રાઉત-ફડણવીસની મુલાકાત પર નિરુપમે કહ્યું-શિવસેના આપશે કોંગ્રેસને દગો
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને શિવસેનાના નેતા સંજય રાઉતની મુલાકાતથી ચર્ચાનું બજાર ગરમ છે. દેવેન્દ્ર ફડણવીસનું આ રીતે સંજય રાઉતને મળવું હવે કોંગ્રેસને પણ ખુંચવા લાગ્યું છે. કોંગ્રેસના નેતા સંજય નિરૂપમે આ મુલાકાત પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે, મુલાકાત શિવસેનાનો રાજનૈતિક વ્યાભિચાર છે. કેન્દ્રના કિસાન બિલને સંસદના બંને ગૃહોમાં કોંગ્રેસ અને NCPએ વિરોધ કર્યો, જ્યારે શિવસેના પ્રમુખ અને રાજ્યના મુખ્યમંત્રીએ બિલનું સમર્થન કર્યું. શિવસેનાની ભૂમિકા હંમેશાં ભ્રમિત કરનારી હોય છે. મારું કહેવું છે કે, કોંગ્રેસે પોતાનો વિચાર, ધર્મ, વ્યવહાર બધુ છોડીને સત્તામાં ભાગીદાર બનવા માટે જેની સાથે ભાગીદારી કરી છે, તે શિવસેના ક્યારેય પણ વિશ્વાસઘાત કરી શકે છે.
આ પહેલા દેવેન્દ્ર ફડણવીસ સાથે મુલાકાતને લઈને ચાલી રહેલી અટકળો પર સંજય રાઉતે કહ્યું હતું કે, તેઓ અમારા દુશ્મન નથી. અમે લોકોએ સરકારમાં સાથે કામ કર્યું છે. અમારી મુલાકાત સામનાને લઈને થઈ હતી. દેવેન્દ્ર ફડણવીસ સાથે મારી મુલાકાત બાબતે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પહેલાથી જ જાણકારી છે. અમારી વચ્ચે વિચારધારાનો અંતર હોય શકે છે, પરંતુ અમે એકબીજાના દુશ્મન નથી. તે પહેલા NDAમાંથી અકાલી દળ અલગ થવા પર સંજય રાઉતે કહ્યું હતું કે, આ ભારતીય જનતા પાર્ટી (BJP)ને મોટો ઝટકો છે. શિવસેના અને અકાલી દળ વિના NDA અપૂર્ણ છે. આ બંને મજબૂત સ્તંભ હતા.
મહારાષ્ટ્રના BJPના મુખ્ય પ્રવક્તા કેશવ ઉપાધ્યાયે કહ્યું હતું કે, આ મુલાકાતનો કોઈ રાજનૈતિક હેતુ નથી. શિવસેના અને BJPએ ગયા વર્ષે ચૂંટણી સાથે મળીને લડી હતી, પરંતુ ચૂંટણી બાદ સત્તાની સમજૂતીને લઈને ઉદ્ધવ ઠાકરેની આગેવાનીવાળી પાર્ટી BJPનો સાથ છોડી ગઈ હતી અને NCP અને કોંગ્રેસ સાથે મળીને મહારાષ્ટ્રમાં સરકાર બનાવી લીધી.
મહારાષ્ટ્ર BJPના અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે બંને નેતાઓની મુલાકાતની પુષ્ટિ કરતાં કહ્યું છે કે અટકળો લગાવવાની આવશ્યકતા નથી. જોકે બંને નેતાઓ તરફથી આ મુલાકાતને લઈને કોઈ પણ સાર્વજનિક રીતે કહેવામાં આવ્યું નથી. કહેવામાં આવી રહ્યું છે કે, બંને નેતાઓ વચ્ચે લગભગ અઢી કલાક સુધી વાતચીત ચાલી હતી. લાંબા સમય સુધી BJPની સહયોગી રહેલી શિવસેનાએ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી બાદ ગઠબંધન તોડી દીધુ હતું અને NCP અને કોંગ્રેસ સાથે મળીને મહારાષ્ટ્રમાં સરકાર બનાવી લીધી હતી. સત્તામાં આવ્યા બાદ જ ઉદ્ધવ ઠાકરે ઘણા પડકારોથી ઘેરાઈ રહ્યા છે. એક તરફ ભારતમાં મહારાષ્ટ્ર કોરોનાથી સૌથી વધારે પ્રભાવિત રાજ્ય છે તો બીજી તરફ સુશાંત સિંહ રાજપૂતના મોતના મામલે પણ તેમની ઘણી આલોચના થઈ રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp