અમિત શાહ સામે ચૂંટણી લડનારા કોંગ્રેસના સોનલ પટેલે કહ્યું-ટિકિટ માગી ન હતી...

PC: amarujala.com

ગુજરાતની ગાંધીનગર લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર સોનલ પટેલે કહ્યું છે કે, તેમને આ બેઠક પરથી ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા અમિત શાહ સામે ચૂંટણી લડવામાં કોઈ ખચકાટ નથી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ BJP તરફથી ગાંધીનગર બેઠક પર ચૂંટણી લડી રહ્યા છે. ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC)ના સેક્રેટરી અને મુંબઈ અને પશ્ચિમ મહારાષ્ટ્રના સહ-પ્રભારી સોનલ પટેલ (62)એ દાવો કર્યો હતો કે BJP લોકોની આકાંક્ષાઓને પૂર્ણ કરવામાં નિષ્ફળ ગઈ છે, તેથી તેમની વિરુદ્ધ સત્તા વિરોધી લહેર છે. તેમણે શાસક પક્ષ પર તેમના મતવિસ્તારમાં કોંગ્રેસના કાર્યકરોને ડરાવવાનો પણ આરોપ મૂક્યો અને કહ્યું કે ચૂંટણી લડવા માટે 'સમાન અવસર' નથી.

સોનલ પટેલે મીડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, 'મેં પાર્ટી પાસેથી ટિકિટ માંગી ન હતી કારણ કે હું મહારાષ્ટ્રમાં કોંગ્રેસની બાબતોમાં વ્યસ્ત હતી, જ્યાં હું મુંબઈ અને પશ્ચિમ મહારાષ્ટ્રની સહ-પ્રભારી છું. પરંતુ પાર્ટીએ મને ગાંધીનગરથી મેદાનમાં ઉતારી અને મેં તેનો સ્વીકાર કર્યો.' કોંગ્રેસના ઉમેદવારે આરોપ લગાવ્યો, 'અમારા કાર્યકરોને ડરાવવામાં આવી રહ્યા છે, કોઈ અમને પાર્ટીના કાર્યકરોની મીટિંગ માટે જગ્યા ભાડે આપવા તૈયાર નથી, કારણ કે તેઓને ડર છે કે, ચૂંટણી પૂરી થયા પછી તેમને ટાર્ગેટ કરવામાં આવશે. ભૂતકાળના કેટલાક નાના-મોટા કેસમાં પોલીસ અમારા શહેર અને જિલ્લાના આગેવાનોને પોલીસ સ્ટેશનમાં બોલાવતી રહી છે. BJP ચૂંટણી લડવા માટે વહીવટી તંત્રનો ઉપયોગ કરી રહી છે.' કોંગ્રેસના ઉમેદવારે કહ્યું કે, આ દર્શાવે છે કે તેઓ ડરી ગયા છે. તેમણે કહ્યું, 'મને ખબર નથી કે, અમિત શાહ BJPના સ્થાનિક નેતાઓ દ્વારા અપનાવાઈ રહેલી આ રણનીતિથી વાકેફ છે કે કેમ. દરેકને ચૂંટણી લડવાની સમાન તક મળવી જોઈએ.'

અહીં તમને જણાવી દઈએ કે, કોંગ્રેસના ઉમેદવાર સોનલ પટેલ પાસે આર્કિટેક્ટની ડિગ્રી પણ છે. તેમણે કહ્યું કે, તેમને ગાંધીનગરમાં અમિત શાહ સામે ચૂંટણી લડવામાં કોઈ ખચકાટ નથી. આ બેઠક BJPનો ગઢ માનવામાં આવે છે અને પૂર્વ PM અટલ બિહારી વાજપેયી અને પૂર્વ DyPM લાલ કૃષ્ણ અડવાણી અહીંથી ચૂંટણી લડી ચૂક્યા છે. પટેલે કહ્યું, 'તે (શાહ) ભલે દેશના ગૃહમંત્રી હોય, પરંતુ અમે તેમને ત્યારથી જોયા છે કે જ્યારે તેઓ BJPમાં એક સામાન્ય કાર્યકર હતા, તેઓ એક જમીની લેવલના કાર્યકરથી દેશના ગૃહમંત્રી બન્યા છે.' મારા પિતા નારણપુરાના કોંગ્રેસના સિટી કાઉન્સિલર હતા. અમે તેમને આગળ વધતા જોયા છે. મેં પણ પાયાના સ્તરેથી શરૂઆત કરી છે.' પટેલે ઉમેર્યું, 'અને જ્યારે લોકો મત આપશે, ત્યારે તેઓ એવું નહીં વિચારે કે તેઓ (શાહ) ગૃહ પ્રધાન છે અને હું એક સામાન્ય પક્ષ (કોંગ્રેસ)ની કાર્યકર છું.'

કોંગ્રેસે આ અગાઉ ગાંધીનગર બેઠક પરથી BJPના નેતાઓને ટક્કર આપવા પૂર્વ ચૂંટણી કમિશનર TN શેષન અને અભિનેતા રાજેશ ખન્ના જેવા દિગ્ગજોને મેદાનમાં ઉતારી ચુકી છે. કોંગ્રેસે આ વખતે શાહ સામે બહારના વ્યક્તિને કેમ મેદાનમાં ઉતાર્યા નથી, તે અંગે પૂછવામાં આવતા પટેલે કહ્યું હતું કે, 'બહારથી કોઈ અનુભવી વ્યક્તિને લેવામાં બે સમસ્યાઓ છે. સૌપ્રથમ, તે વ્યક્તિને વિસ્તાર વિશે કોઈ જાણકારી હોતી નથી, તેથી તે ખૂબ મદદરૂપ સાબિત થતો નથી અને જ્યારે ચૂંટણી પછી ઉમેદવાર નીકળી જાય છે, ત્યારે એક શૂન્યતા સર્જાય છે. તેથી, સ્થાનિક ઉમેદવારની પસંદગી કરવી વધુ સારું છે.' તેમણે કહ્યું, 'અમારું પ્રચાર અભિયાન ચાલુ છે અને તે જલ્દી વેગ પકડશે.' અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં લોકસભાની ચૂંટણી 7 મેના રોજ એક જ તબક્કામાં યોજાશે અને નામાંકન ભરવાની છેલ્લી તારીખ 19મી એપ્રિલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp