સુપ્રીમ કોર્ટે ભારતની જીવંત લોકશાહીને મજબૂત કરી છેઃ PM મોદી

PC: twitter.com

PM નરેન્દ્ર મોદીએ 28 જાન્યુઆરીનાં રોજ દિલ્હીમાં સર્વોચ્ચ અદાલતનાં ઓડિટોરિયમમાં ભારતની સર્વોચ્ચ અદાલતની ડાયમંડ જ્યુબિલી ઉજવણીનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે નાગરિક-કેન્દ્રિત માહિતી અને ટેક્નોલોજીની પહેલો પણ શરૂ કરી હતી, જેમાં ડિજિટલ સુપ્રીમ કોર્ટ રિપોર્ટ્સ (ડિજિ એસસીઆર), ડિજિટલ કોર્ટ્સ 2.0 અને સુપ્રીમ કોર્ટની નવી વેબસાઇટ સામેલ છે.

PMએ કહ્યું હતું કે, ભારતીય બંધારણના ઘડવૈયાઓએ સ્વતંત્રતા, સમાનતા અને ન્યાય પર આધારિત સ્વતંત્ર ભારતનું સ્વપ્ન જોયું હતું અને સુપ્રીમ કોર્ટે આ સિદ્ધાંતોને જાળવવા સતત પ્રયાસ કર્યા છે. PMએ કહ્યું હતું કે, અભિવ્યક્તિની સ્વતંત્રતા હોય, વ્યક્તિગત સ્વતંત્રતા હોય કે સામાજિક ન્યાય હોય, સર્વોચ્ચ અદાલતે ભારતની જીવંત લોકશાહીને મજબૂત કરી છે. PMએ વ્યક્તિગત અધિકારો અને વાણીસ્વાતંત્ર્ય પર સીમાચિહ્નરૂપ ચુકાદાઓની નોંધ લીધી હતી, જેણે દેશના સામાજિક-રાજકીય વાતાવરણને નવી દિશા આપી છે.

PM મોદીએ સરકારની દરેક શાખા માટે આગામી 25 વર્ષ સુધીના લક્ષ્યોના માપદંડોને દોહરાવતા કહ્યું કે આજની આર્થિક નીતિઓ આવતીકાલના વાઇબ્રન્ટ ભારતનો આધાર બનાવશે. PM મોદીએ કહ્યું કે, આજે જે કાયદાઓ ઘડવામાં આવી રહ્યા છે, તે ભારતના ઉજ્જવળ ભવિષ્યને મજબૂત બનાવશે.

વૈશ્વિક ભૂ-રાજનીતિના બદલાતા પરિદ્રશ્ય વચ્ચે PMએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, વિશ્વની નજર ભારત પર છે અને તેનો વિશ્વાસ સતત વધી રહ્યો છે. તેમણે આપણા માર્ગમાં આવતી તમામ તકોનો લાભ ઉઠાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો તથા દેશની ટોચની પ્રાથમિકતાઓમાં જીવનની સરળતા, વેપાર-વાણિજ્ય કરવાની સરળતા, પ્રવાસ, સંચાર અને ન્યાયની સરળતાનો ઉલ્લેખ કર્યો હતો. PM મોદીએ કહ્યું હતું કે, ન્યાયમાં સરળતા એ દરેક ભારતીય નાગરિકનો અધિકાર છે અને ભારતની સર્વોચ્ચ અદાલત, તેનું માધ્યમ છે.

દેશમાં સંપૂર્ણ ન્યાય વ્યવસ્થાનો વહીવટ અને માર્ગદર્શન ભારતની સર્વોચ્ચ અદાલત દ્વારા થાય છે તેની નોંધ લઈને PMએ અતિ અંતરિયાળ વિસ્તારોમાં સર્વોચ્ચ અદાલતને સુલભ બનાવવાની દિશામાં સરકારની પ્રાથમિકતા પર ભાર મૂક્યો હતો તથા ઇ-કોર્ટ મિશન પ્રોજેક્ટના ત્રીજા તબક્કાને સ્વીકૃતિ આપવાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે માહિતી આપી હતી કે ત્રીજા તબક્કા માટે ભંડોળની ફાળવણીમાં બીજા તબક્કા કરતા ચાર ગણો વધારો કરવામાં આવ્યો છે. PM મોદીએ ખુશી વ્યક્ત કરી કે દેશની તમામ અદાલતોના ડિજિટાઇઝેશન પર ખુદ ભારતના મુખ્ય ન્યાયાધીશ દ્વારા નજર રાખવામાં આવી રહી છે અને તેમના પ્રયત્નો બદલ તેમને અભિનંદન પાઠવ્યા હતા.

અદાલતોનાં ભૌતિક માળખાગત સુવિધામાં સુધારો કરવા માટે સરકારની કટિબદ્ધતા પર ભાર મૂકીને PMએ જાણકારી આપી હતી કે, વર્ષ 2014 પછી આ ઉદ્દેશ માટે રૂ. 7,000 કરોડથી વધારેનું વિતરણ થઈ ચૂક્યું છે. સુપ્રીમ કોર્ટની વર્તમાન ઇમારતની સમસ્યાઓનો સ્વીકાર કરતા PM મોદીએ ગયા અઠવાડિયે સુપ્રીમ કોર્ટ બિલ્ડિંગ કોમ્પ્લેક્સના વિસ્તરણ માટે 800 કરોડ રૂપિયાની મંજૂરી અંગે ઉપસ્થિત જનમેદનીને માહિતી આપી હતી.

આજે શરૂ કરવામાં આવેલી સર્વોચ્ચ અદાલતની ડિજિટલ પહેલો પર ટિપ્પણી કરતાં PMએ ડિજિટલ સ્વરૂપે નિર્ણયોની ઉપલબ્ધતા અને સ્થાનિક ભાષામાં સર્વોચ્ચ અદાલતના નિર્ણયના અનુવાદના પ્રોજેક્ટની શરૂઆત પર ખુશી વ્યક્ત કરી હતી. તેમણે દેશની અન્ય અદાલતોમાં પણ આ પ્રકારની વ્યવસ્થા કરવાની આશા વ્યક્ત કરી હતી.

આજનો અવસર ઇઝ ઑફ જસ્ટિસમાં ટેક્નોલોજી મદદરૂપ થવાનું ઉત્તમ ઉદાહરણ છે એ બાબત પર ભાર મૂકીને PMએ જણાવ્યું હતું કે, તેમનું સંબોધન એઆઇની મદદથી રિયલ ટાઇમમાં અંગ્રેજીમાં અનુવાદિત થઈ રહ્યું છે અને તેને ભશિની એપ મારફતે પણ સાંભળી શકાય છે. તેમણે કહ્યું કે શરૂઆતમાં કેટલાક મુદ્દાઓ ઉભા થઈ શકે છે પરંતુ તે તકનીકી ઉપયોગની ક્ષિતિજોને પણ વિસ્તૃત કરે છે. આપણી અદાલતોમાં પણ PMએ કહ્યું હતું કે, આ જ પ્રકારની ટેક્નોલોજીનો અમલ સામાન્ય લોકોનાં જીવનને સરળ બનાવવા માટે થઈ શકે છે. લોકોને વધુ સારી રીતે સમજવા માટે સરળ ભાષામાં કાયદાઓનો મુસદ્દો તૈયાર કરવા માટેનાં પોતાનાં સૂચનોને યાદ કરીને PM મોદીએ અદાલતનાં ચુકાદાઓ અને આદેશોનો મુસદ્દો તૈયાર કરવા સમાન અભિગમ સૂચવ્યો હતો.

આપણાં કાયદાકીય માળખામાં ભારતીય મૂલ્યો અને આધુનિકતાનાં હાર્દ પર ભાર મૂકીને PM નરેન્દ્ર મોદીએ આપણાં કાયદા માટે ભારતીય લોકાચાર અને સમકાલીન પદ્ધતિઓ એમ બંનેનું પ્રતિબિંબ પાડવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ભારતીય મૂલ્યો અને આધુનિકતાનો સમન્વય આપણાં કાયદાકીય કાયદાઓમાં પણ એટલો જ આવશ્યક છે. PM મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, સરકાર વર્તમાન પરિસ્થિતિ અને શ્રેષ્ઠ પદ્ધતિઓ સાથે જોડાણ કરવા માટે કાયદાઓનું આધુનિકીકરણ કરવા સક્રિયપણે કામ કરી રહી છે.

PM મોદીએ જૂના વસાહતી ફોજદારી કાયદાઓ નાબૂદ કરવા અને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ભારતીય ન્યાય સંહિતા અને ભારતીય શક્તિ અધિનિયમ જેવા નવા કાયદા રજૂ કરવા માટે સરકારની પહેલ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ ફેરફારો મારફતે આપણી કાયદાકીય, પોલીસ વ્યવસ્થા અને તપાસ વ્યવસ્થાએ નવા યુગમાં પ્રવેશ કર્યો છે. સદીઓ જૂના કાયદાઓમાંથી નવા કાયદાઓ તરફ સંક્રમણના મહત્વ પર ભાર મૂકતા, PM મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, જૂના કાયદાઓમાંથી નવા કાયદાઓમાં સંક્રમણ અવિરત હોવું જોઈએ, જે આવશ્યક છે. આ સંબંધમાં તેમણે સંક્રમણને સરળ બનાવવા સરકારી અધિકારીઓ માટે તાલીમ અને ક્ષમતા નિર્માણની પહેલોની શરૂઆતની નોંધ લીધી હતી. PM મોદીએ સુપ્રીમ કોર્ટને તમામ હિતધારકો માટે ક્ષમતા નિર્માણમાં પણ જોડાવા વિનંતી કરી.

PM મોદીએ વિકસીત ભારતની આધારશિલા તરીકે એક મજબૂત ન્યાય વ્યવસ્થાની મહત્ત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂક્યો હતો. તેમણે જન વિશ્વાસ વિધેયકના અમલીકરણને યોગ્ય દિશામાં એક પગલું ગણાવીને વિશ્વસનીય કાનૂની માળખું ઊભું કરવાના સરકારના સતત પ્રયાસો પર પ્રકાશ પાડ્યો હતો અને સાથે સાથે પડતર કેસોની સંખ્યામાં પણ ઘટાડો કર્યો હતો, જેથી ન્યાયતંત્રના બિનજરૂરી દબાણને દૂર કરવામાં આવ્યું હતું. PM મોદીએ મધ્યસ્થતા મારફતે વૈકલ્પિક વિવાદનાં સમાધાન માટે જોગવાઈઓ પ્રસ્તુત કરવાનો ઉલ્લેખ પણ કર્યો હતો, જેણે આ બોજ હળવો કરવામાં પ્રદાન કર્યું છે, ખાસ કરીને ગૌણ ન્યાયતંત્ર.

PM મોદીએ વર્ષ 2047 સુધીમાં ભારતનાં 'વિકાસશીલ ભારત' બનવાનાં સ્વપ્નને સાકાર કરવા તમામ નાગરિકોની સહિયારી જવાબદારીનો પુનરોચ્ચાર કર્યો હતો. તેમણે આગામી ૨૫ વર્ષમાં દેશના ભાવિને આકાર આપવામાં સુપ્રીમ કોર્ટ નોંધપાત્ર ભૂમિકા ભજવશે તે સ્વીકારીને સમાપન કર્યું હતું અને સંસ્થાને તેની 75મી વર્ષગાંઠ પર અભિનંદન પાઠવ્યા હતા. PMએ એમ. ફાતિમા બીવીને મરણોપરાંત પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવી રહ્યા હોવાનો ઉલ્લેખ કર્યો હતો અને આ તક માટે ગર્વ વ્યક્ત કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp