રમજુભા જાડેજા કહે- અમે રૂપાલાની માફી ફગાવીએ છીએ, ભાજપે ભૂતકાળમાં...

PC: twitter.com

પરષોત્તમ રૂપાલાના વિરોધમાં રાજકોટમાં યોજાયેલા ક્ષત્રિય સમાજના સંમેલનમાં કરણ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલ મકરાણા પણ આવ્યા હતા. તેમણે જનમેદનીને જોતા કહ્યું હતું કે, આ તો હજુ નજારો છે, પિક્ચર હજુ બાકી છે. ક્ષત્રિય સમાજની કોર કમિટીના સભ્ય રમજુભા જાડેજાએ કહ્યું હતું કે, રાજકોટ સહિત ગુજરાતની 26 બેઠક પર 7 મેના રોજ ચૂંટણી થવાની છે. 2014 અને 2019મા ભાજપે ગુજરાતની તમામ સીટ જીતી હતી. રાજકોટ સીટના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ અમારી દીકરી-બહેનોનું અપમાન કર્યું છે. ત્યાર બાદ તેમણે માફી માગવાનો સ્વાંગ રચ્યો, પરંતુ અમે તેમની માફીને ફગાવીએ છીએ. અમે રૂપાલા સામે વિરોધ ચાલુ રાખીશું. ભાજપે તેમની ઉમેદવારી પાછી લેવી પડશે.

તેમણે વધુમાં કહ્યું કે, જ્યારે ભૂતકાળમાં ભાજપના નેતાઓએ ભૂલ કરી છે તો ભાજપ નેતૃત્વએ તેમના વિરુદ્ધ કાર્યવાહી કરી છે, જેમાં પૂર્વ પ્રવકતા નૂપુર શર્મા પણ શામેલ છે. આવનારા દિવસોમાં ક્ષત્રિય સમાજ આંદોલન ઉગ્ર બનાવશે.

ફરી લક્ષ્મીબાઇ અને મહારાણા પેદા થાય:ક્ષત્રિય મહાસંમેલનમાં તૃપ્તિબાનો હુંકાર

પરષોત્તમ રૂપાલાને હટાવવાના સંકલ્પ સાથે રાજકોટમાં યોજાયેલા ક્ષત્રિય સમાજ અસ્મિતા મહાસમેંલનમાં લાખો લોકોની ભીડ એકઠી થઇ છે. ક્ષત્રિય સમાજના નેતા તૃપ્તિબા રાઓલે મંચ પરથી કહ્યું કે, ફરી એકવાર લક્ષ્મીબાઇ અને મહારાણા પેદા થાય તે જરૂરી છે. રાજકોટના રતનપરમાં યોજાયેલા મહા સંમેલનમાં ક્ષત્રિયોએ શક્તિ પ્રદર્શન કર્યું છે.

ગુજરાત રાજપૂત સમાજ સંકલન સમિતાના મહિલા અધ્યક્ષ અને નારી શક્તિ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ તૃપ્તિબા રાઓલે રાજકોટના રતનપરમાં યોજાયેલા વિશાળ ક્ષત્રિય સંમેલનને સંબોધતા કહ્યું હતું કે ક્યાં સુધી આપણે આપણા સંતોનાને રાણી લક્ષ્મી બાઇ, જીજીબાઇ, શિવાજી મહારાજ કે રાણાની વાતો કરતા રહીશું? તૃપ્તિબાએ કહ્યુ કે, મારી અને તમારી અંદર કોઇ રાણા ઉભા થાય, લક્ષ્મી બાઇ ઉભા થાય અને આજે સમય છે આપણા ગૌરવવંતા ઇતિહાસની રક્ષા કરવાનો. તેમણે સાથે એમ પણ કહ્યુ કે, મેં ભી મોદી કા પરિવાર કહેવામાં આવે છે તો હિંદુ દીકરીઓ પર ટીપ્પણી થઇ છે તો PM મોદી શું જવાબ આપશે?

ગોહિલવાડ રાજપૂત સમાજના પ્રમુખ વાસુદેવસિંહ ગોહિલે કહ્યુ કે, હવે 400 પાર નહી, નદી પાર. ગોહિલે કહ્યુ રૂપાલાની કોઇ પણ સંજોગોમાં રાજકોટમાંથી ટિકિટ કાપવામાં આવે. અમને રોટી-બેટી અને અસ્મિતા સામે વાંધો છે.

પરષોત્તમ રૂપાલાના નિવેદન સામે જંગ ચડેલા ક્ષત્રિય સમાજે 14, એપ્રિલ, રવિવારે રાજકોટના રતનપરમાં ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલનનું આયોજન કર્યું છે, જેમાં હજારોની સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો પહોંચી ગયા છે. રાજ્યભરમાંથી ઉપરાંત રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્રથી મોટી સંખ્યામાં રાજપૂત સમાજના લોકો પહોંચ્યા છે. રાજકોટમાં રૂપાલા સામે જબરદસ્ત શક્તિ પ્રદર્શન જોવા મળી રહ્યું છે અને મેદાન લોકોથી ખીચોખીસ ભરાઇ ગયું છે. રતનપરના 13 એકર વિસ્તારમાં આ મહાસંમેલન રાખવામાં આવ્યું છે. કોઇ અનિચ્છનીય બનાવ નહીં બને તેના માટે સવારથી પોલીસનો મોટો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે.રાજકોટમાં જે માનવ મહેરાણમણ ઉમટ્યું છે તે જોઇને રૂપાલા અને ભાજપના ધબકારા વધી ગયા હશે.

ભાજપના રાજકોટ લોકસભાના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ 23 માર્ચે 2024ના દિવસે એક સભામાં એવું નિવેદન કર્યુ હતું કે દેશમાં અંગ્રેજો અને બીજા લોકો આવ્યા હતા અને તેમણે દમન કરવમાં કોઇ કસર નહોતી છોડી. તે વખતે મહારાજાઓ નમી ગયા હતા અને રોટી-બેટીના વહેવાર કર્યા હતા. આ નિવેદનને કારણે ક્ષત્રિય સમાજમાં ભડકો થયો હતો અને ક્ષત્રિય સમાજના લોકોએ રૂપાલા સામે વિરોધનો વંટોળ શરૂ કર્યો હતો. રૂપાલાએ 3 વખત માફી માંગી, ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે પણ 2 હાથ જોડીને માંફી માંગી, પરંતુ ક્ષત્રિય સમાજના લોકો માફી આપવા તૈયાર નથી અને એક જ માંગ પર અડીને બેઠા છે કે રાજકોટ લોકસભા બેઠક પરથી રૂપાલાને હટાવવવામાં આવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp