હવે પટિયાલાના રાણી કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાઇ ગયા
![](https://khabarchhe.com/uploads/mc_path/171041912230.jpg)
પંજાબના પટિયાલાથી સાંસદ અને કેપ્ટન અમરિંદર સિંહની પત્ની પરનીત કૌર BJPમાં જોડાઈ ગયા છે. આ પહેલા તેઓ કોંગ્રેસ પાર્ટીમાંથી સાંસદ રહી ચુક્યા છે. BJPની સદસ્યતા લેતા તેમણે કહ્યું કે, હવે સમય આવી ગયો છે કે, આપણે એવા લોકો સાથે જોડાવું જોઈએ, જેઓ આપણા બાળકોનું સારું ભવિષ્ય સુનિશ્ચિત કરવામાં સક્ષમ છે. તેમની નીતિઓ અને કાર્યોને ધ્યાનમાં રાખીને મેં આ નિર્ણય લીધો છે.
પરનીત કૌરે કહ્યું કે, મેં મારા મતવિસ્તાર માટે કામ કર્યું છે. હું માનું છું કે PM નરેન્દ્ર મોદી એકમાત્ર એવા વ્યક્તિ છે, જેમની દેખરેખ હેઠળ આપણા બાળકો સુરક્ષિત અને સમૃદ્ધ રહેશે.
20 સપ્ટેમ્બર 2021ના રોજ, જ્યારે કોંગ્રેસ હાઈકમાન્ડે કેપ્ટનના હાથમાંથી પંજાબની કપ્તાની છીનવીને દલિત નેતા ચરણજીત સિંહ ચન્નીને સોંપી, ત્યારે અમરિંદર સિંહ બળવાખોર બની ગયા. તેમણે પાર્ટી છોડીને પોતાની પાર્ટી (પંજાબ લોક કોંગ્રેસ) બનાવી અને BJP સાથે મળીને પંજાબની રાજનીતિમાં પોતાનું નસીબ અજમાવ્યું અને હારનો સામનો કરવો પડ્યો.
#WATCH कांग्रेस से निलंबित सांसद और पंजाब के पूर्व सीएम अमरिंदर सिंह की पत्नी परनीत कौर आज दिल्ली में बीजेपी में शामिल हुईं। pic.twitter.com/JUEEzUTXRt
— ANI_HindiNews (@AHindinews) March 14, 2024
અહીં તમને જણાવી દઈએ કે, કેપ્ટન અમરિંદર સિંહ પંજાબની રાજનીતિમાં એક મોટું નામ માનવામાં આવે છે. બે દાયકાથી રાજ્યમાં કોંગ્રેસનો ચહેરો છે. કેપ્ટનનો જન્મ 11 માર્ચ 1942ના રોજ પટિયાલાના એક શાહી પરિવારમાં થયો હતો. મહારાજા યાદવેન્દ્ર સિંહના પુત્ર અમરિંદરે કસૌલીની વેલ્હામ બોયઝ સ્કૂલ, સ્નવર સ્કૂલ અને દેહરાદૂનની દૂન સ્કૂલમાં શિક્ષણ મેળવ્યું હતું. પંજાબના બે વખત CM રહી ચુકેલા અમરિંદર માટે એક સમય એવો હતો જ્યારે કોંગ્રેસમાં તેમનો ખાસ્સો પ્રભાવ હતો. તેઓ ગાંધી પરિવારના નજીકના ગણાતા હતા અને હવે એ જ કોંગ્રેસની સામે ઝંડો ઉઠાવ્યો છે.
કેપ્ટન અમરિન્દર સિંહના પિતા મહારાજા યાદવેન્દ્ર સિંહ પટિયાલા રજવાડાના છેલ્લા રાજા હતા. રાજવી પરિવાર સાથે જોડાયેલા કેપ્ટન અમરિન્દર સિંહે પણ ભારતીય સેનામાં સેવા આપી હતી અને 1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં લડ્યા હતા. 1980ના દાયકામાં દેશના પૂર્વ PM રાજીવ ગાંધીના કહેવા પર અમરિંદર સિંહે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. પંજાબમાં કોંગ્રેસને ચહેરાની જરૂર હતી અને કેપ્ટનને પણ મજબૂત શરૂઆતની જરૂર હતી.
આવી સ્થિતિમાં રાજીવ ગાંધીએ તેમના 'મિત્ર' કેપ્ટન અમરિંદર સિંહ પર વિશ્વાસ વ્યક્ત કર્યો અને જીતીને અમરિંદરે તે વિશ્વાસ કાયમ માટે જીતી લીધો. પરંતુ ત્યારપછી ચાર વર્ષ બાદ જ્યારે સુવર્ણ મંદિર પર સૈન્ય કાર્યવાહી કરવામાં આવી, ત્યારે કેપ્ટન કોંગ્રેસથી જ નારાજ થયા. તેમનો ગુસ્સો એટલો હતો કે તેઓ અચાનક કોંગ્રેસ પાર્ટી છોડીને અકાલી દળમાં જોડાઈ ગયા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp