ઉદ્ધવ ઠાકરેને ગઢમાં પણ નથી મળતી છૂટ, રાહુલે એક કલાકની વાતચીતમાં શું કરી માંગ?
![](https://khabarchhe.com/uploads/mc_path/1708674864Rahul,-Uddhav,-Sharad-Pawar.jpg)
INDIA ગઠબંધનને તાજેતરના સમયમાં ઘણા આંચકાઓનો સામનો કરવો પડ્યો છે. જો કે હવે રાહતના સમાચાર પણ આવવા લાગ્યા છે. હાલમાં જ અખિલેશ યાદવની પાર્ટી SP અને કોંગ્રેસ વચ્ચે સીટ વહેંચણીને લઈને સમજૂતી થઈ હતી. આ પછી રાહુલ ગાંધીએ મહારાષ્ટ્રમાં સીટ વહેંચણીને અંતિમ સ્વરૂપ આપવા માટે ઉદ્ધવ ઠાકરે સાથે વાત કરી છે. બંને વચ્ચે ફોન પર લાંબી વાતચીત થઈ.
અહીં તમને જણાવી દઈએ કે, મહારાષ્ટ્રમાં લોકસભાની કુલ 48 સીટો છે. NDA અને INDIA બંને માટે મહારાષ્ટ્ર ખૂબ જ મહત્વપૂર્ણ છે. કદાચ આ જ કારણ છે કે, ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ શિવસેના (UBT) નેતા સાથે લગભગ એક કલાક સુધી વાત કરી હતી.
સૂત્રોનું કહેવું છે કે, કોંગ્રેસ મુંબઈની છ લોકસભા બેઠકોમાંથી ત્રણ (મુંબઈ દક્ષિણ મધ્ય, મુંબઈ ઉત્તર મધ્ય અને મુંબઈ ઉત્તર પશ્ચિમ) પર ચૂંટણી લડવા માંગે છે. જ્યારે, ઉદ્ધવ ઠાકરે રાજ્યની 18 લોકસભા બેઠકો પર ચૂંટણી લડવા માંગે છે. તેમણે મુંબઈની ચાર બેઠકો (મુંબઈ દક્ષિણ, મુંબઈ ઉત્તર પશ્ચિમ, મુંબઈ ઉત્તર પૂર્વ અને મુંબઈ દક્ષિણ મધ્ય) પર પણ દાવો કર્યો છે. અહીં તમને જણાવી દઈએ કે, ઉદ્ધવ ઠાકરેની શિવસેના મુંબઈને પોતાનો ગઢ માને છે, જોકે શિવસેનામાં વિભાજન પછીનું ચિત્ર હજુ સ્પષ્ટ થયું નથી.
ઉદ્ધવ ઠાકરેની શિવસેના, શરદ પવારની NCP (શરદ પવાર) અને કોંગ્રેસના મહા વિકાસ અઘાડી ગઠબંધન વચ્ચે બેઠકોની વહેંચણીને લઈને ખેંચતાણ હજુ ચાલુ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર 40 બેઠકો પર વાતચીત પૂર્ણ થઈ ગઈ છે. જોકે આઠ બેઠકો પર દ્વિધા છે. અહીં તમને જણાવી દઈએ કે, 2019ની લોકસભા ચૂંટણીમાં શિવસેનાએ BJP સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડી હતી. જેમાં 18 બેઠકો જીતી હતી.
મહારાષ્ટ્રમાં તાજેતરના વર્ષોમાં ઘણી મહત્વપૂર્ણ રાજકીય ઘટનાઓ જોવા મળી છે. CM એકનાથ શિંદેના નેતૃત્વમાં શિવસેનાનું વિભાજન થયું. આ પછી શરદ પવારના ભત્રીજા અજિત પવાર પણ બળવો કરીને સરકારમાં જોડાયા હતા. હવે NCP પરનો તેમનો દાવો પણ માન્ય ગણવામાં આવ્યો છે.
આ સાથે જ મહારાષ્ટ્રમાં કોંગ્રેસને પણ બે મોટા આંચકાઓ લાગ્યા છે. પૂર્વ CM અશોક ચવ્હાણ અને મિલિંદ દેવરાએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. આ બધાની વચ્ચે સીટ શેરિંગની વાતચીતમાં વિલંબ થતો રહ્યો.
સૂત્રોનું કહેવું છે કે, કોંગ્રેસમાં તાજેતરની નાસભાગ બાદ ઉદ્ધવ ઠાકરેની પાર્ટી મુંબઈની સીટોમાં મોટો હિસ્સો ઈચ્છે છે. જો કે, સૂત્રોએ એમ પણ કહ્યું છે કે, ઉદ્ધવ ઠાકરે, શરદ પવાર, રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે તેને ફળીભૂત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp