પોલીસ કર્મચારીઓનું કલ્યાણ એ મોદી સરકારની પ્રાથમિકતા છે: અમિત શાહ

PC: PIB

કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય પોલીસ સ્મારક ખાતે પોલીસ સ્મારક દિને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, પોલીસ દળોના જવાનો કાશ્મીરથી કન્યાકુમારી અને કચ્છથી કિબીથુ સુધી ભારતની સરહદોની સુરક્ષા કરે છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, સેનાનાં જવાનો હંમેશા આપણી અને સરહદોની સુરક્ષા કરે છે, પછી ભલેને તે દિવસ હોય કે રાત, તહેવારો હોય કે આપત્તિમાં, અતિ ગરમી, વરસાદ કે પછી શીતલહેરો હોય.

અમિત શાહે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય પોલીસ સ્મારકનું કેન્દ્રીય માળખું આપણાં સૈનિકોની ફરજ પ્રત્યેની અતૂટ કટિબદ્ધતા, તેમની અગાધ દેશભક્તિ અને સર્વોચ્ચ બલિદાન આપવાની તેમની ઇચ્છાનું પ્રતીક છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, વર્ષ 1959માં આજના જ દિવસે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)નાં 10 જવાનોએ ચીનની સેનાનો બહાદુરીપૂર્વક સામનો કર્યો હતો અને પોતાનાં જીવનનું બલિદાન આપ્યું હતું. અમિત શાહે જણાવ્યું હતું કે, PM બન્યાં પછી નરેન્દ્ર મોદીએ આ સૈનિકોનાં બલિદાનનું સન્માન કરવા માટે દિલ્હીનાં હાર્દમાં એક પોલીસ સ્મારકનું નિર્માણ કરવાનો નિર્ણય લીધો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ પોલીસ સ્મારક આપણા યુવાનોને પ્રેરણા આપતું રહેશે અને નાગરિકોને યાદ અપાવતું રહેશે કે આજે આપણે જે સલામતી અને પ્રગતિનો આનંદ માણી રહ્યા છીએ તે આ હજારો સૈનિકોના સર્વોચ્ચ બલિદાનને કારણે છે. તેમણે ઉમેર્યું હતું કે, દેશની સુરક્ષા અને સલામતી માટે 36,468 પોલીસ કર્મચારીઓએ પોતાનાં જીવનનું બલિદાન આપ્યું છે, જેણે દેશને પ્રગતિ કરવા સક્ષમ બનાવ્યો છે. તેમણે ઉલ્લેખ પણ કર્યો હતો કે, છેલ્લાં એક વર્ષમાં 216 પોલીસ કર્મચારીઓએ ફરજ દરમિયાન પોતાનાં જીવનનું બલિદાન આપ્યું છે અને દેશ આ બહાદુર સૈનિકોનો હંમેશા ઋણી રહેશે.

 

કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રીએ જણાવ્યું હતું કે રાષ્ટ્રની સુરક્ષા માટે આપણા પોલીસ દળો સર્વોચ્ચ બલિદાન આપે તેવી પરંપરા રહી છે. તેમણે ઉમેર્યું હતું કે, આપણો ઇતિહાસ ગૌરવવંતો પણ છે, જેમાં હિમાલયનાં બર્ફીલા અને જોખમી શિખરોથી માંડીને કચ્છ અને બાડમેરનાં કઠોર રણપ્રદેશો અને વિશાળ મહાસાગરો સુધી બહાદુર સૈનિકો નિર્ભયપણે દેશની સુરક્ષા કરે છે અને તેની સુરક્ષા સુનિશ્ચિત કરે છે.

અમિત શાહે જણાવ્યું હતું કે, જમ્મુ અને કાશ્મીર, ડાબેરી ઉગ્રવાદથી અસરગ્રસ્ત વિસ્તારો અને ઉત્તરપૂર્વમાં દાયકાઓથી શાંતિમાં અવરોધ ઊભો થયો છે, પણ છેલ્લાં એક દાયકામાં આપણે આપણાં સુરક્ષા દળોનાં સમર્પણ અને કાર્યદક્ષતાને કારણે શાંતિ સ્થાપિત કરવામાં સફળતા મેળવી છે. તેમણે ઉમેર્યું હતું કે, જોકે, અમારી લડાઈ હજુ પૂરી થઈ નથી. ડ્રોન, માદક દ્રવ્યોનો વેપાર, સાયબર ક્રાઇમ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) દ્વારા અશાંતિ ફેલાવવાના પ્રયાસો, ધાર્મિક ભાવનાઓ ભડકાવવાના કાવતરાં, ઘૂસણખોરી, ગેરકાયદેસર શસ્ત્રોની દાણચોરી અને આતંકવાદ જેવા ઉભરતા જોખમો આજે આપણે જે પડકારોનો સામનો કરી રહ્યા છીએ. અમિત શાહે જણાવ્યું હતું કે, ગમે તેટલા મોટા જોખમો અને પડકારો હોય, પણ તેઓ આપણા સૈનિકોના અડગ સંકલ્પની સામે ઊભા રહી શકતા નથી.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે, વર્ષ 2047 સુધીમાં સંપૂર્ણ વિકસિત ભારતનું નિર્માણ કરવાનાં PM નરેન્દ્ર મોદીનાં વિઝનને પૂર્ણ કરવા માટે દેશભરમાં પોલીસ કર્મચારીઓ કટિબદ્ધ છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે દેશની સંસદ દ્વારા પસાર કરવામાં આવેલા ત્રણ નવા ગુનાહિત કાયદાઓનો અમલ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં શરૂ થઈ ચૂક્યો છે. તેમણે કહ્યું હતું કે, એક વખત આ કાયદાઓનો સંપૂર્ણ અમલ થઈ જાય, પછી આપણી અપરાધિક ન્યાય પ્રણાલી વિશ્વની સૌથી આધુનિક ન્યાય પ્રણાલી બની જશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, દેશના કોઇ પણ ખુણામાં નોંધાયેલા કોઇ પણ ગુનામાં ત્રણ વર્ષની અંદર સુપ્રીમ કોર્ટ સુધી ન્યાય મળશે. તેમણે જણાવ્યું હતું કે, ન્યાયમાં થતાં વિલંબને દૂર કરવાનો માર્ગ આ ત્રણ નવા કાયદાઓનાં અમલીકરણમાં રહેલો છે.

અમિત શાહે જણાવ્યું હતું કે, મોદી સરકારે પોલીસ કર્મચારીઓનાં કલ્યાણ માટે ઘણી યોજનાઓ પ્રસ્તુત કરી છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, આયુષ્માન સીએપીએફ યોજના મારફતે 41 લાખથી વધારે કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું છે અને આશરે રૂ. 1422 કરોડનાં મૂલ્યનાં 13 લાખ દાવાઓની પતાવટ કરવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે, આ કાર્ડ મારફતે આપણા જવાનો અને તેમનાં પરિવારજનોનાં સ્વાસ્થ્યનું ક્યાંય પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે, આવાસ યોજનામાં પણ અમે આવાસ સંતોષનો રેશિયો વધારવાનો લક્ષ્યાંક રાખ્યો છે. અમિત શાહે જણાવ્યું હતું કે, મોદી સરકારે વર્ષ 2015માં રૂ. 3100 કરોડનાં ખર્ચે 13,000 મકાનો અને 113 બેરેકનાં નિર્માણને મંજૂરી આપી હતી, જેમાંથી માર્ચ, 2024 સુધીમાં 11,276 મકાનો અને 111 બેરેકનું કામ પૂર્ણ થઈ ગયું છે. તેમણે જણાવ્યું હતું કે, સીએપીએફ ઇ-આવાસ વેબ પોર્ટલ મારફતે ખાલી પડેલાં મકાનોની ફાળવણી કરવામાં આવી છે. PM શિષ્યવૃત્તિ યોજના આપણા પોલીસ કર્મચારીઓના બાળકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. આ સાથે એમબીબીએસમાં 26 અને બીડીએસમાં 3 બેઠકો પણ સીએપીએફના કર્મચારીઓના આશ્રિતો માટે અનામત રાખવામાં આવી છે. કેન્દ્રીય અનુગ્રહ રાશિની રકમને એકીકૃત વળતર સુધી વધારવાથી આપણા જવાનોના પરિવારોને મોટી રાહત મળે છે.

કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે આપણા પોલીસ કર્મચારીઓ, ખાસ કરીને સીએપીએફના જવાનો કાયદો અને વ્યવસ્થા જાળવવા અને દેશની સુરક્ષા સુનિશ્ચિત કરવા ઉપરાંત અન્ય ઘણા કાર્યો કરે છે. તેમણે કહ્યું કે 2019 થી 2024 સુધીમાં સીએપીએફના જવાનોએ લગભગ 5 કરોડ 80 લાખ 90 હજાર રોપાઓનું વાવેતર કર્યું છે અને તેમના પોતાના બાળકની જેમ તેમની સંભાળ રાખી રહ્યા છે. અમિત શાહે જણાવ્યું હતું કે, સિવિક એક્શન પ્રોગ્રામ મારફતે ભારત સરકાર અને રાજ્ય સરકારોની તમામ યોજનાઓને તમામ સરહદી જિલ્લાઓમાં નાગરિકો સુધી પહોંચાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ગૃહમંત્રીએ કહ્યું કે દેશ માટે શહીદી વહોરનારા જવાનોનું બલિદાન વ્યર્થ નહીં જાય. તેમણે કહ્યું હતું કે, આ સૈનિકોનાં બલિદાનને કારણે દેશની સુરક્ષા સુનિશ્ચિત થશે અને વર્ષ 2047 સુધીમાં ભારત એક વિકસિત રાષ્ટ્ર તરીકે ઊભરી આવશે. તેમણે ઉમેર્યું હતું કે, આ કૃતજ્ઞ રાષ્ટ્ર આઝાદીની શતાબ્દી દરમિયાન આ જવાનોનાં બલિદાનને હંમેશા આદરપૂર્વક યાદ રાખશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp