ચૂંટણી પંચને આ કારણે રાજસ્થાન વિધાનસભા ચૂંટણીના મતદાનની તારીખ બદલવી પડી

PC: twitter.com

રાજસ્થાનમાં થનારી વિધાનસભાની ચૂંટણીને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે, જેની માગ થઈ રહી હતી, તે માગ ચૂંટણી પંચ દ્વારા સ્વીકારી લેવામાં આવી છે. ઈલેક્શન કમિશને રાજસ્થાન વિધાનસભા ચૂંટણીના મતદાનની તારીખ બદલી નાખી છે. પહેલા જે 23 નવેમ્બર તારીખ જાહેર કરવામાં આવી હતી, હવે તેને બદલીને 25 નવેમ્બર કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, 23 નવેમ્બરના રોજ દેવઉઠી અગિયારસ છે અને રાજસ્થાનના લોકો માટે આ દિવસનું ખૂબ મહત્ત્વ છે. આ દિવસે હજારોની સંખ્યામાં લગ્ન થાય છે અને બીજા શુભ કાર્યો કરવામાં આવે છે, જેને કારણે મોટી સંખ્યામાં લોકો મતદાન કરવા પહોંચી શકે તેમ નહોતા, જેને કારણે લોકોએ અને નેતાઓએ પણ મતદાનની તારીખ બદલવાની માગ કરી હતી.

ભાજપના સાંસદે પણ તારીખ બદલવા માગ કરી હતી...

રાજસ્થાનમાં 25 નવેમ્બરે વિધાનસભા ચૂંટણી માટે તમામ 200 બેઠકો પર મતદાન થશે. ચૂંટણી પંચ દ્વારા તારીખોની જાહેરાત થયા પછી ભારતીય જનતા પાર્ટી (BJP)ના એક સાંસદે તેમાં ફેરફાર કરવાની માગ કરી હતી. પાલીના BJPના ધારાસભ્ય PP ચૌધરીએ પણ ચૂંટણી પંચને એક આધિકારિક પત્ર પણ લખ્યો હતો. તેમણે 'દેવઉઠી એકાદશી' અને 23 નવેમ્બરના રોજ 50 હજાર લગ્નોનો ઉલ્લેખ કરીને આ વાત કહી હતી.

સાંસદે ચૂંટણી પંચને મોકલેલા પત્રમાં લખ્યું હતું કે, 'આ દિવસે 'દેવઉઠી એકાદશી' છે, જે સંસ્કૃતિ અને ધાર્મિક ભક્તિ સાથે જોડાયેલો ખૂબ જ મોટો તહેવાર છે. આ તહેવાર પર કરોડો ભક્તો નદી, માનસરોવર અને પવિત્ર સ્થળોએ સ્નાન કરવા જાય છે. આ તહેવાર દેશભરમાં ઉજવવામાં આવે છે, પરંતુ રાજસ્થાનમાં તેનો ઘણો પ્રભાવ છે. તે રાજ્યમાં 'અબુજ સાવે' તરીકે પ્રખ્યાત છે.

સાંસદે કહ્યું હતું કે, મોટી સંખ્યામાં લોકોએ તેમને પત્ર લખીને આવી માંગ કરી છે. લોકો 2 દિવસ વહેલા કે પછી ચૂંટણી ઈચ્છે છે. 50 હજાર લગ્ન પ્રસ્તાવિત હોવાની દલીલ કરતા સાંસદે કહ્યું, 'મીડિયા રિપોર્ટ્સ અનુસાર અબુજ સાવેના દિવસે 50 હજારથી વધુ લગ્ન થશે. સગાંસંબંધીઓ, હલવાઈઓ, તંબુઓ, બેન્ડ સહિત વિવિધ વિભાગો સાથે સંકળાયેલા લોકો સીધા લગ્નમાં રોકાયેલા રહે છે. લોકો સંબંધીઓને મળવા માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. લગ્નના એક-બે દિવસ પહેલા તેઓ એકબીજાના ગામડાના ઘરે જાય છે. જેઓને ત્યાં લગ્ન થવાના છે તેઓ લગ્નની તૈયારીઓમાં વ્યસ્ત રહેશે. આવી સ્થિતિમાં બંને રીતે ભાગ્યે જ કોઈ પોતપોતાનું કામ કે ફંક્શન છોડીને મતદાન કરવા જશે. લાખો લોકોને આ સમસ્યાનો સામનો કરવો પડશે.'

સાંસદે વધુમાં કહ્યું હતું કે, 'એક તરફ મતદાનની ટકાવારી વધારવાની જવાબદારી ચૂંટણી પંચ અને આપણા બધાની છે. સામાન્ય લોકોએ લોકશાહીના પવિત્ર તહેવારમાં મોટી સંખ્યામાં ભાગ લઈને ભારતીય લોકશાહી વ્યવસ્થાને મજબૂત કરવી જોઈએ. જ્યારે, રાજસ્થાનમાં શુભ મુહુર્તના મોટા તહેવાર પર મતદાનનું આયોજન, મતદાન જાગૃતિ અંગે ચૂંટણી પંચના ઠરાવો પર સીધી અસર કરશે. તેથી, હું વિનંતી કરું છું કે, લોક લાગણીઓ અને ચૂંટણી પંચની 'મતની ટકાવારી વધારવા'ની મૂળભૂત ભાવનાને ધ્યાનમાં રાખીને, રાજસ્થાન વિધાનસભા ચૂંટણી-2023ની નિર્ધારિત તારીખ 23મી નવેમ્બરને બદલી કરવા પર વિચાર કરો. તમારી પાસેથી સંપૂર્ણ અપેક્ષા છે.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp