા. જે ધારાસભ્યનું રાજીનામું લેવું જોઈએ તેને બચાવવા માટે કોંગ્રેસે ધરણા કર્યા હતા.

વિધાનસભામાં પ્રશ્ન નહીં પૂછવાના રૂ.40 લાખ

હળવદના ધારાસભ્ય પરસોતમભાઈ સાબરિયાએ ગુજરાત વિધાનસભામાં તળાવ કૌભાંડનો પ્રશ્ન નહીં ઉઠાવવા તેમના વચેટિયા એવા વકીલ ભરત ગણેશીયા મારફતે રૂ. 40 લાખમાં ડીલ થઈ હતી, જે પેટે રૂ. 10 લાખ ધારાસભ્યને ચૂકવાયા હતા અને બાકીની રકમના ચેક સંડોવાયેલી મંડળીના હોદ્દેદારો દ્વારા આપવામાં આવ્યા હતા, જેમાં મોરબી પોલીસે હાલમાં તળાવ કૌભાંડમાં પુરાવા મેળવી ધારાસભ્ય અને તેમના મિત્ર એવા વકીલની ધરપકડ કરી હતી. તેની વાતચીતની ઓડિયો રેકોર્ડિંગ પણ બહાર આવ્યું છે.

(દિલીપ પટેલ)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp