નાઇટ શિફ્ટ કામદારો સાવચેત! તમારું જીવન અંધકારમય થઇ શકે છે,વૈજ્ઞાનિકોનો મોટો દાવો

PC: b--sync-life.translate.goog

આજકાલની ભાગદોડની જિંદગીમાં આખી દુનિયામાં નાઈટ શિફ્ટનું ચલણ ઝડપથી વધી રહ્યું છે, પરંતુ આ જે ચલણ વધી રહ્યું છે તે તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. માત્ર થોડા દિવસો માટે નાઈટ શિફ્ટ કરવાથી પણ ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીનું જોખમ અનેકગણું વધી જાય છે.

આજના સમયમાં 24*7 વર્ક કલ્ચર બની ગયું છે. લોકો ઘડિયાળના કાંટે કામ કરતા હોય છે, આ લોકો કામ કરતી વખતે દિવસ કે રાત જોતા નથી અને તેમના લક્ષ્યને પ્રાપ્ત કરવા હંમેશા વ્યસ્ત રહે છે. મોટી સંખ્યામાં લોકો આખી રાત જાગીને પણ પોતાનું કામ પૂરું કરે છે. નાઈટ કલ્ચર ભલે પ્રોફેશનલ લાઈફ માટે સારું હોય, પણ સ્વાસ્થ્ય માટે તે ઘણું જોખમી હોઈ શકે છે. નાઇટ શિફ્ટમાં કામ કરવાથી તમને ડાયાબિટીસ, હ્રદય રોગ, સ્થૂળતા સહિત અનેક જીવલેણ રોગો થવાની શક્યતા વધી જાય છે. તાજેતરમાં થયેલા એક અભ્યાસમાં આ વાત સામે આવી છે. એવું કહેવામાં આવ્યું છે કે, માત્ર થોડા દિવસોની નાઇટ શિફ્ટ પણ તમને રોગી બનાવી શકે છે.

USમાં વોશિંગ્ટન સ્ટેટ યુનિવર્સિટીના નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, નાઇટ શિફ્ટમાં કામ કરવાથી આપણા બ્લડ ગ્લુકોઝને નિયંત્રિત કરતા પ્રોટીનની લયમાં ખલેલ પડી શકે છે. આ શરીરના ઊર્જા ચયાપચયને વિક્ષેપિત કરી શકે છે, જે પ્રકાર 2 ડાયાબિટીસનું જોખમ વધારી શકે છે. વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે, માત્ર 3 નાઇટ શિફ્ટ કરવાથી તમે ડાયાબિટીસ, સ્થૂળતા અને અન્ય મેટાબોલિક ડિસઓર્ડરનો શિકાર બની શકો છો. રાત્રે જાગીને કામ કરવાથી મગજની મુખ્ય જૈવિક ઘડિયાળને ખલેલ પહોંચે છે, તેનાથી તણાવ વધવા લાગે છે અને ક્યારેક ડિપ્રેશન પણ થઈ શકે છે.

આ અભ્યાસ જર્નલ ઓફ પ્રોટીઓમ રિસર્ચમાં પ્રકાશિત થયો છે. સંશોધકોનું કહેવું છે કે, જ્યારે રિસર્ચમાં સામેલ નાઈટ શિફ્ટ કામદારોના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા ત્યારે તેમની તપાસ કરતાં ઘણી ચોંકાવનારી બાબતો સામે આવી. અન્ય લોકોની સરખામણીમાં રાત્રે કામ કરતા લોકોમાં ઇન્સ્યુલિનના ઉત્પાદન અને સંવેદનશીલતામાં નોંધપાત્ર તફાવત જોવા મળ્યો હતો. માત્ર ડાયાબિટીસ જ નહીં, પરંતુ અગાઉના ઘણા સંશોધનોથી જાણવા મળ્યું છે કે, જે લોકો રાત્રે જાગતા રહે છે અને નાઇટ શિફ્ટ કરે છે તેમનું બ્લડ પ્રેશર વધી શકે છે, જે હૃદય રોગ અને સ્ટ્રોકનું જોખમ વધારી શકે છે.

અન્ય એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, રાત્રે ખોરાક ખાવાથી શરીરના મેટાબોલિઝમમાં ફેરફાર થાય છે. ખાસ કરીને, તે રક્ત સુગર અથવા ગ્લુકોઝની પ્રક્રિયા કરવાની તમારી ક્ષમતાને નબળી બનાવી શકે છે. આ સંશોધનમાં, સંશોધકોએ શોધી કાઢ્યું કે, માત્ર દિવસ દરમિયાન ખાવાથી રાત્રે કામકાજ સાથે સંકળાયેલા ઉચ્ચ સુગરના સ્તરને રોકી શકાય છે. આરોગ્ય નિષ્ણાતો માને છે કે, રાત્રે જાગતા કામ કરવાથી આપણા શરીરની સર્કેડિયન લયમાં ખલેલ પહોંચે છે અને એકંદર આરોગ્ય પર નકારાત્મક અસર પડે છે. તેથી લોકોએ બની શકે તો નાઈટ શિફ્ટ કરવાનું ટાળવું જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp