રાજકોટ ઘટના પર વજુભાઈ વાળા પાલિકા પર બગડ્યા, કહ્યું- ભૂલ સ્વીકારો અને...

PC: twitter.com

રાજકોટની ઘટના બાદ લોકોમાં ગુસ્સો ચરમ સીમાએ પહોંચી ગયો છે, પરંતુ થોડા દિવસોમાં આ પણ લોકો ભૂલી જશે, જેમ સુરતના તક્ષશીલાની ઘટના લોકો પાંચ વર્ષમાં ભૂલી ગયા અને તેના આરોપીઓ મસ્ત બહાર ફરી રહ્યા છે. રાજકોટની ઘટના બાદ લોકો તો ગુસ્સે છે જ પરંતુ નેતાઓ પણ ગુસ્સે છે. ભાજપના નેતા વજુભાઈ વાળાએ આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું હતું અને તંત્ર પર તેમણે પ્રહારો પણ કર્યા હતા.

વજુભાઈ વાળાએ રાજકોટ મહાનગર પાલિકા પર સવાલો ઉઠાવ્યા હતા, તેમણે કહ્યું હતું કે, કોઈ પણ સ્ટ્ર્ક્ચર ઉભું કરવું હોય તો પાલિકાની મંજૂરી તો જોઈએ. પાલિકાએ આ ભૂલ સ્વીકારવી જોઈએ. રેસિડેન્શીયલ વિસ્તારમાં કમર્શિયલ પ્રવૃત્તિ બંધ કરાવવાની જવાબદારી પાલિકાની છે. પહેલા થયેલી ભૂલને નહીં સ્વીકારીએ તો આનું પુનરાવર્તન થતું જ રહેશે, ઓફિસરો સામે પણ પગલા લો. એવું ન કહેવાય કે મંજૂરી નથી આપી એટલે અમારો કોઈ રોલ નથી, મંજૂરી નહોતી છતા ગેમ ઝોનનો હતું ને,તો ધ્યાન શું રાખ્યું છે?

તેમણે ઝાટકણી કાઢતા કહ્યું કે, હું હોવ તો એવી સજા ફટકારું તો એની 7 પેઢી યાદ કરે અને કોઈપણ માણસ આવું કામ કરતા પહેલા સાત વાર વિચારે.

ગેમ ઝોન પાસે NOC જ નહોતું

ગુજરાતના રાજકોટમાં TRP ગેમ ઝોનમાં લાગેલી ભીષણ આગમાં 32 લોકોના મોત થયા છે. આમાં 9 બાળકો પણ સામેલ છે. આગ કેવી રીતે લાગી તે અંગે કોઈ માહિતી નથી. જ્યારે, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, PM મોદી, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત તમામ રાજકીય હસ્તીઓએ આ આગ પર શોક વ્યક્ત કર્યો છે.

આ સાથે રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયાનું વળતર આપશે. આ સંદર્ભમાં, એક વિશેષ તપાસ ટીમ (SIT)ની રચના કરવામાં આવી છે અને તેને સમગ્ર મામલાની તપાસની જવાબદારી સોંપવામાં આવી છે અધિકારીઓએ જણાવ્યું હતું કે, લગભગ 4.30 વાગ્યે ગેમિંગ પ્રવૃત્તિઓ માટે બનાવવામાં આવેલા ફાઇબર ડોમમાં આગ લાગી હતી. આ પછી બનાવ બન્યાના પાંચ કલાકે પણ TRP ગેમ ઝોનમાં રાહત અને બચાવ કામગીરી ચાલુ હતી.

પોલીસે રાજકોટ ગેમ ઝોનના સંચાલક અને માલિક સહિત 3 લોકોની ધરપકડ કરી છે. SIT વરિષ્ઠ IPS અધિકારી સુભાષ ત્રિવેદીના નેતૃત્વમાં 5 અધિકારીઓની તપાસ કરશે. આ ગેમિંગ ઝોનના માલિક યુવરાજસિંહ સોલંકી અને નિતિન જૈન મેનેજર હોવાનું બહાર આવ્યું છે. આ બંને ઉપરાંત પોલીસે વધુ એક વ્યક્તિની ધરપકડ કરી છે.

રાજ્ય સરકારે ગેમ ઝોન આગની ઘટનાની તપાસ માટે SIT તપાસના આદેશ આપ્યા છે. આ માટે 5 અધિકારીઓની SIT ટીમ બનાવવામાં આવી છે. વરિષ્ઠ IPS અધિકારી સુભાષ ત્રિવેદીના નેતૃત્વમાં 5 અધિકારીઓની ટીમ કેસની SIT તપાસ કરશે. CM ભૂપેન્દ્ર પટેલે એક્સ પરની પોસ્ટમાં જણાવ્યું હતું કે, રાજકોટમાં ગેમ ઝોનમાં આગની ઘટનામાં શહેરના વહીવટીતંત્રને તાત્કાલિક બચાવ અને રાહત કાર્ય હાથ ધરવા સૂચના આપવામાં આવી છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, ભીષણ આગને કારણે સ્ટ્રક્ચર ધરાશાયી થઈ ગયું અને લોકો તેની અંદર દટાઈ ગયા. જેના કારણે આગ વધુ ભયાનક બની હતી. માળખામાં દટાયેલા લોકો બહાર ન આવી શક્યા અને ઘણા લોકોએ જીવ ગુમાવ્યા. મૃતકોમાં 9 બાળકોનો પણ સમાવેશ થાય છે. આગ લાગી ત્યારે બાળકો સહિત ઘણા લોકો રમત રમી રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp