આપણી સામાજિક બદીઓનો બ્રિટિશ સરકારે એક સાધન તરીકે ઉપયોગ કર્યોઃ PM મોદી

PC: twitter.com

PM નરેન્દ્ર મોદીએ ગુજરાતનાં મોરબીમાં ટંકારામાં સ્વામી દયાનંદનાં જન્મસ્થળે આયોજિત સ્વામી દયાનંદ સરસ્વતીની 200મી જન્મજયંતી પર આયોજિત એક કાર્યક્રમને વીડિયો સંદેશ મારફતે સંબોધન કર્યું હતું. પોતાના સંબોધનમાં PM મોદીએ આર્ય સમાજ દ્વારા સ્વામીજીના યોગદાનનું સન્માન કરવા અને તેમના ઉપદેશોને લોકો સુધી પહોંચાડવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આનંદ વ્યક્ત કર્યો હતો. ગયા વર્ષે આ મહોત્સવના ઉદ્ઘાટનમાં તેમણે ભાગ લીધો હતો એ વિશે તેમણે જણાવ્યું હતું કે, જ્યારે આવા મહાન આત્માનું પ્રદાન આટલું અસાધારણ હોય છે, ત્યારે તેમની સાથે સંકળાયેલા ઉત્સવો વ્યાપક હોય તે સ્વાભાવિક છે.

મને વિશ્વાસ છે કે આ ઇવેન્ટ આપણી નવી પેઢીને મહર્ષિ દયાનંદના જીવનથી પરિચિત કરવા માટે એક અસરકારક માધ્યમ તરીકે કામ કરશે,એમ PM મોદીએ આ પ્રકારની નોંધપાત્ર હસ્તીઓના વારસાને પસાર કરવાના મહત્વ પર ભાર મૂકતા ઉમેર્યું હતું.

PM મોદીએ નોંધ્યું હતું કે, સ્વામી દયાનંદનો જન્મ ગુજરાતમાં થયો હતો અને તેઓ હરિયાણામાં સક્રિય હતા. PMએ બંને પ્રદેશો સાથેના તેમના જોડાણ પર પ્રકાશ પાડ્યો હતો અને સ્વામી દયાનંદના તેમના જીવન પરના ગહન પ્રભાવને સ્વીકારતા જણાવ્યું હતું કે, તેમના ઉપદેશોએ મારા દ્રષ્ટિકોણને આકાર આપ્યો છે અને તેમનો વારસો મારી યાત્રાનો અભિન્ન ભાગ રહ્યો છે. તેમણે ભારત અને વિદેશમાં વસતા લાખો અનુયાયીઓને સ્વામીજીની જન્મજયંતીના પ્રસંગે શુભેચ્છા પાઠવી હતી.

સ્વામી દયાનંદનાં ઉપદેશોની પરિવર્તનકારી અસર પર પ્રકાશ પાડતા PM મોદીએ કહ્યું હતું કે, ઇતિહાસમાં એવી ક્ષણો આવે છે, જે ભવિષ્યની દિશા બદલી નાખે છે. બસ્સો વર્ષ પહેલાં સ્વામી દયાનંદનો જન્મ આવી જ એક અભૂતપૂર્વ ક્ષણ હતી. તેમણે અજ્ઞાનતા અને અંધશ્રદ્ધાની બેડીઓમાંથી ભારતને જાગૃત કરવામાં સ્વામીજીની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો, જે વૈદિક જ્ઞાનના સારને પુનઃશોધવા માટે એક ચળવળ તરફ દોરી ગઈ હતી. PMએ નોંધ્યું હતું કે, જ્યારે આપણી પરંપરાઓ અને આધ્યાત્મિકતા લુપ્ત થઈ રહી હતી, ત્યારે સ્વામી દયાનંદે આપણને 'વેદો તરફ પાછા ફરવા' નું આહ્વાન કર્યું હતું, વેદો અને તાર્કિક અર્થઘટન પર વિદ્વતાપૂર્ણ ભાષ્ય પ્રદાન કરવાના સ્વામીજીના પ્રયાસો પર ભાર મૂક્યો હતો. તેમણે સ્વામીજીના સામાજિક ધોરણોની નિડર આલોચના અને ભારતીય ફિલસૂફીના સાચા સારને સ્પષ્ટ કરવા પર ભાર મૂક્યો હતો, જેણે સમાજમાં આત્મવિશ્વાસનું પુનરુત્થાન કર્યું હતું. PMએ એકતાને પ્રોત્સાહન આપવા અને ભારતની પૌરાણિક વારસામાં ગૌરવની ભાવના પેદા કરવા સ્વામી દયાનંદનાં ઉપદેશોનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો.

PM મોદીએ કહ્યું, આપણી સામાજિક બદીઓનો બ્રિટિશ સરકાર દ્વારા એક સાધન તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેથી આપણને હલકી કક્ષાનાં ચિત્રિત કરી શકાય. કેટલાક લોકોએ સામાજિક પરિવર્તનોનો ઉલ્લેખ કરીને બ્રિટીશ શાસનને ન્યાયી ઠેરવ્યું હતું. સ્વામી દયાનંદના આગમનથી આ ષડયંત્રોને મોટો ફટકો પડ્યો. PMએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, લાલા લજપતરાય, રામ પ્રસાદ બિસ્મિલ અને સ્વામી શ્રદ્ધાનંદ જેવા ક્રાંતિકારીઓની એક શૃંખલાનો ઉદય થયો હતો, જે આર્ય સમાજથી પ્રભાવિત હતો. એટલે દયાનંદજી માત્ર વૈદિક ઋષિ જ નહીં, પરંતુ રાષ્ટ્રીય ઋષિ પણ હતા.

PMએ નોંધ્યું હતું કે, અમૃત કાળની શરૂઆતનાં વર્ષોમાં 200મી વર્ષગાંઠ આવી છે. PM મોદીએ સ્વામી દયાનંદના રાષ્ટ્ર માટે ઉજ્જવળ ભવિષ્યનાં વિઝનને યાદ કર્યું હતું. સ્વામીજીની ભારત પ્રત્યેની જે શ્રદ્ધા હતી, તે આપણે અમૃત કાળમાં આપણા આત્મવિશ્વાસમાં પરિવર્તિત કરવી પડશે. સ્વામી દયાનંદ આધુનિકતાના હિમાયતી અને માર્ગદર્શક હતા.

સમગ્ર વિશ્વમાં આર્ય સમાજની સંસ્થાઓના વિસ્તૃત નેટવર્કનો સ્વીકાર કરતાં PM મોદીએ જણાવ્યું હતું કે, 2,500થી વધારે શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓ તથા 400થી વધારે ગુરુકુળો વિદ્યાર્થીઓને શિક્ષિત કરી રહ્યાં છે, ત્યારે આર્ય સમાજ આધુનિકતા અને માર્ગદર્શનનો જીવંત પુરાવો છે. તેમણે સમુદાયને 21મી સદીમાં નવા જોમ સાથે રાષ્ટ્રનિર્માણની પહેલોની જવાબદારી ઉઠાવવા અપીલ કરી હતી. ડીએવી સંસ્થાઓને 'સ્વામીજીની જીવંત સ્મૃતિ' ગણાવીને PMએ તેમના સતત સશક્તિકરણની ખાતરી આપી હતી.

PMએ સ્વામીજીના દ્રષ્ટિકોણને આગળ વધારતા રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે આર્ય સમાજનાં વિદ્યાર્થીઓ અને સંસ્થાઓને વોકલ ફોર લોકલ, અખંડ ભારત, મિશન લાઇફ, જળ સંરક્ષણ, સ્વચ્છ ભારત, રમતગમત અને ફિટનેસમાં યોગદાન આપવા જણાવ્યું હતું. તેમણે પ્રથમ વખતના મતદારોને તેમની જવાબદારીઓ સમજવા પર પણ ભાર મૂક્યો હતો.

આર્ય સમાજની સ્થાપનાની આગામી 150મી વર્ષગાંઠનો ઉલ્લેખ કરીને PM મોદીએ દરેકને આ મહત્ત્વપૂર્ણ પ્રસંગને સામૂહિક પ્રગતિ અને સ્મરણની તક તરીકે લેવા પ્રોત્સાહિત કર્યા હતા. પ્રાકૃતિક ખેતીના મહત્વને સંબોધતા PMએ આચાર્ય દેવવ્રતજીના પ્રયાસો પર પ્રકાશ પાડ્યો હતો અને કહ્યું હતું કે, સ્વામી દયાનંદજીના જન્મસ્થળથી દેશના દરેક ખેડૂત સુધી સજીવ ખેતીનો સંદેશ પહોંચે.

મહિલા અધિકારો માટે સ્વામી દયાનંદની હિમાયતની પ્રશંસા કરતા PM મોદીએ તાજેતરમાં નારી શક્તિ વંદન અધિનિયમની પ્રશંસા કરતા કહ્યું હતું કે, પ્રામાણિક પ્રયાસો અને નવી નીતિઓ દ્વારા દેશ પોતાની દીકરીઓને આગળ વધારી રહ્યો છે. તેમણે મહર્ષિ દયાનંદને સાચી શ્રદ્ધાંજલિ સ્વરૂપે આ સામાજિક પહેલો મારફતે લોકોને જોડવાનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp