હાટકેશ્વર બ્રિજમાં કેવી ગુણવત્તાવાળું કોંક્રિટ વપરાયું છે? રિપોર્ટમાં પર્દાફાસ

PC: divyabhaskar.co.in

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા છત્રપતિ શિવાજી મહારાજ બ્રિજ પર વારંવાર ગાબડાં પડવાના કારણે 4-5 વખત બ્રિજને બંધ કરવાની નોબત આવી છે. છેલ્લા 6 મહિનાથી આ બ્રિજ રિપેરિંગના નામે બંધ છે, ત્યારે વર્ષ 2022માં સોલિડ એન્ડ મટિરિયલ ટેસ્ટિંગ લેબોરેટરીમાં રિપોર્ટ કરવામાં આવ્યા છે. હલકી ગુણવત્તાનું મટિરિયલ વપરાયું હોવાનો આ રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. CIMEC લેબમાં કોંક્રિટનો પ્રાઇમરી ગણાતો રિબાઉન્ડ હેમર ટેસ્ટ ફેલ થયો છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના સત્તાધારીઓ દ્વારા આ રિપોર્ટ અત્યાર સુધીમાં દબાવી રાખવામાં આવ્યો હતો.

મુંબઇની પ્રતિષ્ઠિત લેબ કંપની ઇ ક્યૂબ દ્વારા જાન્યુઆરી 2023માં જે ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. તેના રિપોર્ટમાં સામે આવ્યું હતું કે, બ્રિજમાં જે કોંક્રિટ વાપરવામાં આવ્યું છે, તે સામાન્ય કોંક્રિટના મટિરિયલમાંથી બન્યું છે. સિમેન્ટની ગુણવત્તા ખૂબ જ હલકી હતી અને પાણીનું પ્રમાણ વધારે હતું. બ્રિજ બનાવવા માટે જે મટિરિયલ વાપરવામાં આવ્યું હતું, તે યોગ્ય નહોતું. ઇ-ક્યૂબના રિપોર્ટમાં M-45 ગ્રેડની જગ્યાએ માત્ર M-20 ગ્રેડનું કોંક્રિટ વાપર્યું હોવાનું પણ સામે આવ્યું છે.

CIMEC લેબ રિપોર્ટમાં M-45 ગ્રેડની કોંક્રિટ વાપરવું જોઇએ, તે M-25ના ગ્રેડનું હોવાનો ખુલાસો થયો હતો. KCT અને CIMEC બંને લેબમાં NDT અને અલ્ટ્રાસોનિક પલ્સ વેલોસિટી ટેસ્ટ થયા હતા. ટેસ્ટમાં કોંકિટ M-15 હોવાનું જાણવા મળ્યું છે. આમ હલકું મટિરિયલ વાપરવા આવ્યું હોવાનું સાહિત થયું છે. બ્રિજ તૈયાર કરનાર કોન્ટ્રાક્ટર અજય એન્જિ. ઇન્ફ્રા. પ્રાઇવેટ લિમિટેડ સામે કોઇ જ પગલાં ઉઠાવવામાં આવ્યા નથી. થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરનાર કંપની સામે પણ સવાલ ઉભા થયા છે. સ્પેશિયલ પ્રકારના ઇન્સ્પેક્શન કરનાર પંકજ એમ. પટેલ કન્સ્લટિંગ એન્જી. પ્રાઇવેટ લિમિટેડ સામે પણ કોઇ પગલાં લેવાયા નથી. AMCના જવાબદાર અધિકારી સામે પણ કોઇ જ પગલાં લેવાયા નથી.

બ્રિજ બનવાને કારણે બ્રિજના નીચેનો રસ્તો સાંકડો થઇ ગયો છે. જેથી ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે. તેથી સ્થાનિકોએ બ્રિજને તોડવા ઉગ્ર રજૂઆતો કરી હતી, પરંતુ તંત્રએ બ્રિજ તોડવાને બદલે સ્થાનિકોના ઓટલા તોડી નાખ્યા હતા. જેથી સ્થાનિકોનો રોષ વધુ ભભૂકી ઉઠ્યો છે. વર્ષ 2015માં કામ શરૂ કર્યા બાદ 30 નવેમ્બર 2017ના રોજ બ્રિજ શરૂ કરાયો હતો. ઓછામાં ઓછી 50 વર્ષ સુધી બ્રિજના સ્ટ્રક્ચરની લાઇફ નક્કી કરવામાં આવી હતી.

અત્યાર સુધીમાં 5 વર્ષમાં કુલ 6 વખત ગાબડાં પડવાના કારણે રિપેરિંગ કરવુ પડ્યુ છે. છેલ્લે ઑગસ્ટ 2022માં સેટલમેન્ટ થયા બાદ બ્રિજને સુરક્ષાને ધ્યાને રાખીને બ્રિજ બંધ રાખવામાં આવ્યો છે. ઉલ્લેખનીય બ્રિજના નિર્માણ પાછળ ખર્ચેલા 40 કરોડ પાણીમાં ગયા હોય તેવો ઘાટ સર્જાયો છે. આ બ્રિજના કામની વાત કરીએ તો અજય એન્જિનિયરિંગ ઇન્ફ્રા.પ્રાઇવેટ લિમિટેડને સોંપવામાં આવ્યું હતુ. આ બ્રીજની ડિઝાઇન ડેલ્ફ કન્સલ્ટિંગ એન્જિનિયર્સ દ્વારા તૈયાર કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp