'આમંત્રણ જ નથી મળ્યું..' ભારત જોડો યાત્રામાં સામેલ થવાના પ્રશ્ન પર યેચુરીએ કહ્યુ

PC: aajtak.in

રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસની ભારત જોડો યાત્રા વિરામ બાદ 3 જાન્યુઆરીએ ફરી શરૂ થશે. કોંગ્રેસે ભારત જોડો યાત્રા દ્વારા વિપક્ષને એક કરવાના પ્રયાસ શરૂ કર્યા છે. જેના કારણે કોંગ્રેસે તમામ વિપક્ષી નેતાઓને ભારત જોડો યાત્રામાં સામેલ થવા માટે આમંત્રણ પાઠવ્યું છે. જ્યારે CPI(M)ના નેતા સીતારામ યેચુરીને પૂછવામાં આવ્યું કે, શું તેઓ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં હાજરી આપશે તો તેમણે કહ્યું કે, અમને યાત્રામાં જોડાવા માટે કોઈ આમંત્રણ મળ્યું નથી.

આ પહેલા કોંગ્રેસના નેતા KC વેણુગોપાલે UPમાં SP અને RLDની ભારત જોડો યાત્રામાં સામેલ થવાના સવાલ પર કહ્યું હતું કે, આ યાત્રા ભારતને જોડવાની છે. અમે વિભાજનકારી રાજનીતિનો મુદ્દો ઉઠાવી રહ્યા છીએ, અમે બેરોજગારી અને મોંઘવારીનો મુદ્દો ઉઠાવી રહ્યા છીએ. હવે વિરોધ પક્ષોએ નક્કી કરવાનું છે કે, તેઓ જોડાશે કે નહીં. જે પક્ષો અમારા વિચારો સાથે સહમત છે તે ભારત જોડો યાત્રામાં જોડાઈ શકે છે.

રાહુલ ગાંધી કન્યાકુમારીથી કાશ્મીર સુધી 3570 કિલોમીટરની યાત્રા કરી રહ્યા છે. આ યાત્રાએ 107 દિવસમાં 9 રાજ્યોના 46 જિલ્લાઓને આવરી લીધા છે અને લગભગ 3000 કિલોમીટરનું અંતર કાપ્યું છે. આ દરમિયાન કોંગ્રેસ દ્વારા તમામ સહયોગી પક્ષો અને મુખ્ય વિરોધ પક્ષોને આમંત્રણ મોકલવામાં આવ્યા હતા. તામિલનાડુમાં MK સ્ટાલિન, મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની પાર્ટીના નેતાઓએ પણ આ યાત્રામાં ભાગ લીધો હતો. હવે UPમાં રાહુલ ગાંધી વતી અખિલેશ યાદવ, માયાવતી અને જયંત ચૌધરીને આમંત્રણ મોકલવામાં આવ્યું છે. જોકે, જયંત ચૌધરીએ તેમાં જોડાવાનો ઈન્કાર કરી દીધો છે. જ્યારે SP અને BSP તરફથી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.

ઉત્તર પ્રદેશના રાજકારણમાં રાહુલ ગાંધી દ્વારા વિપક્ષી નેતાઓને મોકલવામાં આવેલા આમંત્રણને લઈને રાજકારણમાં ગરમાટો ફેલાઈ ગયો છે. રાહુલ ગાંધી દ્વારા અખિલેશ યાદવ, માયાવતી અને જયંત ચૌધરીને મોકલવામાં આવેલા આમંત્રણ પત્રો પહોંચી ગયા છે. જયંત ચૌધરી સિવાય, રાહુલની પદયાત્રામાં ભાગ લેવો કે નહીં તે અંગે અન્ય કોઈ મોટા નેતા તરફથી કોઈ ઔપચારિક નિવેદન બહાર આવ્યું નથી.

રાહુલ તરફથી મળેલા પ્રસ્તાવ બાદ RLDએ નિર્ણય લીધો છે કે, જયંત ચૌધરી કોંગ્રેસની ભારત જોડો યાત્રામાં ભાગ નહીં લે. આ માટે કારણ આપવામાં આવ્યું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે, જયંત ચૌધરીના કાર્યક્રમો પહેલાથી જ નક્કી છે, જેના કારણે તેઓ ભાગ લઈ શકશે નહીં.

રાહુલ ગાંધીની યાત્રા જમ્મુ-કાશ્મીરમાં પૂરી થશે. કોંગ્રેસ દ્વારા રાજ્યના પૂર્વ CM ફારુક અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તીને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે, બંને નેતા યાત્રામાં સામેલ થઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp