'શ્રી રામ અમારા પૂર્વજ', અયોધ્યાથી 'રામજ્યોતિ' લેવા નીકળી કાશીની મુસ્લિમ મહિલાઓ

PC: livevns.news

22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. આ પહેલા જ મહાદેવની નગરી કાશીમાંથી મુસ્લિમ મહિલાઓનું એક જૂથ રામના નામની અખંડ જ્યોત લઈને અયોધ્યા માટે રવાના થઈ ચૂક્યું છે. મહિલાઓએ ભગવા વસ્ત્રો પહેરીને આ યાત્રા શરૂ કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, આ મુસ્લિમ મહિલાઓ અયોધ્યા પહોંચીને રામ જ્યોતિ પ્રગટાવશે અને પછી તેની સાથે કાશી પરત ફરશે. 22 જાન્યુઆરીએ મુસ્લિમોના ઘરોમાં પણ આ જ્યોતથી દીવા પ્રગટાવવામાં આવશે.

નાઝનીન અંસારી અને નજમા પરવીને એવું પ્રણ લીધું હતું કે, તેઓ ઘરોને રોશન કરવા માટે અયોધ્યાથી રામજ્યોતિ લાવશે. નાઝનીન અંસારી મુસ્લિમ મહિલા ફાઉન્ડેશનના પ્રમુખ છે. તેમનું કહેવું છે કે PM નરેન્દ્ર મોદીની અપીલ પછી જ તેમણે આ કરવાનો સંકલ્પ કર્યો હતો. આ જ્યોતિ દ્વારા, તે કાશીના મુસ્લિમોને પણ 22 જાન્યુઆરીએ તહેવાર ઉજવવા માટે અપીલ કરશે.

નાઝનીન અંસારી માને છે કે તમામ ભારતીયો શ્રી રામના જ વંશજ છે અને કોઈપણ ભારતીયનો DNA અલગ નથી. તે મુસ્લિમ વિસ્તારોમાં દીવા પ્રગટાવવા માટે અપીલ કરશે. આ પહેલા પણ તે રામ નવમી અને દિવાળીના અવસરની ઉજવણી કરતી હતી. નાઝનીન અને નઝમાની આ યાત્રાને કાશીના ડોમરાજ ઓમ ચૌધરી અને પાતાલપુરી મઠના મહંત બાલક દાસ દ્વારા ફ્લેગ ઓફ કરવામાં આવી હતી. અયોધ્યામાં મહંત શંભુ દેવાચાર્ય આ મહિલાઓને જ્યોત સોંપશે.

મળતી માહિતી મુજબ, આ યાત્રા શનિવારે શરૂ થઈ છે અને રવિવારે મહિલાઓ કાશી પરત ફરશે. તે અયોધ્યાની પવિત્ર માટી અને સરયૂના જળને પણ કાશી લઈને પહોંચશે. રામ જ્યોતિનું વિતરણ 21મી જાન્યુઆરીથી શરૂ થશે. અહીં તમને જણાવી દઈએ કે, નાઝનીનએ BHUમાંથી અભ્યાસ કર્યો છે અને તેણે શ્રી રામચરિત માનસ અને હનુમાન ચાલીસાનો ઉર્દૂમાં અનુવાદ પણ કર્યો છે. મહંત બાલકદાસ તેમના ગુરુ છે. તે રામ પથ નામની સંસ્થા સાથે જોડાયેલી છે. નાઝનીન કહે છે કે, શ્રી રામ તેના પૂર્વજ છે. ધર્મ પરિવર્તન કરીને પણ પૂર્વજો બદલી શકાતા નથી.

બરેલીની ઓળખ ઝરી જરદોહીથી થાય છે. બરેલીની મુસ્લિમ મહિલાઓએ રામલલા માટે કપડાં તૈયાર કર્યા છે. મેરા હક ફાઉન્ડેશનના પ્રમુખ ફરહત નકવીના નેતૃત્વમાં મુસ્લિમ મહિલાઓએ રામ મંદિરના નિર્માણ માટે દાન પણ એકત્રિત કર્યું હતું. મહિલાઓનું કહેવું છે કે તેઓ ફાળાના પૈસા અને કપડાં લઈને અયોધ્યા જશે અને ભાઈચારાનો સંદેશ આપશે.

મુંબઈની એક મુસ્લિમ યુવતી રામ લલ્લાના દર્શન કરવા માટે પગપાળા નીકળી છે. શબનમનું કહેવું છે કે, તે 1425 કિલોમીટરનું અંતર કાપીને અયોધ્યા પહોંચશે. તે દરરોજ 25 થી 30 કિલોમીટરની મુસાફરી કરે છે. તેણે 21મી ડિસેમ્બરે જ આ યાત્રા શરૂ કરી હતી. શબનમ કહે છે કે, રામની ભક્તિ માટે હિંદુ હોવું જરૂરી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp