નવી સંસદનું નામ 'સંસદ' નહીં હોય? જૂઓ કેવું દેખાય છે આ નવું ભવન

PC: thestatesman.com

દેશની નવી સંસદ ભવનનાં ઉદ્ઘાટનને લઈને ચાલી રહેલા હોબાળા વચ્ચે નવી માહિતી સામે આવી છે. હાલમાં, આ માહિતી હવામાં છે. સૂત્રોનો ઉલ્લેખ કરીને તેનો ફેલાવો થઇ રહ્યો છે. તેથી સ્પષ્ટ છે કે, અમે આની સાબિતી આપતા નથી. માહિતી એવી છે કે, નવી સંસદનું નામ સંસદ સિવાય બીજું કંઈક હોઈ શકે છે. તેને એક નવું નામ આપી શકાય એમ છે. મીડિયાના સૂત્રોએ સરકારના સૂત્રો પાસેથી આ માહિતી આપી છે. નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન 28 મેના રોજ થવાનું છે. કાર્યક્રમ અનુસાર PM નરેન્દ્ર મોદી અઢી વર્ષમાં બનેલી નવી સંસદનું ઉદ્ઘાટન કરવાના છે.

તાજેતરના વર્ષોમાં, BJP શાસિત કેન્દ્ર અને રાજ્ય સરકારોએ ઘણા રસ્તાઓ અને ઇમારતોના નામ બદલ્યા છે. એ જ વર્ષે રાષ્ટ્રપતિ ભવનમાં બનેલા મુગલ ગાર્ડનનું નામ બદલીને 'અમૃત ઉદ્યાન' કરવામાં આવ્યું. અગાઉ સપ્ટેમ્બર 2022માં કેન્દ્ર સરકારે રાજપથનું નામ બદલીને 'કર્તવ્ય પથ' કરી દીધું હતું.

હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે, નવા સંસદ ભવનનું નામ પણ બદલાઈ શકે છે. મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, નવી સંસદમાં સાંસદો માટે પોસ્ટરો સાથે વિરોધ કરવો અને સ્પીકર/ચેરમેનને અવરોધિત કરવું અથવા કાગળો ફેંકવું અશક્ય બની શકે છે. કારણ કે, તેમની બેસવાની જગ્યા પહેલાની સરખામણીમાં વધારે ઊંચી છે, અને બંને ગૃહોના વેલ (જ્યાં ગૃહના અધ્યક્ષ બેસે છે) તે પણ ઘણી દૂર છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, નવી બિલ્ડિંગમાં ત્રણ દરવાજા છે. તે બધાને અલગ અલગ નામ આપવામાં આવ્યા છે, જ્ઞાન દ્વાર, શક્તિ દ્વાર અને કર્મ દ્વાર. પહેલાની બિલ્ડીંગમાં સામાન્ય બિલ્ડીંગની જેમ નંબરોના આધારે દરવાજાઓને એક, બે, ત્રણ..., જેવા નામ આપવામાં આવ્યા હતા. આ સિવાય નવા સંસદભવનમાં મહાત્મા ગાંધી, ભીમરાવ આંબેડકર, સરદાર પટેલ અને ચાણક્ય સહિત અન્ય અનેક લોકોની પ્રતિમાઓ પણ હશે.

મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, નવા હાઉસની ડિઝાઈનિંગ એવી છે કે, કેમેરા વેલની નજીકના પ્રદર્શનને આવરી શકશે નહીં. સાંસદો માટે ગૃહની અંદર ઘણા મુદ્દાઓ પર પોસ્ટર સાથે પ્રદર્શન કરવું સામાન્ય છે. લોકસભાની કાર્યવાહીના પ્રસારણ માટે 1994ની માર્ગદર્શિકા છે. આ મુજબ, કેમેરા ગૃહની અંદર કોઈપણ અવરોધ, પ્રદર્શન અથવા વોકઆઉટ પર ધ્યાન કેન્દ્રિત કરશે નહીં. પરંતુ વર્ષ 2005માં તત્કાલીન લોકસભા સ્પીકર સોમનાથ ચેટર્જીએ કહ્યું હતું કે, ટેલિકાસ્ટમાં પ્રદર્શન અને વોકઆઉટ પણ બતાવવામાં આવે.

આ બાજુ, ઘણા વિરોધ પક્ષોએ નવી સંસદના ઉદ્ઘાટન કાર્યક્રમનો બહિષ્કાર કર્યો છે. વિપક્ષે માંગ કરી હતી કે PMને બદલે રાષ્ટ્રપતિએ સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવું જોઈએ. આ માટે કોંગ્રેસ, TMC સહિત 19 પાર્ટીઓએ સંયુક્ત નિવેદન પણ બહાર પાડ્યું છે.

PM નરેન્દ્ર મોદીએ 10 ડિસેમ્બર, 2020ના રોજ આ નવી સંસદ ભવનનો શિલાન્યાસ કર્યો હતો. તે લગભગ 65 હજાર ચોરસ મીટરના વિસ્તારમાં બનાવવામાં આવ્યું છે. નવી ઇમારતમાં એક સમયે 1200થી વધુ સાંસદો બેસી શકે તેવી સુવિધા છે. જેમાં લોકસભામાં 888 સાંસદો અને રાજ્યસભામાં 384 સાંસદો બેસી શકે છે.

બીજી તરફ મીડિયા સૂત્રો પાસેથી પ્રાપ્ત એક અહેવાલ મુજબ જૂનું સંસદ ભવન તોડી પાડવામાં આવશે નહીં. તે દેશની પુરાતત્વીય સંપત્તિ હોવાથી તેને સુરક્ષિત કરવામાં આવશે. બિલ્ડિંગને એવી રીતે ગોઠવવામાં આવશે કે, તેનો ઉપયોગ નવા બિલ્ડિંગની સાથે સંસદીય કાર્યો માટે થઈ શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp