કોર્ટે CM કેજરીવાલને આપ્યો ઝટકો, ED પાસે પણ માગ્યો જવાબ, હવે CBI પાછળ પડશે...
![](https://khabarchhe.com/uploads/mc_path/171153339848.jpg)
શરાબ કૌભાંડ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં બુધવારે દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી થઈ ગઈ છે. કોર્ટે અરવિંદ કેજરીવાલને રાહત આપી નથી. તેમણે ED રિમાન્ડ વિરુદ્ધ અરજી કરી હતી, જેને કોર્ટે ઝટકો આપ્યો છે અને EDને 2 એપ્રિલ સુધીમાં જવાબ આપવા માટે કોર્ટે જણાવ્યું છે. આ મામલે આગામી સુનાવણી 3 એપ્રિલના રોજ થશે. એટલે કે CM અરવિંદ કેજરીવાલની અરજી પર જવાબ દાખલ કરવા માટે કોર્ટે EDને 2 એપ્રિલ સુધીનો સમય આપ્યો છે.
EDની લીગલ ટીમના જણાવ્યા અનુસાર EDના રિમાન્ડ લંબાવવા અંગેની ચર્ચા પહેલા ગુરુવારે રાઉઝ એવન્યુ કોર્ટની સ્પેશિયલ કોર્ટમાં CBIની અરજીનો ઉલ્લેખ કરવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર શક્ય છે કે ED હાલમાં કેજરીવાલના રિમાન્ડની મુદત વધારવાનો આગ્રહ ન કરે. કેમ કે એવું કેમ કહેવામાં આવી રહ્યું છે કે ED ઇચ્છે છે કે CBI થોડા દિવસો માટે કેજરીવાલની પૂછપરછ કરે. આ પછી, ED રિમાન્ડની મુદત વધારવાની માંગ કરી શકે છે.
ED પાસે કુલ 14 દિવસના રિમાન્ડનો અધિકાર છે. કોર્ટે કેજરીવાલના 22 માર્ચની રાતથી 28 માર્ચ સુધીના છ દિવસના રિમાન્ડ EDને આપ્યા હતા. આ રીતે EDને હજુ આઠ દિવસ બાકી છે.
આ મામલામાં કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કોર્ટ સમક્ષ કહ્યું કે, મેં પહેલા પણ કહ્યું હતું કે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા મારી પુછપરછ કરી શકો છો.પરંતુ તે કરવામાં આવ્યું ન હતું. હવે ધરપકડ બાદ તેઓ કહે છે કે પુરાવા સાથે છેડછાડ થઈ શકે છે. જ્યારે આ કેસમાં ધરપકડની કોઈ જરૂર નહોતી.
બીજી તરફ EDએ દલીલ કરી હતી કે,કેજરીવાલની ભૂમિકા અંગે પૂછપરછ થવી જોઈએ. તેના પર કેજરીવાલે કહ્યું કે હું કહું છું કે જો તમે ચૂંટણીના બે મહિના પહેલા મારી ભૂમિકાની તપાસ કરવા માંગતા હોવ તો શું સીધી ધરપકડની જરૂર હતી? તે શું છે જે તમે મારી ધરપકડ વિના કરી શક્યા ન હોત? હું ભાગી રહ્યો નથી. પણ હું સવાલ કરું છું કે ધરપકડની શું જરૂર હતી?
કેજરીવાલ વતી સિંઘવીએ સરકારી સાક્ષી બનેલા લોકોના નિવેદનોની વિશ્વસનીયતા પર સવાલો ઉઠાવ્યા અને દલીલ કરી કે આ કેસમાં આરોપીઓ સરકારી સાક્ષી બનવા માટે તૈયાર થઈ જાય છે.
સિંઘવીએ તેમની દલીલના સમર્થનમાં કેજરીવાલ વતી સુપ્રીમ કોર્ટના જૂના નિર્ણયોને ટાંક્યા. EDનું કહેવું છે કે હું તપાસમાં સહકાર નથી આપી રહ્યો. આ દલીલ અયોગ્ય છે. મારા વિરુદ્ધ નિવેદન આપવા માટે દબાણ કરી શકાય નહીં. એ મારો અધિકાર છે કે તમે મને મારી સામે જુબાની આપવા માટે દબાણ ન કરી શકો. આવી દૂષિત કાર્યવાહીમાં મને બંધારણીય અદાલતમાંથી રક્ષણ નહીં મળે તો હું ક્યાં જઈશ?
કેજરીવાલે ધરપકડ વિરુદ્ધ દાખલ કરેલી અરજીમાં ચાર દલીલો આપી છે. આ દલીલોને ટાંકીને કેજરીવાલે તેમની ધરપકડને ગેરકાયદે ગણાવી છે.કેજરીવાલે કહ્યું છે કે ED દ્વારા તેમની ધરપકડ તેમના મૂળભૂત અને માનવ અધિકારોનું ઉલ્લંઘન છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે ED અરજદાર સામે ગુનો સાબિત કરવામાં નિષ્ફળ રહી છે. ઉપરાંત, પૂછપરછ કર્યા વિના ધરપકડ દર્શાવે છે કે આ કાર્યવાહી રાજકીય પ્રેરિત છે. કેજરીવાલે તરત રાહત આપવાની અને રિમાન્ડ રદ કરવાની માંગ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp