મોરબીમાં મુસ્લિમ મહિલા કરે છે નિઃશુલ્ક સેવા, 2800થી વધુ મૃતદેહની અંતિમવિધિ કરી

PC: youtube.com

કોરોનાની મહામારી વચ્ચે ઘણા લોકોએ તેમના સ્વજનો ગુમાવ્યા છે. ત્યારે કેટલીક જગ્યાઓ પર મુસ્લિમ લોકોએ પણ હિન્દુ વ્યક્તિના અંતિમ સંસ્કાર કરીને માનવતા મહેકાવી છે. ત્યારે આજે ગરીબ પરિવારની એક મુસ્લિમ મહિલાની વાત કરવી છે કે, મહિલાએ કોરોનાની મહામારી વચ્ચે મધર ટેરેસા જેવું કામ કર્યું છે.

રિપોર્ટ અનુસાર મોરબી સિવિલ હોસ્પિટલમાં હસીનાબેન લાડકા નામની મુસ્લિમ મહિલા વર્ષોથી નિશુલ્ક સેવા આપે છે. મહત્ત્વની વાત એ છે કે આ મહિલા કોરોનાની મહામારી વચ્ચે દિવસ-રાત દર્દીઓની સેવા કરે છે અને કોરોનાની સારવાર દરમિયાન જે વ્યક્તિનું મૃત્યુ થાય તે વ્યક્તિના મૃતદેહને પોતે મુસ્લિમ હોવા છતાં પણ ધાર્મિક વિધિ અનુસરીને તેમને અંતિમ મંજિલ સુધી પહોંચાડે છે.

હસીનાબેન લાડકા છેલ્લા 16 વર્ષથી સિવિલ હોસ્પિટલના દર્દીઓને અલગ-અલગ રીતે મદદ કરે છે. હાલ તેઓ કોરોના ગ્રસ્ત દર્દીઓ વચ્ચે 24 કલાક સેવા આપી રહ્યા છે. હસીનાબેન ગરીબ પરિવારમાંથી આવતા હોવા છતાં પણ તેઓ સિવિલ હોસ્પિટલમાં 16 વર્ષથી દર્દીઓને મદદરૂપ થઈને માનવતા મહેકાવી રહ્યા છે. અત્યાર સુધીમાં તેઓએ 2800થી વધારે મૃતદેહોની અંતિમવિધિ કરી ચૂક્યા છે.

વર્ષોથી નિશુલ્ક સેવા કરતા હસીનાબેન લાડકા મોરબીના વીસીપરા વિસ્તારમાં તેમની 3 દીકરી અને પતિ સાથે રહે છે. હસીનાબેન લાડકાનો પતિ ભાડે રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. સવારના 5 વાગ્યે હસીનાબેન અને તેમના પતિ નમાઝ પઢીને ઘરની બહાર નીકળી જાય છે. પતિ પોતાની રિક્ષા લઈને રોજગારી મેળવવા જાય છે અને હસીનાબેન સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સેવા કરવા માટે જાય છે. કોરોનાની સારવાર દરમિયાન જો દર્દીનું મોત થયું હોય તો દર્દીના પરિવારજનો મૃતદેહને છોડીને ભાગી ગયા હોવાના કિસ્સાઓ પણ સામે આવે છે. ત્યારે આવા સમયમાં કોઈ પણ જાતનો ડર રાખ્યા વગર હસીનાબેન લાડકા કોરોના ગ્રસ્ત દર્દીના મૃતદેહને ધાર્મિક સન્માન સાથે ધાર્મિક સૂત્રોરચાર સાથે શાબવાહીની સુધી પહોંચાડે છે. હસીનાબેન લાડકાના પતિ બસીર લાડકા રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે પરંતુ તેમને ક્યારેય પણ તેમની પત્નીને આ સેવાકાર્ય કરતા રોકી નથી.

બીજી મહત્ત્વની વાત છે કે, તેઓ કોરોનાની મહામારી વચ્ચે સિવિલ હોસ્પિટલમાં સેવા કરી રહ્યા છે પરંતુ અત્યાર સુધીમાં તેમને કે તેમના પરિવારના કોઈ પણ સભ્યને કોરોનાનું સંક્રમણ થયું નથી. જો કોઈ હિન્દુ વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થાય તો તેઓ હિન્દુ વ્યક્તિના મૃતદેહને રામ નામ સાથે શબવાહીની સુધી પહોંચાડે છે અને જો મુસ્લિમ વ્યક્તિનું મોત થાય તો મુસ્લિમ શાસ્ત્ર અનુસાર પ્રાર્થના કરીને મૃતદેહને શબવાહીની સુધી પહોંચાડે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp