લોકસભા ચૂંટણીઃ આમ આદમી પાર્ટીએ આપ્યો કોંગ્રેસને મોટો ઝટકો

PC: twitter.com

પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીએ ઝટકો આપ્યા બાદ આમ આદમી પાર્ટીએ પણ કોંગ્રેસને ઝટકો આપ્યો છે.  બુધવારે CM ભગવંત માને પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરી હતી કે, પંજાબમાં આમ આદમી પાર્ટી તમામ 13 સીટ પર આગામી 2024ની લોકસભા ચૂંટણી લડશે. ભગવંત માને કહ્યું હતું કે, પંજાબની સીટો પર કોઈપણ જાતનું સમાધાન નહીં થાય. આમ આદમી પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે પંજાબની 13 સીટ માટે 40 ઉમેદવારોને શોર્ટલિસ્ટ કર્યા છે અને આ ઉમેદવારોનો સરવે કરાવી રહી છે. પંજાબમાં કોંગ્રેસ સાથે કોઈ ગઠબંધન કરવામાં નહીં આવે. ઉલ્લેખનીય છે કે  મમતા બેનર્જીએ પણ કોંગ્રેસને ઝટકો આપતા એકલા હાથે બંગાળમાં ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી અને હવે આમ આદમી પાર્ટીએ પંજાબમાં કોંગ્રેસને એકપણ સીટ આપવાની ના પાડી દીધી છે.

બંગાળમાં વિખેરાયું INDIA ગઠબંધન, બિહાર, UPમાં શું થશે? મમતાએ કહી દીધું...

પશ્ચિમ બંગાળના CM મમતા બેનર્જીએ લાંબા સંઘર્ષ પછી આખરે TMC એકલા હાથે લોકસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. કોંગ્રેસને તેમના દ્વારા માત્ર 2 બેઠકોની ઓફર કરવામાં આવી હતી અને કોંગ્રેસ તેનાથી નારાજ હતી. અંતે કોંગ્રેસ અને ડાબેરી પક્ષોથી નારાજ CM મમતા બેનર્જીએ અલગ રસ્તો અપનાવ્યો. આ રીતે, બંગાળ પહેલું રાજ્ય બન્યું છે, જ્યાં INDIA ગઠબંધનમાં ઉભી તિરાડ પડી ગઈ છે. હવે ફોકસ બિહાર અને UP જેવા મોટા રાજ્યો પર છે, જ્યાં સીટની વહેંચણી અંગે હજુ સુધી નિર્ણય લેવામાં આવ્યો નથી. એકબીજાને દરખાસ્તો કરવામાં આવી રહી છે, પરંતુ કોઈ સહમત થતું નથી.

હકીકતમાં બિહારમાં JDU અને RJD વચ્ચે લોકસભા સીટોની વહેંચણીને લઈને કોઈ સહમતિ થઈ શકી નથી. ત્યાર પછી કોંગ્રેસ અને CPIની પણ સમસ્યા છે. કોંગ્રેસ બિહારમાં અડધો ડઝન બેઠકોની માંગ કરી રહી છે અને CM નીતિશ કુમાર અને લાલુ યાદવ તેને આટલી બધી બેઠકો આપવાના પક્ષમાં નથી. UPમાં પણ આવી જ સ્થિતિ છે. હાલમાં જ અખિલેશ યાદવ સાથે કોંગ્રેસ ગઠબંધન સમિતિની બેઠક થઈ હતી. કહેવાય છે કે, આ બેઠકમાં કોંગ્રેસે 20 સીટોની માંગણી કરી હતી. 2009ની ફોર્મ્યુલાને જાળવી રાખીને, તેમણે મધ્ય UPમાં મોટાભાગની બેઠકોનો દાવો કર્યો અને અખિલેશ પાસે 20 બેઠકોની માંગણી કરી.

સમાજવાદી પાર્ટી પણ આ પ્રસ્તાવથી ખુશ નથી. SPને લાગે છે કે BJP સાથે સીધી સ્પર્ધામાં કોંગ્રેસ નબળી પડશે અને તેના માટે સીટો જીતવી શક્ય નહીં બને. તે પણ એવા સમયે જ્યારે રાહુલ ગાંધી પોતે હવે અમેઠી બેઠકના સાંસદ નથી. કોંગ્રેસ સુલતાનપુર, અમેઠી, રાયબરેલી, શાહજહાંપુર, ધૌરહરા, ગાઝિયાબાદ સહિત લગભગ 20 સીટો પર દાવો કરી રહી છે. તે કહે છે કે, અમે 2004 કે 2009માં અહીં જીત્યા હતા. તેથી, આ બેઠકો અમને આપવામાં આવે. 2017ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને અખિલેશ યાદવ માને છે કે, કોંગ્રેસને આ બેઠકો આપવાથી તેની જીતની શક્યતાઓ નબળી પડી જશે.

ત્યારે SPએ કોંગ્રેસને 100 બેઠકો આપી હતી, પરંતુ તે માત્ર 7 જ જીતી શકી હતી. ચૂંટણી પરિણામો પછી આ નિર્ણયને SPની ભૂલ ગણવામાં આવી હતી. તે પછી 2022માં SPએ કોંગ્રેસને સાથે ન લીધું તે માટે એવું કહ્યું કે, તે મોટી પાર્ટીઓથી દૂર રહેશે. હવે ફરી એકવાર સંઘર્ષની સ્થિતિ સર્જાઈ છે. પંજાબમાં પણ આવી જ સ્થિતિ છે. અહીં આમ આદમી પાર્ટી રાજ્યમાં સત્તા પર છે અને તેને લાગે છે કે તે લોકસભા ચૂંટણીમાં પણ આ જ સફળતાનું પુનરાવર્તન કરશે. બીજી તરફ કોંગ્રેસ સ્વીકારી રહી છે કે, તેની પાસે 8 સાંસદો છે અને તે તેનાથી ઓછી બેઠકો પર ચૂંટણી નહીં લડે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મતભેદો એટલા મોટા છે કે, આખરે કોંગ્રેસ અને AAP અલગ-અલગ લડવા માટે રાજી થઈ ગયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp