ચૂંટણી પત્યા બાદ નારણ કાછડિયા ભાજપથી નારાજ, બોલ્યા-કોંગ્રેસમાંથી કે AAPમાંથી..

PC: tv9gujarati.com

વિધાનસભાની ચૂંટણી 7 ચરણોમાં થઈ રહી છે. અત્યાર સુધી ત્રણ ચરણનું મતદાન સંપૂર્ણ થઈ ચૂક્યું છે. ત્રીજા તબક્કા દરમિયાન ગુજરાતની 26 લોકસભા બેઠકો પર ચૂંટણી પૂરી થઈ ચૂકી છે, પરંતુ હવે અંદરનો વાદ-વિવાદ અને ટિકિટ ફાળવણીનો મુદ્દો સામે આવ્યો છે. અમરેલીથી સાંસદ રહી ચૂકેલા નારણ કાછડિયાની જગ્યાએ આ વખત અમરેલી સીટ પરથી ભરત સુતરિયાને ટિકિટ આપવામાં આવી છે. હવે નીરણ કાછડિયાએ પક્ષ પલટો કરીને આવતા નેતાઓને ટિકિટ આપવા મુદ્દે નારાજગી વ્યક્ત કરી છે.

નારણ કાછડિયાએ કહ્યું કે, કોંગ્રેસમાંથી કે આમ આદમી પાર્ટીમાંથી સવારે આવે અને બપોરે તેમને હોદ્દો મળી જાય છે. બીજે દિવસે કેબિનેટ મંત્રીનું પદ મળી જાય. સંગઠનના પદ મળી જાય. ધારાસભ્યની ટિકિટો મળી જાય. તમે પાર્ટીમાં નિયમ પ્રમાણે લો, આપણે સરવાળો કરવાનો છે, બાદબાકી કરવાની નથી. તે અમે જાણીએ છીએ, પરંતુ ભારતીય જનતા પાર્ટી (BJP)ના કાર્યકર્તાઓના ભોગે નહીં.

તેમણે કહ્યું કે, ભાજપના કાર્યકર્તા 35-35 વર્ષથી કામ કરતા હોય અને પાર્ટીના ઝંડા લગાવતા હોય, નારા લગાવતો હોય અને તમે કાલે સવારે લઈ આવો એ સ્ટેજ પર બેસે અને સીનિયર કાર્યકર્તા સામે બેઠા હોય તે કેટલા અંશે વ્યાજબી કહેવાય? નારણ કાછડિયાએ વધુમાં કહ્યું કે, ભાજપના કોઈ પણ કાર્યકર્તાને સાઈડલાઈન કરીને કોઈને પદ કે હોદ્દો આપવો. જે કાલે સવારે આવ્યા હોય, તેમના માટે તો ક્યારે સ્વીકારી નહીં શકાય.

પોતાની ટિકિટ કપાઈ છતા તેમણે ભાજપની જ જીત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો અને કાર્યકર્તાઓની મદદ માટે મોડી રાત્રે પણ તૈયાર બેઠા હોવાની વાત કરી હતી. જો કે, તેમણે જે નવા નેતાઓ પક્ષ પલટો કરીને ભાજપમાં જોડાઈને પદ મેળવી લે છે તેની સામે નારાજગી વ્યક્ત કરી હતી. દેશની સૌથી મોટી ફર્ટિલાઈઝર ઉત્પાદન કરતી સહકારી સંસ્થા ઇફ્કોના ચેરમેન પદે દીલિપભાઈ સંઘાણીની સતત બીજી વખત બિનહરીફ વરણી થતા તેમને અભિનંદન પાઠવવાના કાર્યક્રમ અંતર્ગત નારાણ કાછડિયાએ આ બાબતો રજૂ કરી હતી. આ કાર્યક્રમ તેમના કાર્યાલય સાવરકુંડલા પર યોજાયો હતો.

હાલમાં જ અમરેલી જિલ્લાના ભાજપના વરિષ્ઠ નેતા દીલિપ સંઘાણી વિશ્વની સૌથી મોટી ઈફકો કંપનીમાં બિનહરીફ ચૂંટાઈ આવતા અમરેલી જિલ્લાના કાર્યકર્તાઓમાં એક ખુશીનો માહોલ છે, પરંતુ દિલીપ સંઘાણીએ નામ લીધા વિના પાટીલ પર પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, પક્ષ પલટો કરનારાઓને પદ આપવું તેને ઈલુ-ઈલુ કહેવાય છે. ઈલુ-ઈલુ કહીને સહકારી ક્ષેત્રને બદનામ કરવાનો પ્રયાસ છે. પ્રદેશ ભાજપમાં ઈફ્કોની ઉમેદવારી મુદ્દે સંકલનનો અભાવ છે. મેન્ડેટ આપવો એ જ સંકલનની ખામી છે. ઈફ્કોની જેવી સંસ્થામાં ક્યારે મેન્ડેટ અપાતા નહોતા. જયેશ રાદડિયાને પણ મેન્ડેટની જાણ નહોતી. મને પણ મેન્ડેટની જાણ નહોતી. જયેશ રાદડિયાના ફોર્મ બાદ બિપિનભાઈએ ફોર્મ ભર્યું હતું. સંકલન કર્યું હોત તો આજે આ સ્થિતિ ન સર્જાતી. સંગઠનના સંકલનના અભાવના કારણે આ સ્થિતિ સર્જાઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp