મહુઆ મોઇત્રા સાંસદ ન રહ્યા,2005માં આવા કેસમાં 11 સાંસદોને હાંકી કાઢવામાં આવેલા

PC: naidunia.com

કેશ ફોર ક્વેરી કેસમાં TMC સાંસદ મહુઆ મોઇત્રાની સંસદ સભ્યતા રદ કરવામાં આવી છે. લોકસભાની એથિક્સ કમિટીએ તેમનું સભ્યપદ સમાપ્ત કરવાની ભલામણ કરી હતી. શુક્રવારે લોકસભામાં સમિતિના અહેવાલ પર ચર્ચા થઈ હતી અને સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ પટેલે TMC સાંસદનું સભ્યપદ રદ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. પ્રસ્તાવ પસાર થયા બાદ મહુઆ મોઇત્રાનું સંસદ સભ્યપદ રદ કરવામાં આવ્યું હતું. ગૃહમાં ચર્ચા દરમિયાન, 2005નો કેશ ફોર ક્વેરી કેસ પણ સામે આવ્યો જ્યારે લોકસભાના 10 અને રાજ્યસભાના 1 સભ્યને હાંકી કાઢવામાં આવ્યા.

મહુઆ મોઇત્રા પર ઉદ્યોગપતિ દર્શન હિરાનંદાની તરફથી મોંઘી ભેટના બદલામાં સંસદમાં પ્રશ્નો પૂછવાનો આરોપ છે. આટલું જ નહીં, તેમના પર આરોપ છે કે તેમણે તેમના સંસદીય લોગિન ID અને પાસવર્ડ હિરાનંદાનીને જાહેર કર્યા હતા જેથી તેઓ સીધા પ્રશ્નો પૂછી શકે.

મહુઆ મોઇત્રા કેસમાં એથિક્સ કમિટીની ભલામણ પર ચર્ચા દરમિયાન કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ સરકાર પર આ મામલે 'ઉતાવળ' કરવાનો આરોપ લગાવ્યો. આ અંગે સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ 2005ના કેશ ફોર ક્વેરી કેસનો ઉલ્લેખ કરતા કહ્યું કે, તે સમયે 10 સાંસદોનો પક્ષ સાંભળ્યા વિના જ તેમને હાંકી કાઢવામાં આવ્યા હતા. ત્યાર પછી, એથિક્સ કમિટીના રિપોર્ટ પર ચર્ચા દરમિયાન, TMC સાંસદ કલ્યાણ બેનર્જીએ પણ કહ્યું કે, મહુઆ મોઇત્રાને પણ તેમના વિચારો વ્યક્ત કરવાની તક આપવી જોઈએ. બાય ધ વે, એથિક્સ કમિટીએ મોઇત્રાને પણ બોલાવ્યા હતા.

પ્રહલાદ જોશી (સંસદીય બાબતોના મંત્રી)એ મહુઆ મોઇત્રા કેસ પર ચર્ચા દરમિયાન કહ્યું કે, 'જ્યારે 2005માં 10 લોકોને હાંકી કાઢવામાં આવ્યા હતા, તે જ દિવસે સંસદમાં રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. તે દિવસે 10 લોકોને તેમના વિચારો વ્યક્ત કરવાની કોઈ તક આપવામાં આવી ન હતી. તે રેકોર્ડ પર છે. જ્યાં સુધી હું જાણું છું, માનનીય સોમનાથ ચેટર્જીએ તેના પર નિર્ણય આપ્યો હતો.'

2005ના કેશ ફોર ક્વેરી કેસનો ઉલ્લેખ પ્રહલાદ જોષીએ કર્યો હતો? આખરે તે આખી બાબત શું હતી, ચાલો આપણે જાણીએ. ત્યારે 11 સાંસદોની હકાલપટ્ટી કરવામાં આવી હતી. આટલું જ નહીં તેને ક્રિમિનલ કેસનો પણ સામનો કરવો પડ્યો હતો. જેમાંથી 10 લોકસભાના અને એક રાજ્યસભાના સાંસદ હતા. ત્યારે કેન્દ્રમાં ડૉ.મનમોહન સિંહના નેતૃત્વમાં UPA-1ની સરકાર હતી.

12 ડિસેમ્બર 2005ના રોજ એક ન્યૂઝ પોર્ટલના સ્ટિંગ ઓપરેશનથી રાજકીય ખળભળાટ મચી ગયો હતો. સ્ટિંગમાં 11 સાંસદો સંસદમાં પ્રશ્નો પૂછવાના બદલામાં પૈસાની ઓફર સ્વીકારતા દર્શાવવામાં આવ્યા હતા. જેમાંથી 6 BJPના, 3 BSP અને 1 કોંગ્રેસનો હતો. આ સાંસદો હતા, Y.G. મહાજન (BJP), છત્રપાલ સિંહ લોઢા (BJP), અન્ના સાહેબ M.K. પાટીલ (BJP), મનોજ કુમાર (RJD), ચંદ્ર પ્રતાપ સિંહ (BJP), રામ સેવક સિંહ (કોંગ્રેસ), નરેન્દ્ર કુમાર કુશવાહા (BSP), પ્રદીપ ગાંધી (BJP), સુરેશ ચંદેલ (BJP), લાલ ચંદ્ર કોલ (BSP) અને રાજા રામ પાલ (BSP). સ્ટિંગમાં, લોઢાને સૌથી ઓછી 15,000 રૂપિયાની રોકડ ઓફર કરવામાં આવી હતી, જ્યારે સૌથી વધુ 1,10,000 રૂપિયાની રોકડ RJD સાંસદ મનોજ કુમારને ઓફર કરવામાં આવી હતી.

24 ડિસેમ્બર 2005ના રોજ તમામ 11 આરોપી સાંસદોને સંસદમાં મતદાન દ્વારા હાંકી કાઢવામાં આવ્યા હતા. લોકસભામાં પ્રણવ મુખર્જીએ 10 સાંસદોની હકાલપટ્ટીનો પ્રસ્તાવ મૂક્યો હતો જ્યારે રાજ્યસભામાં તત્કાલીન PM મનમોહન સિંહે એક સાંસદની હકાલપટ્ટીનો પ્રસ્તાવ મૂક્યો હતો. મતદાન દરમિયાન BJPએ વોકઆઉટ કર્યું હતું. પાર્ટીના વરિષ્ઠ નેતા અને તત્કાલીન વિપક્ષના નેતા લાલકૃષ્ણ અડવાણીએ કહ્યું હતું કે, સાંસદોએ જે પણ કર્યું તે ભ્રષ્ટાચાર ઓછો અને વધુ મૂર્ખતા છે. આ માટે તેમને હાંકી કાઢવા એ ખૂબ જ આકરી સજા હશે.

જાન્યુઆરી 2007માં સુપ્રીમ કોર્ટે પણ સાંસદોને હાંકી કાઢવાના નિર્ણયને યથાવત રાખ્યો હતો. તે જ વર્ષે દિલ્હી હાઈકોર્ટના નિર્દેશ પર દિલ્હી પોલીસે પણ આ મામલે કેસ નોંધ્યો હતો. ન્યૂઝ પોર્ટલના બે પત્રકારો સામે પણ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp