આતંકીઓનું આશ્રયસ્થાન બન્યું કેનેડા, પાકિસ્તાન કરી રહ્યું છે મદદઃ ભારત

PC: indiatoday.in

ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જર હત્યાકાંડને લઈને કેનેડાના PM જસ્ટિન ટ્રુડોએ ભારત પર ગંભીર આરોપો લગાવ્યા ત્યાર બાદથી બંને દેશો વચ્ચે સંબંધો વણસી રહ્યા છે, જેમાં રોજ કોઈને કોઈ એક્શનની જાહેરાત બંને દેશો કરી રહ્યા છે, જેમાં આજે ભારતે કેનેડાના સિટિઝનોને ભારતના વીઝા આપવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. ત્યારે હવે ભારતીય વિદેશ મંત્રાલયે પણ ગુરુવારે એક પ્રેસ કોન્ફરન્સ કરીને કેનેડા પર પ્રહારો કર્યા છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે, કેનેડાની ધરતી પર આતંકવાદી ગતિવિધિઓ વિશે અમે ઘણી વિશિષ્ટ જાણકારી શેર કરી છે, પરંતુ કેનેડા તરફથી કોઈ વિશેષ જાણકારી ભારત સાથે શેર નથી કરવામાં આવી. કેનેડા આતંકી ગતિવિધિઓ માટે સુરક્ષિત સ્થળ બની ગયું છે. તેમને પોતાના આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા વિશે વિચારવાની જરૂર છે. તેમણે વધુમાં કહ્યું કે, સૌથી મોટો મુદ્દો કેનેડા અને પાકિસ્તાન દ્વારા નાણાં ભંડોળ પૂરુ પાડવું અને સમર્થિત આતંકવાદ છે.

તેમણે કહ્યું કે, આગામી આદેશ સુધી કેનેડા માટે વીઝા સર્વિસ સસ્પેન્ડ રહેશે. કેનેડિયન સરકારના તમામ આદેશ રાજનૈતિક છે. કોઈ વિશેષ જાણકારી ભારત સાથે શેર નથી કરવામાં આવી. અમે આ મામલે વિશેષ જાણકારીથી અવગત થવા ઈચ્છીએ છીએ.

કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોના નિવેદન પછી ભારત ગુસ્સે ભરાયું છે અને કેનેડાના ભારતના હાઇકમિશ્નરની હકાલપટ્ટી પછી હવે બીજું મોટું પગલું લીધું છે. આ પગલું બંને દેશો વચ્ચેના સંબંધોને વધારે વણસાવશે. ભારત સરકારે ગુરુવારે જાહેરાત કરી છે કે કેનેડાના નાગરિકો માટેની વિઝા સેવા સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. બીજી સુચના મળે ત્યાં સુધી કેનેડાના નાગરિકો માટે વિઝા પ્રતિબંધ ચાલું રહેશે.

ભારત વિઝા એપ્લિકેશન સેન્ટર કેનેડાએ જાણકારી આપી છે કે ઓપરેશનલ્સ કારણોસર 21 સપ્ટેમ્બરથી ભારતીય વિઝા સેવા બીજી સુચના મળે ત્યાં સુધી સસ્પેન્ડ કરી દેવામાં આવી છે.BLS વેબસાઇટને ફોલો કરવા કહેવાયું છે.

આ પહેલાં ભારતીય વિદેશ મંત્રાલયે બુધવારે એડવાઇઝરી જારી કરી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે ભારતથી કેનેડા જતા લોકો સાવધાની રાખે. કેનેડામા એવા કોઇ વિસ્તારમાં ન જતા જ્યાં ભારત વિરોધી ગતિવિધીઓને અંજામ આપવામાં આવતો હોય. ભારતે એડવાઇઝરીમાં જાણકારી આપી હતી કે કેનેડામાં ગુનાખોરી અને હેટ ક્રાઇમમાં વધારો થયો છે. કેનેડામાં મોજુદ ભારતીય હાઇ કમિશને પણ કહ્યુ કે અધિકારીઓએ એ લોકોના સંપર્કમાં રહેશે,જે કેનેડામાં મોજુદ છે.

બંને દેશો વચ્ચે ચાલી રહેલી તકરાર વચ્ચ ગુરુવારે ભારતમાં કેનેડાના હાઇ કમિશને એક નોટિફિકેશન જારી કરીને સુચના આપી હતી. તેમણે લખ્યુ કે ભારતમાં અમારા હાઇ કમિશન અને વાણિજય દુતાવાસની ઓફિસો ચાલું છે અને ગ્રાહકોને સેવા આપવાનું ચાલું છે. વર્તમાન માહોલને ધ્યાનમાં રાખીને જ્યાં તણાવ વધેલો છે, અમે પોતાના રાજનાયિકોની સુરક્ષા નિશ્ચિત કરવાની કાર્યવાહી કરી રહ્યા છીએ.

નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે કેટલાંક રાજનાયિકોને જુદા જુદા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ધમકીઓ મળવાને કારણે ગ્લોબલ અફેર્સ કેનેડા ભારતમાં પોતાના કર્મચારીઓની સંખ્યાનું આકલન કરી રહી છે.પરિણામે, અને પુષ્કળ સાવચેતીના કારણે, અમે ભારતમાં કર્મચારીઓની હાજરીને અસ્થાયી રૂપે સમાયોજિત કરવાનું નક્કી કર્યું છે.

તાજેતરમાં કેનેડાના સર્રેમાં ખાલિસ્તાની સમર્થક હરદીપ સિંહ નિજ્જરની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. જેની પર કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ બકવાસ નિવેદન આપ્યું હતું. ટ્રુડોએ આરોપ લગાવ્યો હતો કે નિજ્જરની હત્યા પાછળ ભારત સરકાર હોય શકે છે.

કેનેડાએ ભારતના ટોચના રાજદ્રારીને કાઢી મુક્યા હતા અને તેની સામે ભારતે પણ કેનેડાના હાઇ કમિશનને સમન્સ મોકલીને હાંકી કાઢ્યા હતા. જો કે ભારતે તેમને દેશ છોડવા માટે સમય આપ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp