AAPને ઝટકો, કેબિનેટ મંત્રીએ રાજીનામું આપી દીધું, EDના દરોડા પડેલા
હજુ તો 7 તારીખે દિલ્હીમાં અરવિંદ કેજરીવાલના સમર્થનમા યોજાયેલા ઉપવાસ સમર્થનમાં જોવા મળેલા દિલ્હીના મંત્રીએ બુધવારે રાજીનામું આપી દીધું છે અને હવે તેમને આમ આદમી પાર્ટી ભ્રષ્ટ્રાચારી લાગી રહી છે. અરવિંદ કેજરીવાલને 24 કલાકમાં ચોથો ઝટકો લાગ્યો છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ અટકવાનું નામ નથી લેતી. કોર્ટમાં એક પછી એક 3 ઝટકા પછી હવે દિલ્હી સરકારના કેબિનેટ મંત્રીએ રાજીનામું આપી દેતા કેજરીવાલની મુશ્કેલીમાં વધારો થયો છે. એક તરફ ટોચના નેતાઓ જેલના સળિયા પાછળ છે તો બીજી તરફ તેમના સહયોગીઓએ પણ હાથ છોડાવવાનું શરૂ કરી દીધું છે. પટેલ નગરના ધારાસભ્ય રાજકુમાર આનંદે મંત્રી પદેથી રાજીનામું આપી દીધું હોવાનું સામે આવ્યું છે. પાર્ટીમાંથી રાજીનામું આપતી વખતે તેમણે પાર્ટીમાં ભ્રષ્ટાચાર પર સવાલો ઉઠાવ્યા છે. રાજકુમાર આનંદે કહ્યું કે તેઓ ભ્રષ્ટાચારને લઈને પાર્ટીની નીતિ સાથે સહમત નથી.
ગયા વર્ષે નવેમ્બરમાં, જ્યારે EDએ CM કેજરીવાલને દારૂ કૌભાંડમાં પૂછપરછ માટે બોલાવ્યા હતા, આ પહેલા EDએ મંત્રી રાજકુમાર આનંદના ઘરે દરોડા પાડ્યા હતા. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દિલ્હી સરકારના મંત્રી રાજકુમાર આનંદના ઘરે દરોડા પાડ્યા હતા. EDની ટીમે સિવિલ લાઇન્સમાં મંત્રીના સત્તાવાર નિવાસસ્થાન સહિત 9 સ્થળોએ તપાસ કરી હતી. રાજકુમાર આનંદ પણ હવાલા વ્યવહારમાં સામેલ હોવાની શંકા હતી. આ દરોડાને કસ્ટમ કેસ સાથે પણ જોડવામાં આવી રહ્યો હતો.
રાજકુમાર આનંદ વર્ષ 2020માં પહેલીવાર પટેલ નગર બેઠક પરથી ધારાસભ્ય બન્યા હતા. આ પહેલા તેમની પત્ની વીણા આનંદ પણ આ જ વિધાનસભા ક્ષેત્રમાંથી ધારાસભ્ય રહી ચૂક્યા છે. દિલ્હી સરકારના પૂર્વ મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમના સ્થાને રાજકુમાર આનંદને કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા હતા. બૌદ્ધ સંમેલનના એક કાર્યક્રમમાં હિંદુ દેવી-દેવતાઓ પર અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી, જ્યાં રાજેન્દ્ર પાલ ગૌતમ પણ હાજર હતા, જે બાદ ઘણો હોબાળો થયો હતો અને રાજેન્દ્ર ગૌતમને કેબિનેટમાંથી રાજીનામું આપવું પડ્યું હતું.
દિલ્હી શરાબ કૌભાંડ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં ફસાયેલા અરવિંદ કેજરીવાલને છેલ્લા 24 કલાકમાં ત્રણ મોટા ઝટકા લાગ્યા છે. પહેલો ઝટકો એ લાગ્યો કે મંગળવારે, દિલ્હી હાઈકોર્ટ ધરપકડ અને કસ્ટડીને પડકારતા અરવિંદ કેજરીવાલની અરજીને ફગાવી દીધી હતી અને EDની ધરપકડ અને રિમાન્ડ યોગ્ય હોવાનું દિલ્હી હાઇકોર્ટે કહ્યું હતું. બીજો ઝટકો એ લાગ્યો કે લબુધવારે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં વકીલોની માંગણી કરતી અરજીમાં નિરાશા મળી હતી અને બુધવારે બપોરે પણ સુપ્રીમ કોર્ટ તરફથી કેજરીવાલને ઝટકાના સમાચાર સામે આવ્યા.સુપ્રીમ કોર્ટે તત્કાળ સુનાવણી કરવાની ના પાડી દીધી છે. દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે દિલ્હી હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. જો કે, કેજરીવાલની અરજી પર SCમાં તાત્કાલિક સુનાવણી થશે નહીં. તેઓએ આવતા સપ્તાહ સુધી રાહ જોવી પડશે. સુપ્રીમ કોર્ટમાં કોઈ વિશેષ બેન્ચ નહીં હોય. આવી સ્થિતિમાં સોમવાર પહેલા સુનાવણી થવાની કોઈ શક્યતા નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp