મંદિર ચેતનાનું કેન્દ્ર પણ બનવું જોઈએ જ્યાં સમસ્યાઓનું સમાધાન થાયઃ આનંદીબેન

PC: twitter.com

સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ યાત્રાધામ કાગવડના શ્રી ખોડલધામ મંદિરની જેમ સમગ્ર ગુજરાતના ચાર ઝોનમાં ખોડલધામનું નિર્માણ કરવાનો સંકલ્પ શ્રી ખોડલધામ ટ્રસ્ટ- કાગવડના ચેરમેન નરેશ પટેલ અને ટ્રસ્ટી મંડળ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે. ત્યારે કાગવડમાં શ્રી ખોડલધામના નિર્માણ બાદ ઉત્તર ગુજરાત ઝોનમાં પાટણ જિલ્લાના સંડેર મુકામે નવનિર્માણ પામનાર શ્રી ખોડલધામ સંકુલનો ભૂમિપૂજન સમારોહ તારીખ 22 ઓક્ટોબર ને રવિવારે આઠમના નોરતે યોજાયો હતો. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ ભૂમિપૂજન સમારોહમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશ પટેલ સહિતના સામાજિક-રાજકીય આગેવાનો, ઉદ્યોગપતિઓ, ટ્રસ્ટીઓ અને સમાજના પરિવારજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આંનદીબેન પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, સંડેર ખાતે ભવ્ય ખોડલધામ મંદિર બનવા જઈ રહ્યું છે. જ્યાં ભવિષ્યમાં કૌશલ્યનું નિર્માણ થશે, યુવાઓને પ્રેરણા સાથે રોજગાર મળી રહે તેવી પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવશે. સમગ્ર સમાજના વિકાસ માટે ખોડલધામ માર્ગદર્શન પૂરું પાડશે. આ માટે નરેશભાઇ અને તેમની ટીમને ધન્યવાદ આપું છું. સામાન્ય રીતે મંદિરનું નિર્માણ દર્શન, પૂજા અર્ચના અને ભક્તિમાં તરબોળ થવા માટે હોય છે. પરંતુ મંદિર ચેતનાનું કેન્દ્ર પણ બનવું જોઈએ જ્યાં સમસ્યાઓનું સમાધાન થાય. આ કાર્ય કરવા બદલ શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડની ટીમને અભિનંદન પાઠવું છુ. તેમજ વધુમાં સૌને સૂચન કરતા કહ્યું કે, દીકરીઓ અને માતાઓના સ્વાસ્થ્યની વિશેષ ચિંતા કરી તેઓ સ્વસ્થ રહે અને કેન્સર જેવી બીમારીઓથી મુક્ત રહે એવા પ્રયાસો હાથ ધરવા જોઈએ.

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવરાત્રિનાં પાવન પ્રસંગની શુભેચ્છા પાઠવી જણાવ્યું હતું કે, આજે દુર્ગાષ્ટમીના પાવન પ્રસંગે પવિત્ર તીર્થધામ ખોડલધામના આંગણે આવીને દિવ્યતાની સાથે ગૌરવની લાગણી અનુભવું છું. ખોડલધામ સંકુલે વસુધૈવ કુટુંબકમની ભાવના સાકાર કરવાનું કાર્ય કર્યું છે. ખોડલધામની સેવા પ્રવૃત્તિનો લાભ તમામ સમાજને પહોંચાડી સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ખોડલધામ સંકુલ આધ્યાત્મિકતા સાથે આધુનિકતાનું કેન્દ્ર બનશે. અહીં મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, કૃષિ સંશોધન કેન્દ્ર, યુવાનો માટે લાઇબ્રેરી- હોસ્ટેલ જેવી સુવિધાઓ તથા નાગરિકો માટે સરકારી યોજનાના સહાય કેન્દ્ર પણ બનશે.

શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશ પટેલે સૌને શુભેચ્છા આપતાં જણાવ્યું હતુ કે આજે ફક્ત આનંદનો દિવસ નહીં, ઐતિહાસિક દિવસ નહીં પરંતુ પાટીદારો માટે ગૌરવનો દિવસ છે. ખોડલધામની સફળતાનાં આપ સૌ ભાગીદાર છો. ખોડલધામની આ સફળતામાં મહાનુભાવોનો સિંહફાળો છે. તેમણે જણાવ્યું કે, રાણકી વાવ પછી પાટણમાં ખોડલધામ પ્રવાસનનું કેન્દ્ર બનશે.

સંડેર ખાતે આયોજિત શ્રી ખોડલધામ સંકુલના ભૂમિપૂજન સમારોહમાં સમાજની દીકરીઓ અને ટ્રસ્ટીઓ ભૂમિપૂજનની પૂજામાં જોડાયા હતા. ભૂમિપૂજન સમારોહ પ્રસંગે લોકડાયરાનો કાર્યક્રમ પણ યોજાયો હતો. જેમાં કલાકારોએ હાસ્યરસ અને માતાજીના ભજનની રમઝટ બોલાવીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. ત્યારબાદ ભૂમિપૂજન સમારોહના કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત મહેમાનો દ્વારા દિપ પ્રાગટ્ય કરાયું હતું. ત્યારબાદ દીકરીઓ અને મહિલાઓ દ્વારા માતાજીનો ગરબો રજૂ કરવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp