અત્યારે દુનિયા જે વિક્ષેપોનો સામનો કરી રહી છે, તેનું સમાધાન ભારત છે: PM મોદી

PC: twitter.com

PM નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં B20 સમિટ ઇન્ડિયા 2023ને સંબોધન કર્યું હતું. બી-20 શિખર સંમેલન ઇન્ડિયા બી-20 ઇન્ડિયા કમ્યૂનિક પર ચર્ચા અને વિચારણા કરવા માટે વિશ્વભરના નીતિ ઘડવૈયાઓ, વેપારી અગ્રણીઓ અને નિષ્ણાતોને લાવે છે. B20 ઇન્ડિયા ક્મ્યૂનિકમાં G20ને રજૂ કરવા માટે 54 ભલામણો અને 172 નીતિગત પગલાં સામેલ છે. અહીં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા PMએ ઉજવણીની ક્ષણ પર ભાર મૂક્યો હતો, જે 23 ઑગસ્ટના રોજ સફળ ચંદ્રયાન મિશનનાં ઉતરાણથી શરૂ થઈ હતી. તેમણે જણાવ્યું હતું કે, ભારતમાં તહેવારોની મોસમ આગળ વધી છે અને સમાજ તેમજ વ્યવસાયો ઉજવણીના મૂડમાં છે. સફળ ચંદ્ર અભિયાનમાં ઇસરોની ભૂમિકાની નોંધ લઈને PMએ મિશનમાં ઉદ્યોગની ભૂમિકાનો પણ સ્વીકાર કર્યો હતો, કારણ કે ચંદ્રયાનનાં ઘણાં ઘટકો ખાનગી ક્ષેત્ર અને એમએસએમઇ દ્વારા પ્રદાન કરવામાં આવ્યાં હતાં. તેમણે કહ્યું હતું કે, આ વિજ્ઞાન અને ઉદ્યોગ બંનેની સફળતા છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભારતની સાથે-સાથે સમગ્ર વિશ્વ પણ ઉજવણી કરી રહ્યું છે અને આ ઉજવણી એક જવાબદાર અંતરિક્ષ કાર્યક્રમ ચલાવવાની છે. PMએ કહ્યું હતું કે, આ ઉજવણી જવાબદારી, પ્રવેગ, નવીનતા, સ્થાયીત્વ અને સમાનતા વિશે છે, જે આજની B20ની થીમ છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આ માનવતા અને 'વન અર્થ, વન ફેમિલી અને વન ફ્યુચર' વિશે છે.

B20 થીમ 'R.A.I.S.E' વિશે બોલતા, PMએ કહ્યું કે ભલે 'I' નવીનીકરણનું પ્રતિનિધિત્વ કરે છે, પરંતુ તેઓ સર્વસમાવેશકતા-ઇન્ક્લુઝિવનેસના અન્ય 'I'નું ચિત્રણ કરે છે. તેમણે માહિતી આપી હતી કે, G20માં કાયમી બેઠકો માટે આફ્રિકન યુનિયનને આમંત્રણ આપતી વખતે પણ આ જ વિઝન લાગુ કરવામાં આવ્યું છે. B20માં પણ, PMએ કહ્યું હતું કે, આફ્રિકાનાં આર્થિક વિકાસને કેન્દ્રબિંદુ તરીકે ઓળખવામાં આવ્યો છે. PMએ કહ્યું હતું કે, ભારત માને છે કે, આ ફોરમના સર્વસમાવેશક અભિગમની સીધી અસર આ જૂથ પર પડશે. તેમણે નોંધ્યું હતું કે, અહીં લેવાયેલા નિર્ણયોની સફળતાની સીધી અસર વૈશ્વિક આર્થિક પડકારોનો સામનો કરવા અને સ્થાયી વૃદ્ધિનું સર્જન કરવામાં થશે.

PM મોદીએ જણાવ્યું હતું કે, આ મહામારીએ આપણને શીખવ્યું છે કે, આપણાં મોટાં ભાગનાં રોકાણની જે વસ્તુની જરૂર છે, તે છે 'પારસ્પરિક વિશ્વાસ'. PMએ કહ્યું હતું કે, મહામારીએ પારસ્પરિક વિશ્વાસની ઇમારતને છિન્નભિન્ન કરી દીધી છે, ત્યારે ભારત પારસ્પરિક વિશ્વાસનો ઝંડો ફરકાવીને આત્મવિશ્વાસ અને નમ્રતા સાથે ઊભું છે. PMએ કહ્યું હતું કે, ભારતે 150થી વધારે દેશોને દવાઓ ઉપલબ્ધ કરાવી છે અને વિશ્વની ફાર્મસી તરીકેની પોતાની સ્થિતિ મુજબ જીવે છે. એ જ રીતે કરોડોના જીવ બચાવવા માટે રસીનું ઉત્પાદન વધારવામાં આવ્યું હતું. PMએ કહ્યું હતું કે, ભારતનાં લોકતાંત્રિક મૂલ્યો તેની કામગીરીમાં અને તેની પ્રતિક્રિયામાં દેખાય છે. તેમણે કહ્યું, ભારતનાં લોકતાંત્રિક મૂલ્યો ભારતનાં 50થી વધુ શહેરોમાં G20 બેઠકોમાં જોવા મળે છે. વૈશ્વિક વ્યાવસાયિક સમુદાય માટે ભારત સાથે ભાગીદારીનાં આકર્ષણ પર ભાર મૂકતા PMએ ભારતના યુવા પ્રતિભાશાળી સમુદાય અને તેની ડિજિટલ ક્રાંતિનો ઉલ્લેખ કર્યો હતો. PM મોદીએ ઉમેર્યું હતું કે, ભારત સાથે તમારી મિત્રતા જેટલી વધુ ગાઢ બનશે, તેટલી જ વધુ સમૃદ્ધિ બંનેમાં વધશે.

તેમણે કહ્યું હતું કે, વ્યવસાય સંભવિતતાને સમૃદ્ધિમાં, અવરોધોને અવસરો માં, આકાંક્ષાઓને સિદ્ધિઓમાં પરિવર્તિત કરી શકે છે. ભલે તે નાનો હોય કે મોટો, વૈશ્વિક હોય કે સ્થાનિક, વ્યવસાય દરેક માટે પ્રગતિ સુનિશ્ચિત કરી શકે છે. તેથી, PMએ કહ્યું, વૈશ્વિક વિકાસનું ભવિષ્ય ધંધા-વ્યવસાયનાં ભવિષ્ય પર નિર્ભર છે.

કોવિડ 19 મહામારીની શરૂઆત સાથે જીવનમાં આવેલાં પરિવર્તનો પર પ્રકાશ પાડતા PMએ વૈશ્વિક પુરવઠા શ્રુંખલામાં અવરોધોમાં અપરિવર્તનીય પરિવર્તનની નોંધ લીધી હતી. જ્યારે વિશ્વને તેની સૌથી વધુ જરૂર હતી ત્યારે ઠપ્પ થઈ ગયેલી વૈશ્વિક પુરવઠા શ્રુંખલાની કાર્યક્ષમતા પર સવાલ ઉઠાવતા PMએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, અત્યારે દુનિયા જે વિક્ષેપોનો સામનો કરી રહી છે, તેનું સમાધાન ભારત છે. તેમણે અત્યારે દુનિયામાં વિશ્વસનીય પુરવઠા શ્રુંખલા ઊભી કરવામાં ભારતની સ્થિતિ પર પ્રકાશ પાડ્યો હતો તથા વૈશ્વિક વેપાર-વાણિજ્યનાં પ્રદાન પર ભાર મૂક્યો હતો.

G20 દેશોના બિઝનેસીસમાં બી-20 એક મજબૂત પ્લેટફોર્મ તરીકે ઉભરી આવ્યું છે તેની ખુશી વ્યક્ત કરતા PM મોદીએ સ્થિરતા પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે વૈશ્વિક વેપાર-વાણિજ્યને આગળ વધવા જણાવ્યું હતું, કારણ કે સ્થિરતા પોતે જ એક તક છે અને સાથે-સાથે બિઝનેસ મૉડલ પણ છે. તેમણે આ અંગે વિસ્તૃત વર્ણન કરતાં જાડું ધાન્ય-બાજરીનું ઉદાહરણ આપ્યું હતું, જે સુપરફૂડ, પર્યાવરણને અનુકૂળ તેમજ નાના ખેડૂતો માટે સારું છે, જે તેને અર્થતંત્ર અને જીવનશૈલી એમ બંને દ્રષ્ટિકોણથી વિન-વિન મૉડલ બનાવે છે. તેમણે સર્ક્યુલર ઇકોનોમી અને ગ્રીન એનર્જીનો પણ ઉલ્લેખ કર્યો હતો. દુનિયાને સાથે લઈને ચાલવાનો ભારતનો અભિગમ આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન જેવાં પગલાઓમાં જોવા મળે છે.

કોરોના પછીની દુનિયામાં, PMએ નોંધ્યું હતું કે દરેક વ્યક્તિ તેમનાં સ્વાસ્થ્ય વિશે વધુ સભાન થઈ ગઈ છે અને તેની અસર દૈનિક પ્રવૃત્તિઓમાં સ્પષ્ટપણે દેખાય છે. તેમણે એમ પણ નોંધ્યું છે કે લોકો આવી કોઈપણ પ્રવૃત્તિની ભાવિ અસરની રાહ જોઈ રહ્યા છે. આ માન્યતાને બળ આપતાં PMએ કહ્યું હતું કે, વ્યવસાયો અને સમાજે પૃથ્વી પર આવો જ અભિગમ અપનાવવો જોઈએ તથા ગ્રહ પર તેમના નિર્ણયોની અસરનું વિશ્લેષણ કરવું જોઈએ. PMએ ઉમેર્યું હતું કે, પૃથ્વીની સુખાકારી પણ આપણી જવાબદારી છે. મિશન લાઇફ વિશે વાત કરતા PMએ જણાવ્યું હતું કે, આ મિશનનો ઉદ્દેશ પ્રો પ્લેનેટ પીપલનું એક જૂથ કે સમૂહ રચવાનો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, જ્યારે જીવનશૈલી અને બિઝનેસીસ બંને ગ્રહ તરફી હશે ત્યારે અડધા મુદ્દાઓ ઓછા થઈ જશે. તેમણે પર્યાવરણ અનુસાર જીવન અને વ્યવસાયને અપનાવવા પર ભાર મૂક્યો હતો તથા વેપાર-વાણિજ્ય માટે ગ્રીન ક્રેડિટનું માળખું તૈયાર કરવા વિશે જાણકારી આપી હતી, જે ગ્રહ પર સકારાત્મક કાર્યો પર ભાર મૂકે છે. PMએ વૈશ્વિક વેપાર-વાણિજ્યના તમામ દિગ્ગજોને હાથ મિલાવવા અને તેને વૈશ્વિક ચળવળ બનાવવા વિનંતી કરી હતી.

PMએ વેપાર-વાણિજ્યના પરંપરાગત અભિગમ પર પુનઃવિચારણા કરવા જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, બ્રાન્ડ અને વેચાણથી આગળ વધવાની જરૂર છે. તેમણે જણાવ્યું હતું કે, એક વ્યવસાય તરીકે આપણે એવી ઇકોસિસ્ટમ ઊભી કરવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે, જેનાથી આપણને લાંબા ગાળે લાભ થાય. હવે ભારતે પાછલાં કેટલાંક વર્ષોમાં લાગુ કરેલી નીતિઓનાં કારણે માત્ર 5 વર્ષમાં 13.5 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. આ લોકો નવા ગ્રાહકો છે. આ નિયો મિડલ ક્લાસ ભારતના વિકાસને પણ ગતિ આપી રહ્યો છે. એટલે કે સરકારે ગરીબો માટે જે કામ કર્યું છે, તેનો ચોખ્ખો લાભ આપણો મધ્યમ વર્ગ છે અને સાથે-સાથે આપણા એમએસએમઈ પણ છે. PMએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, વ્યવસાયોએ વધુને વધુ લોકોની ખરીદશક્તિ સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, કારણ કે સ્વકેન્દ્રી અભિગમ દરેકને નુકસાન કરશે. મહત્વપૂર્ણ સામગ્રી અને દુર્લભ પૃથ્વી ધાતુઓમાં અસમાન ઉપલબ્ધતા અને સાર્વત્રિક જરૂરિયાતના સમાન પડકારનો ઉલ્લેખ કરીને, PM મોદીએ જણાવ્યું હતું કે, જે લોકો પાસે છે તેઓ તેમને વૈશ્વિક જવાબદારી તરીકે નહીં જુએ તો તે સંસ્થાનવાદનાં નવાં મૉડલને પ્રોત્સાહન આપશે.

PMએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, જ્યારે ઉત્પાદકો અને ઉપભોક્તાઓનાં હિતમાં સંતુલન જાળવવામાં આવે છે, ત્યારે નફાકારક બજાર જળવાઈ રહે છે અને તે દેશોને પણ લાગુ પડે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે અન્ય દેશોને માત્ર બજાર તરીકે ગણવાથી કામ નહીં થાય પરંતુ ઉત્પાદક દેશોને પણ વહેલા કે મોડા નુકસાન થશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આગળ વધવાનો માર્ગ આ પ્રગતિમાં દરેકને સમાન ભાગીદાર બનાવવાનો છે. તેમણે આ પ્રસંગે ઉપસ્થિત વ્યાવસાયિક આગેવાનોને વિનંતી કરી હતી કે, તેઓ વ્યવસાયોને વધારે ગ્રાહક-કેન્દ્રિત બનાવવા વિચારણા કરે, જ્યાં આ ઉપભોક્તાઓ વ્યક્તિઓ કે દેશો હોઈ શકે. તેમણે કહ્યું કે તેમનાં હિતોનું ધ્યાન રાખવાની જરૂર છે અને આ માટે વાર્ષિક અભિયાન સાથે આવવાનું સૂચન કર્યું છે. PMએ પૂછ્યું હતું કે, દર વર્ષે, શું વૈશ્વિક વ્યવસાયો એકસાથે મળીને ગ્રાહકો અને તેમના બજારોનાં ભલા માટે પોતાને વચન આપી શકે છે.

PM મોદીએ વૈશ્વિક વ્યવસાયને ઉપભોક્તાઓનાં હિત વિશે વાત કરવા માટે એક દિવસ નક્કી કરવા જણાવ્યું હતું. તેમણે પૂછ્યું, જ્યારે આપણે ઉપભોક્તા અધિકારો વિશે વાત કરીએ છીએ, ત્યારે શું આપણે ગ્રાહક સંભાળ વિશે પણ ધ્યાન આપવું ન જોઈએ કેમ કે તે આપમેળે ઘણા ગ્રાહક અધિકારના મુદ્દાઓની સંભાળ લેશે? આપણે ચોક્કસપણે 'આંતરરાષ્ટ્રીય ગ્રાહક સંભાળ દિવસ' માટેની સિસ્ટમ વિશે વિચારવું જોઈએ. આનાથી વ્યવસાયો અને ગ્રાહકો વચ્ચે વિશ્વાસ મજબૂત કરવામાં મદદ મળશે, એમ PM મોદીએ જણાવ્યું હતું. તેમણે વિગતવાર જણાવ્યું હતું કે ગ્રાહકો ચોક્કસ ભૂગોળની અંદર છૂટક ગ્રાહકો સુધી મર્યાદિત નથી પરંતુ વૈશ્વિક વેપાર, વૈશ્વિક ચીજવસ્તુઓ અને સેવાઓના ગ્રાહકો એવા દેશો પણ છે.

વિશ્વના બિઝનેસ અગ્રણીઓની હાજરીની નોંધ લઈને PMએ મહત્વપૂર્ણ પ્રશ્નો ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે, વેપાર-વાણિજ્ય અને માનવતાનું ભવિષ્ય આ પ્રશ્નોના જવાબો દ્વારા નક્કી થશે. જવાબો અંગે PM મોદીએ જણાવ્યું હતું કે, તેનો જવાબ આપવા માટે પારસ્પરિક સહકાર જરૂરી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આબોહવામાં પરિવર્તન, ઊર્જા ક્ષેત્રની કટોકટી, ખાદ્ય પુરવઠા શ્રુંખલામાં અસંતુલન, જળ સુરક્ષા, સાયબર સુરક્ષા વગેરે જેવા મુદ્દાઓની વેપાર-વાણિજ્ય પર મોટી અસર પડે છે તથા આ સમસ્યાઓનો સામનો કરવા પ્રયાસો વધારવા પર ભાર મૂક્યો હતો. તેમણે 10-15 વર્ષ પહેલા કોઈએ પણ જે મુદ્દાઓ વિશે વિચાર્યું ન હતું તે મુદ્દાઓ પર પણ વાત કરી હતી અને ક્રિપ્ટોકરન્સીથી સંબંધિત પડકારોનું ઉદાહરણ આપ્યું હતું. PMએ આ બાબતમાં વધારે સંકલિત અભિગમની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો અને વૈશ્વિક માળખું ઊભું કરવાનું સૂચન કર્યું હતું, જેમાં તમામ હિતધારકોના મુદ્દાઓનું સમાધાન થઈ શકે. તેમણે કૃત્રિમ બુદ્ધિ અંગે જરૂરી સમાન અભિગમ વિશે પણ વાત કરી. એઆઈની આસપાસ ગુંજારવ અને રોમાંચ પર પ્રકાશ પાડતા, PMએ કૌશલ્ય અને રિ-સ્કિલિંગ સાથે સંબંધિત કેટલીક નૈતિક બાબતો અને અલ્ગોરિધમ પૂર્વગ્રહ અને સમાજ પર તેની અસર સાથે સંબંધિત ચિંતાઓ તરફ ધ્યાન દોર્યું. આવા મુદ્દાઓને સાથે મળીને ઉકેલવા પડશે. વૈશ્વિક વ્યાવસાયિક સમુદાયો અને સરકારોએ એથિકલ એઆઇનું વિસ્તરણ થાય તે સુનિશ્ચિત કરવા સંયુક્તપણે કામ કરવું પડશે એમ PMએ ભારપૂર્વક જણાવ્યું હતું અને વિવિધ ક્ષેત્રોમાં સંભવિત વિક્ષેપોને સમજવા પર ભાર મૂક્યો હતો.

સંબોધનનાં સમાપનમાં PMએ જણાવ્યું હતું કે, વ્યવસાયો સફળતાપૂર્વક સરહદો અને સીમાઓથી આગળ વધી ગયા છે, પણ હવે વેપાર-વાણિજ્યને તળિયાની રેખાથી આગળ લઈ જવાનો સમય પાકી ગયો છે. તેમણે કહ્યું કે સપ્લાય ચેનની સ્થિતિસ્થાપકતા અને ટકાઉપણું પર ધ્યાન કેન્દ્રિત કરીને તે હાથ ધરી શકાય છે. PM મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, B20 શિખર સંમેલને સામૂહિક પરિવર્તનનો માર્ગ પ્રશસ્ત કર્યો છે. PMએ કહ્યું હતું કે, ચાલો આપણે યાદ રાખીએ કે એકબીજા સાથે જોડાયેલી દુનિયા એટલે માત્ર ટેક્નૉલોજી મારફતે જોડાણ જ નહીં. આ માત્ર સહિયારા સામાજિક મંચની જ વાત નથી, પણ સહિયારાં હેતુ, સહિયારા ગ્રહ, સહિયારી સમૃદ્ધિ અને સહિયારાં ભવિષ્ય વિશે પણ છે, એમ PMએ ટકોર કરી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp